ઘનશ્યામ નાયકના અવસાન બાદ મનોરંજન જગતથી લઇને સોશ્યલ મીડિયા સુધી લોકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યાં છે પરંતુ શોના આ કલાકાર જ અંતિમસંસ્કારમાં ગેરહાજર કેમ?
નટુકાકાના અંતિમ દર્શન કરવા પહોંચી ટીમ
આ એક્ટર્સ રહ્યાં ગેરહાજર
બાઘાએ કહી પીડાદાયક વાતો
TMKOCની ટીમ થઇ અંતિમયાત્રામાં સામેલ
ઘનશ્યામ નાયકના નિધનથી સમગ્ર મનોરંજન જગતમાં શોકની લાગણી પ્રસરાઇ ગઇ છે. આજે તેમના અંતિમસંસ્કારમાં દિલીપ જોશી, પ્રોડ્યુસર અસિત મોદી અને ભવ્ય ગાંધી તેમજ રાજ અનડકટ સામેલ થયા હતા. મુનમુન દત્તા અને મંદાર કે જે ભીડેનું પાત્ર ભજવે છે તે પણ અંતિમ દર્શને પહોંચી ગયા હતા. ભવ્ય ગાંધી સાથે સમય શાહ કે જે ગોગીનું પાત્ર ભજવે છે તે પણ સામેલ થયો હતો. નટુકાકાના ભત્રીજો એટલે કે તન્મય વેકરીયા પણ ત્યાં હાજર હતો.
આ લોકો રહ્યાં ગેરહાજર
ટીવી સ્ક્રીન પર એકદમ પરફેક્ટ પાડોશી દેખાતા ગોકુલધામવાસીઓ આજે જ્યારે ઘનશ્યામ નાયકનું અવસાન થયું છે તો છુટાછવાયા પહોંચ્યા હતા. તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢા ગેરહાજર રહ્યો હતો. નટુકાકાને વિદાય આપવા માટે ઘણાખરાં ગોકુલધામવાસી નહોતા આવ્યા. ટીવી પર દેખાતી આ સો કોલ્ડ હેપ્પી એન્ડ સપોર્ટીવ ફેમિલી ખરેખર જ્યારે હાજર રહેવાનું આવે ત્યારે ગેરહાજર કેમ રહી? આ વાતનો કોઇ ખુલાસો થયો નથી. માધવી એટલે કે સોનાલિકા, અંજલિ એટલે કે સુનયના, ઐયર, શોનો ડિરેક્ટર માલવ રાજદા, ગોલી, પલક સિંધવાણી, દિશા વાકાણી, અમિત ભટ્ટ જેવા કલાકારો ગેરહાજર રહ્યાં હોવાની અટકળો વહેતી થઇ છે.
ઘનશ્યામ નાયકે કરી હતી પોસ્ટ - 'અંતિમ શ્વાસ સુધી અભિનય સાથે જોડાયેલો રહીશ'
છેલ્લા 13 વર્ષથી માત્ર ગુજરાતીઓ જ નહિ પરંતુ દેશ-વિદેશના ખૂણે-ખૂણે દર્શકોના લોક હૃદય પર બિરાજિત સીરીયલ તારક મહેતા કા ઉલટા ચશ્માના લોકપ્રિય પાત્ર નટુકાકા (ઘનશ્યામ નાયક)નું નિધન થતા ગુજરાતી રંગભૂમિ ગુજરાતી ચલચિત્ર જગત અને હિન્દી ફિલ્મ/ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફરી વળી છે. ઘનશ્યામ નાયક ઉર્ફ નટુકાકા છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. મૂળ ઉત્તર ગુજરાતના વડનગરના ઉંઢઇ ગામના વતની હતા. ઘનશ્યામ નાયકનો જન્મ 12 મે 1944માં થયો હતો. ત્રણ મહિના પહેલા નટુ કાકાને કેન્સર ડિટેક્ટ થયું હતું. તેમને પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેઓ પોતાના અંતિમ શ્વાસ સુધી અભિનય સાથે જોડાયેલા રહી દર્શકોનું મનોરંજન કરતા રહેશે.
બાઘાએ જણાવી દાસ્તાં
ઘનશ્યામ નાયકની બીમારી દરમિયાન તન્મય તેમના પરિવાર સાથે સંપર્કમાં રહેતો હતો. ઇન્ટરવ્યૂમાં તન્મયે કહ્યું કે, 'તે છેલ્લા 2-3 મહિનાથી ખુબ તકલીફમાં હતા અને મને એવું લાગે છે કે હવે તે સારી જગ્યાએ છે. હું સતત તેમના દિકરા સાથે સંપર્કમાં હતો. તેમણે જણાવ્યું કે નટુકાકા ખુબ દર્દમાં હતા અને તેના કારણે તેઓ અજીબ વ્યવહાર કરવા લાગ્યા હતા. તે ખાવાનું તો દુર પાણી પણ નહોતા પી શકતા. તેઓ ખુબ મુશ્કેલ સમયમાંથી પસાર થયા હતા. એક રીતે હવે તે ભગવાન પાસે સુરક્ષિત છે. તેમની આત્માને શાંતિ મળે.'