ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય નેતાઓએ જોરશોરથી પ્રચાર કરીને અઘોષિત રૂપથી ચૂંટણીને એકતરફી બનાવી દીધી. દરેક જગ્યાએ માત્ર ભાજપ-ભાજપ જ દેખાતું હતું.
ગુજરાતની ચૂંટણીમાં એન્ટી ઈન્કમ્બન્સીનો માહોલ ન બની શક્યો
PM મોદી-અમિત શાહે જોરશોરથી પ્રચાર કરી બનાવ્યો ભાજપનો માહોલ
ગત વખત કરતા પણ ઓછા મતદાનના છે આ કારણો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં અપેક્ષા કરતાં ઓછા મતદાને અનેક રાજકીય પક્ષોની ચિંતા વધારી દીધી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે એકતરફી ચૂંટણી થવાને કારણે આવું થયું છે. વાસ્તવમાં આ ચૂંટણીમાં વિપક્ષની ભૂમિકા ખૂબ જ નબળી રહી. જ્યારે સત્તાધારી પક્ષ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય નેતાઓ જોરશોરથી પ્રચાર કરતા રહ્યા. જેના કારણે રાજ્યમાં એન્ટી ઈન્કમ્બન્સીનો માહોલ પણ ન બની શક્યો. તેનો સીધો ફાયદો સત્તાધારી ભાજપને મળતો જોવા મળી રહ્યો છે. જો કે, હજુ બીજા તબક્કાનું મતદાન થવાનું બાકી છે.
હાલ પરિણામને લઈને કંઈ કહી શકાય નહીં
આવી સ્થિતિમાં પરિણામને લઈને હાલ તો કંઈ કહી શકાય તેમ નથી, પરંતુ પ્રથમ તબક્કાના મતદાનમાં એ તો સ્પષ્ટ થઈ ગયું છે કે જે માહોલ મીડિયામાં દેખાઈ રહ્યો હતો, તે ગુજરાતની જમીન પર ન બની શક્યો. રાજકીય વિશ્લેષકોના મતે આ વખતે ગુજરાતની ચૂંટણીમાં ઓછું મતદાન અણધાર્યું નથી. આવી સ્થિતિની આશંકા પહેલાથી જ હતી. વાસ્તવમાં તેની પાછળ ઘણા કારણો છે, જેના કારણે મતદારો મતદાન મથક તરફ આકર્ષિત ન થઈ શક્યા. ઉલટાનું મતદાન માટે મળેલી રજાઓનો લોકોએ પિકનિક મનાવવા માટે ઉપયોગ કર્યો.
એકતરફી ચૂંટણી મોટું કારણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અન્ય નેતાઓએ જોરશોરથી પ્રચાર કરીને અઘોષિત રૂપથી ગુજરાતમાં એકતરફી માહોલ બનાવી દીધો હતો. ચાકેકોર માત્ર ભાજપ ભાજપ જ દેખાતું હતું. આવી સ્થિતિમાં મતદારોને પણ અહેસાસ થવા લાગ્યો હતો કે ભાજપ ફરી આવી રહ્યું છે. આવી સ્થિતિમાં આ ચૂંટણીને લઈને લોકોમાં કોઈ ઉત્તેજના ન જોવા મળી. મતદાન કરવા માટે બૂથ પર જવાને બદલે લોકો પિકનિક મનાવવા માટે ચાલ્યા ગયા હતા.
વિપક્ષનું વલણ નબળું રહ્યું
આમ તો આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે બે મહિનાથી ગુજરાતમાં ધામા નાખ્યા છે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, સંજયસિંહ અને રાઘવ ચઢ્ઢા જેવા મોટા નેતાઓએ જોરશોરથી પ્રચાર કર્યો. તેમ છતાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં કંઈ ખાસ માહોલ ન બનાવી શકી. એવી જ રીતે કોંગ્રેસનું વલણ પણ ઘણું નબળું રહ્યું. ભાજપે તેનો પણ ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને લોકોને ભરોસો અપાવવાનો પ્રયાસ કર્યો કે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી જ આવી રહી છે.
એન્ટી ઈન્કમ્બન્સીનો માહોલ ન બની શક્યો
રાજકીય વિશ્લેષકોના મતે ગુજરાતમાં 27 વર્ષની ભાજપ સરકાર વિરુદ્ધ લોકોમાં ઘણો આક્રોશ હતો, એવી અપેક્ષા હતી કે આ આક્રોશ એન્ટી ઈન્કમ્બન્સીના રૂપમાં જોવા મળશે. પરંતુ છેલ્લી ઘડીએ ભાજપે ગુજરાત સરકારના કામોને ગણવાને બદલે મોદી સરકારની સિદ્ધિઓ તરફ જનતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. ભાજપના આ ખેલને વિપક્ષ સમયસર ન સમજી શક્યો. જેના કારણે લોકોએ આ ચૂંટણીમાં પણ ગુજરાત સરકારને બદલે મોદીને પ્રાધાન્ય આપ્યું હતું.
પાટીદાર આંદોલનના કારણે વધુ થયું હતું મતદાન
ગત ચૂંટણીમાં પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું. મોટી સંખ્યામાં લોકો આ આંદોલનથી પ્રભાવિત પણ હતા. જેના કારણે લોકો સરકારની તરફેણમાં કે વિરૂદ્ધમાં મતદાન કરવા માટે બૂથ પર પહોંચ્યા હતા. જેના કારણે જબરદસ્ત મતદાન થયું હતું. પરંતુ આ વખતે આવું કોઈ આંદોલન પણ નહોતું, જે મતદારોને તેમના ઘરોમાંથી બહાર કાઢીને બૂથ સુધી પહોંચવા માટે પ્રેરિત કરી શકે. જે સરકાર વિરોધી પાટીદાર નેતા હતા, તેઓ પણ આ વખતે ભાજપમાં ચાલ્યા ગયા છે.
61 ટકા મતદાન
ગુજરાત વિધાનસભાની 89 બેઠકો માટે ગુરુવારે યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનમાં કુલ 61 ટકા મતદાન નોંધાયું છે. 2017ની ચૂંટણીની સરખામણીમાં આ આંકડો ઘણો ઓછો છે. 2017માં અહીં 68 ટકા મતદાન થયું હતું.