દિલ્હીમાં ફરી એકવાર 1500 થી વધુ કોરોનાના કેસ આવ્યા છે.
દેશભરમાં કોરોનાની નવી લહેર ચાલી રહી છે, આ લહેરને લઈને રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર પણ ચિંતિત છે, જો કે આ લહેરનો સૌથી વધુ માર આજકાલ દેશના બે મહાનગરોને વધુ સહન કરવો પડી રહ્યો છે, મહત્વનું છે કે કોરોનાના લીધે મુંબઈ અને દિલ્હીમાં કેસો વધતાં ચિંતા વધી રહી છે. દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 1534 નવા ચેપગ્રસ્ત દર્દીઓની પુષ્ટિ થઈ છે, અને મહારાષ્ટ્રના મુંબઇમાં 5515 કેસ મળી આવ્યા હતા.
બે મહાનગરોમાં કોરોના વ્રતાવી રહ્યો છે કહેર
આજે પણ દેશમાં કોરોના કેસોનો ગ્રાફ ઊંચે જ જઈ રહ્યો છે, ફરી એકવાર કોરોના વાયરસના કેસો વધી રહ્યા ત્યારે હવે એક દિવસમાં દેશમાં 50 હજારથી વધુ કોરોના વાયરસ સંક્રમિત કેસ બહાર આવી રહ્યા છે. દરમિયાન દેશની રાજધાનીમાં પણ કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે પણ દેશના બે પ્રમુખ મહાનગરો ગણાતા દિલ્હી અને મુંબઈમાં કોરોનાનો કહેર ચાલુ રહ્યો હતો અને બંને મહાનગરોમાં આજે પણ કેસોની સંખ્યા તેમના ગઈ કાલના માર્ક અનુક્રમે 1500 અને 5000થી વધુની જ રહી હતી.
દિલ્હીમાં ફરી એકવાર 1500થી વધુ કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની પુષ્ટિ થઈ છે. દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1534 નવા ચેપગ્રસ્ત દર્દીઓની પુષ્ટિ થઈ છે. જો કે આના એક દિવસ પહેલા એટલે કે ગઈ કાલે 1515 કોરોના કેસ આવ્યા હતા. આ સાથે જ દિલ્હીમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 6,54,276 જેટલી થઈ ગઈ છે.
કોરોનાને કારણે મોત
છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાને કારણે 9 લોકોનાં મોત નીપજ્યાં છે. દિલ્હીમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 10,987 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 971 કોરોના દર્દીઓ રિકવર થયા છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં 6,37,238 કોરોના દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે.
જો કે હાલની પરિસ્થિતિએ દિલ્હીમાં 6051 એક્ટિવ કોરોના દર્દીઓ છે. સત્તાવાર આંકડા અનુસાર, ગયા વર્ષે 16 ડિસેમ્બર પછી એક જ દિવસમાં આ સૌથી વધુ સંક્રમણના કેસ આજે નોંધાયા છે. તે દિવસે 1547 નવા કેસ નોંધાયા હતા. દિલ્હીમાં હવે 1307 કન્ટેઇનમેન્ટ ઝોન છે.
શું છે મહારાષ્ટ્રની સ્થિતિ ?
મહારાષ્ટ્રમાં આજે પણ કોરોનાની સ્થિતિ ખૂબ જ ગંભીર રહી હતી અને આજે રાજ્યમાં 37 હજાર જેટલા કેસોની પુષ્ટિ થઈ છે, આંકડા અનુસાર આજે મહારાષ્ટ્રમાં 36902 કેસ આવ્યા હતા, જ્યારે કે મુંબઈમાં આજે 5515 નવા કેસ મળ્યા હતા.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં લગાતાર કેસોની સંખ્યા વધી રહી છે અને આ સંખ્યા રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે, પહેલાથી જ મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાઓએ સ્થાનિક તંત્ર દ્વારા લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂ જેવા પગલાં અમલમાં છે, પણ આજે સીએમ ઉદ્ધવ ઠાકરેએ આદેશ આપ્યો હતો કે આખા રાજ્યમાં 28 માર્ચથી નાઈટ કર્ફ્યૂનો અમલ કરવામાં આવે, અને તંત્ર દ્વારા પહેલા જ ચેતવણી આપવામાં આવી છે કે જો આ સ્થિતિ નહીં સુધરે તો લોકડાઉનનો વિકલ્પ પણ લાગી શકે છે.