તાપી જિલ્લામાં આવેલ ઉકાઈ ડેમનું જળસ્તર દિન પ્રતિદિન ઘટી રહ્યું છે. હાલ ડેમ માં લાઈવ સ્ટોરેજ 10.82 % જેટલો બચ્યો છે. જે ગયા વર્ષની સરખામણીએ અડધો જ છે અને 15 જુલાઈ સુધી જ પીવાના પાણીનો જથ્થો ચાલે તેમ છે.
ઉકાઈ ડેમમાંથી હાલ પીવાના પાણી સાથે સિંચાઈ માટે પણ પાણી અપાઈ રહ્યું છે પરંતુ થોડા સમય પછી સિંચાઈનું પાણી બંધ કરી દેવાશે. જેને લઈ ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા છે.દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમા ઉકાઈ ડેમ માં પાણી દિન પ્રતિદિન ઓછું થવાના કારણે તેના પર નભતા લોકો માથે ચિંતાના વાદળો છવાયા છે. .આ ડેમ માંથી સુરત, નવસારી,વલસાડ,તાપી સહીત ભરૂચ નર્મદા જિલ્લાના કેટલાક ગામોના લોકો નભે છે.
ઉલ્લેખનીય છે કે, ઉકાઈ ડેમમાં પાણીનું લેવલ 288 ફૂટની આસપાસ છે, જેમાંથી પાણીનો લાઈવ જથ્થો 10.82 % જેટલો જ બચ્યો છે. આ પાણીનો જથ્થો 15 જુલાઈ સુધી જ ચાલે તેમ છે. જેને પગલે ડેમના સત્તાધીશો પણ લોકોને પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવાની અપીલ કરી રહ્યા છે.
સિંચાઈ માટે 15 મે સુધીજ પાણી અપાશે તેવું સત્તાધીશો જણાવી રહ્યા છે, બાદ પીવાના પાણી નેજ પ્રાધાન્ય અપાશે, સિંચાઈ માટે પાણી આગામી દિવસોમાં બંધ થશે તે સાંભળી તેના પર નિર્ભર હજારો ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે, અને યેનકેન પ્રકારે સરકાર તેમનો ઉભો પાક બચાવી લે તેવી માંગ કરી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે, છેલ્લા ત્રણ ચાર વર્ષથી ઉકાઈ ડેમના ઉપરવાસ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી પાણીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, જેનું મુખ્ય કારણ ડેમના કેચમેન્ટ વિસ્તાર મહારાષ્ટ્ર રાજ્યમાં બનેલા પ્રકાશા ,શિવખેડા, હથનુર,સાળંગખેડા, ગીરના અને પંડાલશા જેવા ડેમો છે.
ઉપરથી છેલ્લા બે ત્રણ વર્ષ થી ચોમાસુ પણ નિષ્ફ્ળ રહ્યું છે, જેથી લોકોએ આવનાર જળ સંકટથી બચવું હોય તો બચેલાં પાણીનો કરકસરયુક્ત ઉપયોગ જ એક માત્ર વિકલ્પ છે. નહિતર આવનાર દિવસો પાણી વગર ચોક્કસ પણે કપરા સાબિત થશે.