ઘરમાં તુલસીનો છોડ હોવો સારુ ગણાય છે કારણ કે તુલસી એ પવિત્ર છોડ છે. તેની પૂજા કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે પરંતુ કેટલીક ભૂલ કરશો તો લક્ષ્મીજી પણ થશે નારાજ
પવિત્ર તુલસીની પૂજાથી અઢળક લાભ
પરંતુ પૂજા કરવા દરમિયાન રાખવી ખાસ કાળજી
નહી તો તુલસીની પૂજાનું વિપરીત પરિણામ મળી શકે
ઔષધીય ગુણોથી ભરપૂર અને પવિત્ર એવી તુલસીને હિંદુ ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ અને પૂજનીય માનવામાં આવે છે. કહેવાય છે કે દરેક વ્યક્તિએ ઘરમાં તુલસીનો છોડ તો હોવો જ જોઇએ. કહેવાય છે તે તુલસી વિષ્ણુ ભગવાનને પ્રિય છે. તુલસી વિના ભગવાન વિષ્ણુની પૂજા અધુરી ગણાય છે. કૃષ્ણમંદિરોમાં તો તુલસી વિના ભગવાનને ભોગ પણ ચઢાવવામાં આવતો નથી.
તુલસી હોય ત્યાં મા લક્ષ્મીનો વાસ હોય છે
એવું માનવામાં આવે છે કે નિયમિત તુલસીની પૂજા કરવાથી દેવી લક્ષ્મીની કૃપા વરસે છે અને ભક્તોના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ રહે છે. ભગવાન વિષ્ણુને પણ તુલસી ખૂબ પ્રિય છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને વિધિ-વિધાન પ્રમાણે તેની નિયમિત પૂજા કરવામાં આવે છે. ઘરમાં લગાવવામાં આવેલ તુલસીનો છોડ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. પરંતુ તુલસીના છોડની પૂજા દરમિયાન કરવામાં આવેલી ભૂલોને કારણે તમારે વિપરીત પરિણામોનો સામનો કરવો પડી શકે છે. ત્યારે આવો જાણીએ તુલસી છોડ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
તુલસીની પૂજા કરતી વખતે રાખો આ વાતોનું ધ્યાન
એવું માનવામાં આવે છે કે તુલસીના છોડને નિયમિત રીતે જળ ચઢાવવું અને પૂજા કરવી શુભ છે. પરંતુ શાસ્ત્રોમાં રવિવાર અને એકાદશીના દિવસે તુલસીના છોડને જળ ચઢાવવાની મનાઈ છે. આ દિવસે સાંજે તુલસી પાસે દીવો ન કરવો. તેમજ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના દિવસે પણ તુલસીના છોડને જળ ચઢાવવાની મનાઈ છે.
તુલસીના પાન ક્યારેય બગડતા નથી અથવા વાસી થતા નથી, તેથી તેના પાંદડા ફેંકવા ન જોઈએ. તે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ પાનનો ઉપયોગ પૂજામાં પણ કરી શકાય છે.
ધાર્મિક માન્યતા છે કે સાંજના સમયે પૂજા કે ભોગમાં ઉપયોગ કરવા માટે તુલસીના પાન ક્યારેય ન તોડવા જોઈએ. આમ કરવાથી વ્યક્તિને પાપ લાગે છે.
આ દિવસે તુલસીના પાન ન તોડવા જોઇએ
રવિવારે તુલસીના પાન ન તોડવા જોઈએ. આ દિવસે તુલસી તોડવાથી ભગવાન વિષ્ણુ તમારાથી નારાજ થાય છે
વિષ્ણુ પુરાણ અનુસાર, એકાદશી, દ્વાદશી, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ પર પણ તુલસી તોડવી જોઈએ નહીં. કારણ કે તેનાથી ઘરમાં ઝઘડો થાય છે.
સૂર્યાસ્ત પછી તુલસીને ક્યારેય ન તોડવી જોઈએ અને જો શક્ય હોય તો સવારે જ તુલસીને તોડીને રાખો. તુલસીની ખાસ વાત એ છે કે તેના પાન ક્યારેય ખરાબ થતા નથી.