કોહલીએ અહીંના મેદાનનો છેલ્લાં ચાર વર્ષના રેકોર્ડ નજરઅંદાજ કર્યો, ચાર વર્ષમાં ત્રણ ટેસ્ટ રમાઈ અને પ્રથમ બેટિંગ કરનારી ટીમ બધી જ ટેસ્ટ મેચ હારી ગઈ છે
ટીમ ઇન્ડિયાનું સૌથી ખરાબ પફોર્મન્સ
4 ભૂલના કારણે સિરીઝ હાથમાંથી ગઇ
સુનીલ ગવાસ્કરને ફોન કરી લીધી સલાહ
ટીમ ઇન્ડિયાએ લોર્ડ્સમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ઈંગ્લેન્ડ સામે લીડ્સમાં ગઈ કાલથી શરૂ થયેલી ત્રીજી ટેસ્ટમાં ઘૂંટણ ટેકવી દીધા.
શ્રેણીમાં ૧-૦ની સરસાઈ લીધા બાદ ટીમ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને શ્રેણીમાં વાપસી કરવાની તક આપી દીધી. ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જ ટીમ ઇન્ડિયા ૭૮ રનનાં કંગાળ સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. ઈંગ્લેન્ડે પ્રથમ ઇનિંગ્સના આધાર પર ૪૨ રનની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં ટીમ ઇન્ડિયાને ચાર ભૂલ ભારે પડી ગઈ, જેના કારણે ભારતીય ટીમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જ પરાજય ભણી ધકેલાઈ ગઈ છે.
ટોસ જીતીને બેટિંગ કરવાનો ખોટો નિર્ણય
ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, જે ભારત માટે ઘાતક સાબિત થયો. પ્રથમ દિવસે સવારનાં સેશનમાં પીચમાંથી ઈંગ્લેન્ડના બોલર્સને ઘણી મદદ મળી અને તેમણે ટીમ ઇન્ડિયાની બેટિંગને પત્તાંની મહેલની માફક ધરાશાયી કરી નાખી. કોહલીએ અહીંના મેદાનનો છેલ્લાં ચાર વર્ષના રેકોર્ડને નજરઅંદાજ કર્યો. આ સમય દરમિયાન ત્રણ ટેસ્ટ રમાઈ અને પ્રથમ બેટિંગ કરનારી ટીમ બધી જ ટેસ્ટ મેચ હારી છે. આમાંની બે ટેસ્ટ ઈંગ્લેન્ડે જીતી છે અને એક મેચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ઈંગ્લેન્ડનો પરાજય થયો હતો. આ દરમિયાન ત્રણેય મેચની પ્રથમ ઇનિંગ્સમાં ૨૫૮, ૧૭૪ અને ૧૭૯ રન બન્યા. એટલે કે ટીમ બે વાર ૨૦૦ રનનો સ્કોર પણ નોંધાવી શકી નથી, જ્યારે ગઈ કાલે તો ટીમ ઇન્ડિયા ત્રણ આંકડાનો સ્કોર પણ નોંધાવી શકી નહીં.
ઓપનિંગ બેટ્સમેનોની ખરાબ શરૂઆત
લોર્ડ્સમાં સદી ફટકારનારો કે. એલ. રાહુલ ગઈ કાલે ખાતું પણ ખોલાવી શક્યો નહીં અને જેમ્સ એન્ડરસનનો શિકાર બની ગયો. રાહુલ આઉટ થતાં જ ભારતનો મિડલ ઓર્ડર વિખેરાઈ ગયો. ભારતીય બેટ્સમેનોએ ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર છેડછાડ કરવાનું નુકસાન ભોગવવું પડ્યું અને ટોચના પાંચ બેટ્સમેન વિકેટકીપર જોસ બટલરને કેચ આપી બેઠા. રોહિત શર્મા પણ કંઈ ખાસ ઉકાળી શક્યો નહીં અને ૧૯ રન બનાવીને આઉટ થઈ ગયો.
કોહલી, પૂજારા અને રહાણે એકસાથે ફ્લોપ રહ્યાા
દર વખતની જેમ આ ટેસ્ટમાં પણ કેપ્ટન વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે એકસાથે ફ્લોપ રહ્યા. ચેતેશ્વર એક રન, કોહલી સાત રન અને રહાણે ૧૮ રન બનાવીને આઉટ થઈ ગયા. ઈંગ્લેન્ડના બેટ્સમેનોની શાનદાર સ્વિંગ બોલિંગ સામે આ ત્રણેય બેટ્સમેને શરણાગતિ સ્વીકારી લીધી. આ ત્રણેયમાંથી કોઈ એક જો ક્રીઝ પર ટક્યો હોત તો ભારતીય ટીમની આટલી ખરાબ હાલત ના હોત.
ભારતીય બોલર્સનું કંગાળ પ્રદર્શન
બેટ્સમેનો બાદ ભારતના બોલર્સે પણ બહુ જ નિરાશ કર્યા. ઈંગ્લેન્ડે ભારતને પહેલી ઇનિંગ્સમાં માત્ર ૭૮ રનમાં સમેટ્યા બાદ પોતાના ઓપનિંગ બેટ્સમેનો હસીબ હમીદ અને રોરી બર્ન્સની સદીની ભાગીદારીથી એક પણ વિકેટ ગુમાવ્યા વિના ૧૨૦ રન બનાવીને ટેસ્ટ મેચ પર પોતાની પકડ જમાવી દીધી છે. ઈંગ્લેન્ડે પહેલી ઇનિંગ્સના આધાર પર ૪૨ રનની સરસાઈ મેળવી લીધી છે અને તેમની બધી જ વિકેટ હજુ અકબંધ છે.
ગાવસ્કરની વિરાટને સલાહ, ‘સચીનને ફોન કરી પૂછ- હું શું કરું?’
એક સમયના દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે કેપ્ટન વિરાટ કોહલીને ખરાબ ફોર્મમાંથી છુટકારો મેળવવા માટે ભૂતપૂર્વ મહાન બેટ્સમેન સચીન તેંડુલકરની મદદ લેવા માટે કહ્યું છે. ગાવસ્કરે ગઈ કાલે કહ્યું, ''કોહલીએ તરત સચીનને ફોન કરીને પૂછવું જોઈએ કે હું શું કરું? કોહલી આવું કરી શકે છે, જેવું સચીને સિડનીમાં કર્યું હતું. વિરાટે ખુદને કહેવું જોઈએ કે હું કવર ડ્રાઇવ નહીં રમું.'' વિરાટ ગઈ કાલે માત્ર સાત રન બનાવીને એન્ડરસનનો સાતમી વાર શિકાર બન્યો. ઉલ્લેખનીય છે કે ૨૦૦૩-૦૪ની ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી દરમિયાન સિડની રમાયેલી ટેસ્ટ દરમિયાન સચીને ધીરજથી બેટિંગ કરી હતી. તેણે એ સમયે ૪૩૬ બોલનો સામનો કર્યો હતો, પરંતુ એક કવર ડ્રાઇવ શોટ રમ્યો નહોતો.