મહારાષ્ટ્રમાં નાગપુર શહેરમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ હોવાની ખુદ મંત્રીએ પુષ્ટિ કરી છે.
મહારાષ્ટ્રના નાગપુરમાં કોરોનાના કેસો વધ્યા
નાગપુર શહેરમાં બમણી ગતિથી વધવા લાગ્યા કેસો
નાગપુરમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ
ઊર્જા મંત્રી નીતિન રાઉતે ત્રીજી લહેરની પુષ્ટિ કરી
મહારાષ્ટ્રના ઊર્જા મંત્રી નીતિન રાઉતે કરી જાહેરાત
રાજ્યના ઊર્જા મંત્રી નીતિન રાઉતે જણાવ્યું કે જે રીતે નાગપુરમાં કોરોનાના કેસો બમણી ગતિએ વધી રહ્યાં છે તે પરથી એવું કહી શકાય કે નાગપુરમાં કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી છે, તેથી આપણા વધારે સાવધાન રહેવાની જરુર છે.
રાઉતે કહ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક બોલાવવામાં આવશે. તે ઉપરાંત શહેરના કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધો લગાડવાનો પણ નિર્ણય લેવાયો છે. જોકે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જનપ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવશે.
દુકાનો ખુલ્લી રાખવાનો ટાઈમ ઘટાડવામાં આવશે
નીતિન રાઉતે ભવિષ્યના પ્રતિબંધોની રુપરેખા અંગે પણ જણાવ્યું. તેમણે કહ્યું કે હાલમાં 78 ટકા સેમ્પલ જીનોમ ટેસ્ટિંગ માટે મોકલાયા છે. તે ઉપરાંત જે રેસ્ટોરન્ટ રાતના 10 સુધી ખુલ્લી રહેતી હતી તેમને હવે રાતના 8 સુધી તથા જે દુકાનો 8 વાગ્યા સુધી ખુલ્લી રહેતી હતી તેમને હવે 4 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવશે.
મંત્રીએ જણાવ્યું કે શનિ-રવિવારે બજાર બંધ રાખવી પડશે. જોકે આ નિયમ હજુ લાગુ પાડવામાં આવ્યો નથી પરંતુ તેના પર ટૂંક સમયમાં નિર્ણય થવાની શક્યતા છે.