'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના ફેન્સ ડૉ. હાથીના કેરેક્ટરની ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. કવિ કુમાર આઝાદે ડૉ. હાથીના કેરેક્ટરને એટલુ ફેમસ કર્યુ છે કે ઓડિયન્સ હાલમાં ડૉ. હાથીને મિસ કરી રહ્યા છે. હવે ઓડિયન્સની આતુરતાનો અંત આવશે કારણકે થોડા જ દિવસોમાં ડૉ. હાથીની શોમાં ફરીથી એન્ટ્રી થવાની છે. ડૉ. હાથીની એન્ટ્રી નવા અંદાજમાં કરાવવા માટે મેકર્સ યોગ્ય સમયની રાહ જોતા હતા અને હવે તે સમય આવી ગયો છે.
જી હા કવિ કુમાર આઝાદના નિધનના 2 મહિના પછી હવે ડૉ. હાથીના રોલમાં નિર્મલ સોની જોવા મળશે. ઉલ્લેખનીય છે કે નિર્મલ સોનીએ સીરિયલની શરૂઆતમાં ડૉ. હાથીનું પાત્ર એક વર્ષ સુધી ભજવ્યું હતું. ત્યારબાદ કવિ કુમાર આઝાદે તેને રિપ્લેસ કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે 'તારક મહેતા'માં નવા ડૉ. હાથીની ગ્રાન્ડ એન્ટ્રી બતાવવામાં આવશે. વરસતા વરસાદમાં ડૉ.હાથી કેડસમા પાણીમાં બાપ્પાની મૂર્તિ લઈને ચાલતા આવતા હોય તેમ બતાવવામાં આવશે. આ ટ્રેકનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું. નવા ડૉ. હાથીની એન્ટ્રી 13 સપ્ટેમ્બરના રોજ ઓન-એર થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નિર્મલ સોનીનો હાલમાં જ સંપર્ક સાધવામાં આવ્યો હતો. નિર્મલ સોનીએ જ્યારે આ શો છોડ્યો ત્યારે તેના સંબંધો વણસી ચૂક્યા છે અને તેથી જ સીરિયલ મેકર્સ તેને ફરીથી આ શોમાં લાવવા માટે ઉત્સુક નહોતાં. જોકે આ વખતે બધુ જ વ્યસ્થિત રીતે પાર પડ્યું હોવાથી અંતે નિર્મલ સોનીને જ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.