સુરતના વરાછા વિસ્તારમાં કારમાં આવતી ચોરની ટોળકીના આતંકથી લોકો પરેશાન થયા છે. ત્યારે હવે ફરી કારમાં આવતી ચોરની ટોળકીએ ચોરી કરી છે. વરાછા રોડ પર આવેલા ઉમિયા મંદિરની સામને ઘર અને દુકાનમાંથી કારમાં આવેલી ટોળકીએ ચોરી કરી હતી.
ચોરની ટોળકીએ મકાનમાંથી 60 હજાર અને 2 દુકાનમાંથી 4 હજાર રૂપિયાની ચોરી કરી હતી. ઈકો કારમાં આવતા ચોર CCTVમાં કેદ થયા હતા. મહત્વનું છે કે કારમાં આવતી 4 લોકોની ટોળકી ગયા સપ્તાહે પણ ચોરી કરી હતી. લાંબે હનુમાન રોડ પર ત્રિકમનગર રોહાઉસમાં ચોરની ટોળકીની ચોરી કરી હતી.
ઉલ્લેખનીય છે કે એક તરફ શિયાળાનો માહોલ જામ્યો છે ત્યારે તસ્કરોને પણ ચોરી કરવા માટે મોકળું મેદાન પ્રાપ્ત થયું હોય તેમ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. આજરોજ વહેલી સવારે આશરે પાંચ વાગ્યાના સુમારે વરાછા વિસ્તારમાં આવેલ ઉમિયા માતાજીના મંદિરની સામે આવેલા ઘરમાં અને દુકાનમાં ચોરીનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી.
કારમાં આવતી એક ટોળકીએ મકાન અને દુકાનમાં ઘુસીને 60 હજારથી વધારેની રકમની ચોરી કરી રવાના થયા હતા. જો કે સમગ્ર ઘટનાની જાણ સવારે થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘર અને દુકાનની આસપાસ આવેલ CCTV તપાસમાં કાર લઇને ચોરી કરવા આવેલ ટોળકી દેખાઇ આવી હતી. હાલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.