એક તરફ, સમગ્ર દેશમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે તે જ સમયે રાજસ્થાનનો એક જીલ્લો ભિલવાડા કોરોના પરના નિયંત્રણને લઈને ચર્ચામાં આવ્યો છે. અહીં અપનાવવામાં આવેલા મોડેલને હવે આખા દેશમાં લાગુ કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ મોડેલને અમલમાં મૂકવા માટે લોકો જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ) રાજેન્દ્ર ભટ્ટની પણ પ્રશંસા કરી રહ્યા છે. IAS રાજેન્દ્ર ભટ્ટ કોણ છે અને કેમ ભિલવાડા મોડેલ આટલું વિશેષ બન્યું તે સમજવું જરૂરી છે.
રાજસ્થાન સ્ટેટ સર્વિસીસના અધિકારી હતા રાજેન્દ્ર ભટ્ટ
રાજેન્દ્ર ભટ્ટ 2007ની બેચના રાજસ્થાન કેડરના IAS અધિકારી છે. હાલ તેઓ ભિલવાડા જિલ્લાના DM છે. રાજેન્દ્ર ભટ્ટ પોતે પીસીએસ અધિકારી છે. 2007માં તેમને IASનું પ્રમોશન મળ્યું હતું.
જોધપુરમાં જન્મેલ અને ઉછરેલ રાજેન્દ્ર ભટ્ટ 56 વર્ષના છે. આ પહેલા પણ જિલ્લાના ગ્રામીણ વિકાસ માટે તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. હાલમાં તેઓને જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રિત કરવા માટે શ્રેય આપવામાં આવી રહ્યો છે.
પહેલો કેસ આવતા જ જીલ્લાનું તંત્ર થઇ ગયું હતું સક્રિય
તમને જણાવી દઈએ કે ભિલવાડા જિલ્લામાં કોરાના ચેપનો પહેલો કિસ્સો આવતાની સાથે જ બે દિવસમાં જ જીલ્લાનું વહીવટ તંત્ર સક્રિય થઈ ગયું હતું અને કડક વલણ અપનાવ્યું હતું અને ચેપને કાબૂમાં રાખ્યો હતો. હવે ભિલવાડા મોડેલને કોવિડ 19ને રોકવા માટે શ્રેષ્ઠ મોડેલ ગણાવવામાં આવી રહ્યું છે. ભીલવાડામાં મોટી સંખ્યામાં લોકોની તપાસ કરવામાં આવી હતી જેથી પોઝિટિવ કેસો આવે તે સાથે જ દર્દીઓની વહેલામાં વહેલી તકેદારી રાખવામાં આવે.
નોંધનીય છે કે ભિલવાડા જિલ્લો રાજસ્થાનમાં કોરોનાનું પ્રથમ કેન્દ્ર બન્યું હતું. અહીં ડોકટરને ચેપ લાગ્યાં બાદ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઝડપથી વધી, પરંતુ પાછળથી આ આંકડો 27થી વધુ દર્દીઓમાં વધ્યો નહીં.
તમામ ખાનગી હોસ્પિટલો અને હોટલો ટેકઓવર કરી લેવાઈ
તેનું કારણ એ છે કે પોઝિટિવ દર્દીઓ દેખાયાની સાથે જ તંત્રના આદેશથી ભિલવાડામાં કર્ફ્યુ લગાવીને બાઉન્ડ્રીઓ સીલ કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં જિલ્લાની તમામ ખાનગી હોસ્પિટલો અને હોટલો ટેકઓવર કરી લેવામાં આવી હતી. તેમ જ જિલ્લામાં લોકડાઉનનો કડક અમલ કરવામાં આવ્યો હતો.
ડોર ટુ ડોર સ્ક્રીનીંગ ઉપરાંત લોક પ્રતિનિધિઓ, મીડિયા અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓને પણ શહેરમાં આવતાં અટકાવવામાં આવ્યા હતા. માત્ર પોલીસ અને જિલ્લા વહીવટી અધિકારીઓ જ લોકોને મદદ કરી રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લાના તબીબો અને પેરામેડિકલ સ્ટાફે પણ આમાં સહયોગ આપ્યો હતો.
હાલમાં જિલ્લામાં કોઈ નવા ચેપગ્રસ્ત કેસ સામે આવ્યા નથી
આની અસર એ થઇ કે ચેપગ્રસ્ત દર્દીઓ સાજા થયા અને જિલ્લામાં વહીવટ, પોલીસ અને મેડિકલના ત્રિ-સ્તરના પ્રયત્નોની દરેક જગ્યાએ પ્રશંસા કરવામાં આવી. તમને જણાવી દઈએ કે હાલમાં જિલ્લામાં કોઈ નવા ચેપગ્રસ્ત કેસ સામે આવ્યા નથી અને ભિલવાડામાં છેલ્લા 17 દિવસથી કર્ફ્યુ લગાવાયો છે. અહીં ત્રણ હજાર પોલીસ કર્મચારી અને એક ડઝન વરિષ્ઠ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.