ગુજરાતભરમાં આગામી રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે. જેને લઈને ઉમેદવારો માટે વડોદરા કલેક્ટરે જાહેર કર્યો હેલ્પ લાઈન નંબર.
9 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા
પરીક્ષાને લઈ વડોદરા કલેક્ટર એ.બી ગોરનું નિવેદન
જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો પર કરાઈ છે તૈયારી
રાજ્યમાં પેપરકાંડની અવારનવાર સામે આવતી ઘટનાઓ વચ્ચે રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે, ત્યારે આ મામલે તંત્ર સહેજ પણ ઢીલી નીતિ અપનાવવા ન માંગતું હોય તેમ સુરક્ષા તેજ બનાવાઈ છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાને હવે ઘડીઓ ગણાય રહી છે. પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ સામે ન આવે તે માટે સુરક્ષા તેજ બનાવાઈ છે. ત્યારે જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને વડોદરા કલેક્ટર એ.બી ગોરનું નિવેદન સામે આવ્યું છે.
વડોદરામાં 117 કેન્દ્રો પર યોજાશે પરીક્ષા
કલેક્ટર એ.બી ગોરે જણાવ્યું કે, જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો પર તૈયારી કરાઈ છે. જિલ્લામાં 117 કેન્દ્રો પર પરીક્ષા યોજાનાર છે. જેથી રૂટ સુપરવાઈઝર અને ઓબ્ઝર્વરની નિમણૂંક થઈ ગઈ છે. સાથે વધારાના પોલીસ કોન્સ્ટેબલ ટ્રાફિક કંટ્રોલ કરશે. આ મામલે રિક્ષા સંચાલકો સાથે બેઠક કરવામાં આવી છે. આ બેઠકમાં ઉમેદવારોને સત્વરે પહોચાડે અને યોગ્ય ભાડું લે તેવી ચર્ચા કરાઈ છે.
હેલ્પલાઇન નંબર કરાયો જાહેર
જુનિયર ક્લાર્કની પરીક્ષાને દિવસે કોઈ પણ ઉમેદવારો અટવાય નહીં તે કાળજી લેવામાં આવશે. ઉમેદવારે 12 વાગ્યા સુધીમાં પરીક્ષા હોલ પ્રવેશ લઇ લેવો ફરજિયાત છે. આગામી રવિવારે યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને ઉમેદવારો માટે '02652438110' હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરાયો છે. પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી આ નંબર કાર્યરત રહેશે.
રવિવારે 3 હજારથી વધુ કેન્દ્રો પર લેવાશે જુનિયર ક્લાર્કની પરીક્ષા
પસંદગી સેવા પસંદગી મંડળ દ્વારા તા.09 એપ્રિલ 2023ના રોજ રાજ્યમાં 3000થી વધુ કેન્દ્રો પર 9,53,000 જેટલા ઉમેદવારો માટે જુનિયર કલાર્કની ભરતીની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. પરીક્ષામાં કોઇપણ ગેરરીતિને અત્યંત ગંભીર ગણી તેમાં 03 વર્ષથી 10 વર્ષ સુધીની સજાના તથા રૂા. 1 કરોડના દંડની પણ જોગવાઇ કરવામાં આવેલ છે. વધુમાં ઉમેદવારોને કોઇપણ જગ્યાએ ગેરરીતિ થતી હોવાની માહિતી હોય તો પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા શરૂ કરવામાં આવેલ હેલ્પલાઇન નં.8758804212 અથવા જિલ્લા હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવા જણાવ્યું છે.
સજાની જોગવાઇ
- ગેરરીતિ આચરનાર પરીક્ષાર્થીને ત્રણ વર્ષ સુધીની કેદ અને ઓછામાં ઓછા એક લાખ રૂપિયાનો દંડ
- પરીક્ષાલક્ષી કામગીરી માટે નીમાયેલ વ્યક્તિને ફરજમાં અવરોધ કરવો અથવા પ્રવેશ કરતાં રોકવી કે ધાકધમકી આપે તો 03 વર્ષ સુધીની કેદ અને ઓછામાં ઓછો રૂા.1 લાખના દંડની જોગવાઇ.
- કાવતરૂ કરી ગેરરીતિ આચરવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિને વધુમાં વધુ 10 વર્ષની કેદ અને રૂા.10 લાખથી રૂા.1 કરોડ સુધીના દંડની જોગવાઇ.
- કાવતરૂ કરીને આ કાયદાની જોગવાઇનું ઉલ્લંઘન કરવું અથવા ઉલ્લંઘન કરવામાં મદદ કરનાર કરનાર વ્યક્તિને 05 વર્ષથી ઓછી નહીં અને વધુમાં વધુ 10 વર્ષની કેદ અને રૂા.10 લાખથી 1 કરોડ સુધીના દંડની જોગવાઇ. સંગઠિત ગુના માટે 07 વર્ષથી ઓછી નહીં અને 10 વર્ષ સુધીની કેદ અને ઓછામાં ઓછા રૂા.1 કરોડના દંડની જોગવાઇ.
- ગુનાના દોષિત ઠર્યા હોય તેવા પરીક્ષાર્થીને જાહેર પરીક્ષામાંથી બે વર્ષની મુદત માટે બાકાત રાખવામાં આવશે. દોષિત ઠર્યાના કિસ્સામાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973માં ઠરાવેલી કાર્યરીતિ અનુસરીને, તેવી વ્યક્તિની જંગમ અથવા સ્થાવર અથવા તે બન્ને અસ્કયામત મિલકત પૈકીની કોઇપણની જપ્તી કરીને અને તેનું વેચાણ કરીને, તેવી વ્યક્તિએ ખોટી રીતે મેળવેલ કોઇ લાભની વસૂલાતનો હુકમ કોર્ટ કરી શકે તેની જોગવાઇ આ અધિનિયમમાં છે. આ ગુનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક અથવા પોલીસ ઇન્સ્પેક્ટરના દરજ્જાના અધિકારી દ્વારા કરવામાં આવશે.