સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ પાન કાર્ડ સંબંધી નિયમોમાં ફેરફાર કર્યા છે. જે 31 માર્ચ બાદ લાગુ થશે.
વિશિષ્ટ ગ્રાહક કોડના નિયમમાં ફેરફાર
ઇ-પેનનો ઉપયોગ વધારવા ભલામણ
31 માર્ચ પહેલા આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિન્ક કરવું ફરજિયાત
SEBI એ કર્યો નિયમોમાં ફેરફાર
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ પાન કાર્ડ લેવા અને જાળવી રાખવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. સાથોસાથ ઇ-પેનનો ઉપયોગ વધારવા માટે ભલામણ કરી હતી. આ માટે કેટલાંક સૂચનો પણ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય બજેટ 2020માં તાકીદે ઇ-પેન સુવિધા ઉપલબ્દ કરાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટે ઇ-પેન સુવિધાની શરૂઆત કરી હતી જે બાયોમેટ્રિક પદ્ધતિને આધારે કેવાયસી દ્વારા તાત્કાલિક મેળવી શકાય છે.
યુનિક ક્લાયન્ટ કોડ સંબંધિત નિયમમાં ફેરફાર
માર્કેટ રેગ્યુલેટર સેબીએ વિશિષ્ટ ગ્રાહક કોડ (યુસીસી) અને પાનની ફરજિયાત આવશ્યકતાને લગતી જોગવાઈઓમાં ફેરફાર કર્યો છે. નિયામકે જણાવ્યું છે કે કોમોડિટી ડેરિવેટિવ્ઝ સાથેના એક્સચેન્જના સભ્યોએ તેમના તમામ ગ્રાહકો માટે કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં વ્યવહાર કરવા માટે યુસીસીનો ઉપયોગ કરવો ફરજિયાત રહેશે. આવા એક્સચેન્જના સભ્યોને યુસીસીની વિગતો 'અપલોડ' કર્યા વિના વેપાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આવા તમામ સદસ્યોએ પાન કાર્ડ મેળવ્યા બાદ તેને પોતાના કાર્યાલયનાં રેકોર્ડમાં રાખવા જરૂરી છે. જો કે ઇ-પેનનાં મામલે સદસ્યોએ ઇન્કમ ટેક્સ વિભાગની વેબસાઇટ પર ઇ-પેન વેરીફાય કરાવવો પડશે અને ત્યાર બાદ પોતાના રેકોર્ડમાં સોફ્ટ કોપી પણ રાખવાની રહેશે.
પાન કાર્ડને આધાર સાથે લિન્ક કરવું ફરજિયાત
ઇન્કમ ટેક્સ વિભાગે તમામ પાન કાર્ડને આધાર સાથે લિન્ક કરવા ફરજિયાત કરી દીધા છે. માટે જો તમે તમારા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિન્ક ન કર્યું હોય તો ચેતી જજો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ પાન કાર્ડ અને આધાર કાર્ડને લિન્ક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ નક્કી કરી છે. જો માર્ચ મહિનાના અંત સુધીમાં આ કામ નહીં કરો તો તમારું પાન કાર્ડ નકામું થઈ જશે અને ઇન્કમ ટેક્સ અધિનિયમની ધારા 272-બી પ્રમાણે તમારા પર 10 હજાર રૂપિયા સુધીનો દંડ પણ લાગુ કરવામાં આવી શકે છે.