લોકસભાની ચૂંટણી નજીક આવતાં દેશના બંને દિગ્ગજ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે હવે જે તે વિસ્તારના સ્થાનિકો પોતાની સમસ્યાનો ઉકેલ ન આવતાં વિવિધ સ્થળે પોસ્ટરો લગાવી
ચૂંટણીના બહીસ્કારની ચીમકી આપી રહ્યા છે.
ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલ પારિજાતક વિહાર સોસાયટીના ગેટ બહાર ચૂંટણી બહિષ્કારના પોસ્ટર લાગ્યા બાદમાં જુના ભરૂચ વિસ્તારમાં જુતાનો હાર પહેરાવવાની ચીમકી સાથે પ્રચાર પર પ્રતિબંધ અને સમસ્યાઓનું નિવારણ નહીં આવે તો લાલવાડી, પીરકાઠી વિસ્તારના લોકોએ પણ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા છે, જોત જોતામાં બહિષ્કારના બેનરો શહેરમાં ગુંજવા લાગ્યા અને ગત રોજ વધુ ચાર સોસાયટીના રહીશોએ બેનર લગાવી વિરોધ નોંધાવ્યો છે. ભરૂચમાં અત્યાર સુધી કુલ ૭ સોસાયટીના હજારો રહીશોએ પોતાની સમસ્યાઓ અંગે બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે,
ભરૂચ શહેરના ઉમરાજ ગામની હદમાં ચાર સોસાયટીઓ અર્બુદાનગર-1, અર્બુદાનગર-2, વેદાંત સોસાયટી તથા આરાધના સોસાયટીઓમાં 360 જેટલા મકાનો આવેલા છે. ચારેય સોસાયટીના વરસાદી તથા ઘર વપરાશના પાણીનો નિકાલ સર્વે નં, 133/134/135 ની ખુલ્લી જમીનમાંથી થતો હોય છે. ભવિષ્યમાં જયારે પણ આ સર્વે નંબરમાં બાંધકામ અંગેની મંજૂરી આપવામાં આવશે. ત્યારે પાણીનો નિકાલ અટકી જશે. પાણીના નિકાલ માટે જીએસીએલ કોલોની સર્વે નંબરની જમીન અથવા ગણેશ પાર્કના મુખ્ય રસ્તામાં થઇ હાલમાં નવી બનાવવામાં આવેલ ભૂગર્ભ ગટરમાં જોડાણ આપવાની માંગ રહીશો કરી રહયાં છે.
આ સોસાયટીના રહીશો એ અગાઉ સપ્ટેમ્બર તથા જાન્યુઆરી મહિનામાં આવેદનપત્ર આપી રજૂઆતો કરાઇ હતી. સાત મહિના થઇ જવા છતાં કોઇ જ કાર્યવાહી નહી થતાં શનિવારે સોસાયટીના રહીશો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં અને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સોસાયટીઓમાં રાજકીય પક્ષોએ પ્રચાર માટે તથા વોટ માંગવા આવવું નહીં તેવા બેનર્સ લગાવી દેવાયાં છે.
બીજી તરફ બનાસકાંઠાના ડીસામાં ચંદ્રલોક રોડ પર સ્થાનિકોએ ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી છે. ચંદ્રલોક વિસ્તારમાં રોડ રસ્તા, ગટરના અધૂરા કામના કારણે સ્થાનિકો પરેશાન છે.. રસ્તા અને ગટરનો કામ પૂર્ણ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોએ નેતાઓને પ્રવેશ ન કરવાના બેનર લગાવ્યા છે અને વોટ માગવા માટે ન આવવાના બેનર લગાવ્યા છે. રસ્તા-ગટર ખરાબ છે, બીમાર પડશોના સ્થાનિકોએ બેનર લગાવ્યા છે.