અમદાવાદઃ કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા સિને પ્રાઇડ સિનેમા પાસે બેન્ક ઓફ બરોડાના એટીએમને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ચોરથી એટીએમ ન તૂટ્યું તો તેઓ એટીએમ રૂમમાં મૂકેલ સીસીટીવીના ત્રણ કેમેરા, ત્રણ બેટરી અને રાઉટરની ચોરી કરી લઇ ગયા હતા. આ મામલે કૃષ્ણનગર પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નરોડા વિસ્તારમાં આવેલા સુવિધાપાર્કમાં રહેતા કૃષ્ણનગરની બેંક ઓફ બરોડાના બ્રાન્ચ મેનેજર સીન્ટુભાઇ સહાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ગઈ કાલે બ્રાન્ચ મેનેજર ઘરે હાજર હતા તે દરમિયાન બેન્કના પટાવાળાએ ફોન દ્વારા જાણ કરી હતી કે તેમના એટીએમ સેન્ટરના સીસીટીવી કેમેરાના વાયર કાપી નાખવામાં આવ્યા છે. આ એટીએમ રૂમમાં મોડી રાતે ચોર ઘૂસ્યા હતા.
આ ચોરોએ એટીએમમાંથી રૂપિયા કાઢવાનો પ્રયાસ કર્યો હતો, ૫રંતુ તેમનાથી રૂ૫િયા બહાર નીકળ્યા ન હતા. આથી ચોરી કરવા માટે આવેલા શખ્સો કશું તો લઈ જવું છે એમ માનીને ત્રણ કેમેરા તથા ત્રણ બેટરી અને એક રાઉટરની ૫ણ ચોરી કરી હતી. ચોરો એટીએમના દરવાજાનું સેન્સર તોડી નાખીને ફરાર થઇ ગયા હતા. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.