આજથી દેશવ્યાપી લોકડાઉન વચ્ચે અનેક પ્રકારની છૂટ આપવામાં આવી છે જેનું અમલીકરણ શરુ થશે. વધતી ગરમીને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિશિયન, મિકેનિક, પ્લમ્બર અને સુથારને કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ તેની સાથે કેટલીક શરતો છે જેનું પાલન કરીને જ મિકેનિકે ઘરની બહાર નીકળવાનું છે અને ગ્રાહકોએ સુવિધાનો લાભ લેવાનો છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ પ્રકારના વેચાણ પર પ્રતિબંધ ચાલુ રહેશે પરંતુ રિપેર સેવા ફરી ચાલુ કરવામાં આવી છે. જો કે અલગ અલગ રાજ્યો વિવિધ પ્રકારની છૂટનો અમલ કરી રહ્યા છે. જ્યાં કોરોનાના વધુ કેસો છે ત્યાં આ સેવાઓ પર હજી પણ પ્રતિબંધ છે. સરકારના આદેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે એવા જ વિસ્તારોમાં થોડી છૂટછાટ મળશે જ્યાં કોરોના કેસ નથી અથવા કેસ નિયંત્રણમાં છે. ગ્રીન ઝોન માં આ સેવાઓમાં છૂટ આપવામાં આવી રહી છે. પરંતુ દુકાનો હજુ પણ બંધ જ રાખવી પડશે. એવામાં સવાલ એ ઉભો થાય છે કે જ્યારે રીપેરીંગ વગેરે માટે માલસમાન અને સાધનો જ ઉપલબ્ધ ન હોય ત્યારે પંખો, AC અથવા પ્લમ્બર કેવી રીતે કામ કરી શકશે.
આ સેવાઓ લેવા માટે કઈ શરતો છે?
હવે પ્રશ્ન એ છે કે AC-કુલરના મિકેનિક અથવા પ્લમ્બર અને સુથારની સેવાઓ લેવા શું શરતો છે. સૌ પ્રથમ તમારા વિસ્તારમાં કોરોના કેસ ન હોવા જોઈએ. બીજું તમારું ક્ષેત્ર ગ્રીન ઝોનમાં હોવું જોઈએ રેડ ઝોન માં નહીં એટલે કે, ત્યાં કોરોનાના કોઈ હોટસ્પોટ્સ નથી. આ પછી તમે મિકેનિકને કોલ કરીને તમારા ઘરે બોલાવી શકો છો.
મિકેનિક માટેના નિયમો
જ્યારે તમે મિકેનિકને કોલ કરશો તો તેઓ સીધા તમારા ઘરે નહીં પહોંચી શકે. આ માટે મિકેનિક , પ્લમ્બર અને સુથારે એક પાસ બનાવવાની જરૂરિયાત રહેશે. મિકેનિકને દર્શાવવું પડશે કે તેનું ઘર ગ્રીન ઝોનમાં છે અને તે આ જ ત્રિજ્યામાં સેવા આપવા માટે ઉપલબ્ધ છે, ત્યારબાદ જ તેને પાસ આપવામાં આવશે.
કેવી રીતે પાસ મળશે
આદેશ પછી જ સમગ્ર દેશમાં આ તમામ પ્રકારના કામ શરુ થશે. આ માટે પ્લમ્બર , સુથાર , કમ્પ્યુટર મિકેનિક, મોટર મિકેનિકે પોતાના વિસ્તારની પાલિકા, ગ્રામ પંચાયત અથવા પોલીસ કે જિલ્લા કચેરીએ તેના ઓળખ પુરાવા આપીને પાસ કઢાવવાનો રહેશે. વિભાગને એ જણાવવું પડશે કે તમારી રોજગાર શું છે. હરિયાણાના કેટલાક જિલ્લાઓમાં AC, કુલર, પંખાની કેટલીક રીપેરીંગની દુકાનોને સવારે 7 થી 10 સુધી અને સાંજે 4 થી 7 સુધી ખુલ્લી રાખવાની પરવાનગી મળી છે. આ માટે મિકેનિકે https://saralharyana.gov.in/ પોર્ટલ ઉપર પરવાનગી લેવાની રહે છે.
આ પરિસ્થિતિમાં જો તમારા વિસ્તારમાં કોરોનાના કેસીસ નથી તો તમે આ સુવિધાનો લાભ લઇ શકો છો. આ માટે તમારે ઓનલાઇન અથવા ફોન કરીને મિકેનિકને ઘરે બોલાવવાનો રહેશે. જો કે સરકાર સ્પષ્ટ કહ્યું છે કે જો આ પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન થશે તો બંને પક્ષો સામે સખત કાર્યવાહી થશે. સર્વિસ આપતી વખતે પણ સોશ્યલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.