ભારતનાં 72માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે દેશનાં 6 ખેલાડીઓને પદ્મ સન્માન આપવા માટે પસંદ કર્યાં છે. દર વર્ષે ગણતંત્રમ દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવે છે.
119 પદ્મ પુરસ્કારમાં 7 પદ્મ વિભૂષણ અને 10 પદ્મ ભૂષણ
પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં 29 મહિલા
16 લોકોને મરણોપરાંત પદ્મ પુરસ્કાર
ટેબલ ટેનિસમાં સાઉથ એશિયામાં સૌથી વધારે 8 ગોલ્ડ મેડલ મેળવનારને પદ્મ એવોર્ડ
36 વર્ષિય ટેબલ ટેનિસ ખેલાડી મૌમા દાસને પદ્મ સન્માનથી સન્માનિત કરવામાં આવશે. બંગાળમાં જન્મેલી મૌમા વર્ષ 1997થી ટેબલ ટેનિસમાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. દાસનાં નામે કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલ પણ છે. વર્ષ 2013માં તે અર્જુન એવોર્ડ પણ જીતી ચુકી છે. મૌમા વર્ષ 2004માં ઓલમ્પિકમાં પણ ભાગ લઈ ચૂકી છે. તેનાં નામે નેશનલ્સમાં સૌથી વધારે 7 વખત ગોલ્ડ જીતવાની હેટ્રીક નોંધાયેલી છે. તેણે સાઉથ એશિયામાં સૌથી વધારે 8 ગોલ્ડ મેડલ્સ મેળવ્યા છે.
જાણીતી મહિલા પર્વતારોહી અંશુ જામસેનપાને પણ પદ્મશ્રીનું સન્માન આપવા આવશે. અંશુ જામસેનપા 5 દિવસમાં 2 વાર માઉન્ટ એવરેસ્ટ ફતેહ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂકી છે. અંશુએ પાંચ વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ કરી છે અને તે આવુ કરનારી એકમાત્ર ભારતીય મહિલા છે.
સ્ટીપલચેઝમાં ગોલ્ડ મેડલ મેળનાર મહિલાને પદ્મશ્રી
34 વર્ષની ભારતીય એથલિટ સુધા સિંહને પણ પદ્મશ્રી એનાયત કરાશે. સુધા 3,000 મીટર સ્ટીપલચેઝની ઓલમ્પિક એથ્લિટ છે. તે વર્ષ 2005થી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. વર્ષ 2010 એશિયન ગેમ્સમાં સુધા સિંહે સ્ટીપલચેઝમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વર્ષ 2012માં તેને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી.
હરિયાણાનાં ઇઝ્ઝરમાં જન્મેલા પહેલવાન વિરેન્દર સિંહને પણ પદ્મ શ્રી એવોર્ડ આપવામાં આવશે. વિરેન્દર સિંહે વર્ષ 2005માં થયેલ ડેફલિમ્પિક્સમાં ભારતને પહેલો અને એકમાત્ર ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો. વર્ષ 2013 અને 2017માં પણ તેણે ડેફલિમ્પિક્સ ગોલ્ડ પોતાના નામે કરી ચૂક્યો છે. વિરેન્દર સિંહ ઉપરાંત પદ્મશ્રી માટે કેરળની માધવન નમ્બિયાર, કર્ણાટકનાં કેવાઈ વેન્કટેશ અને તમિલનાડુની પી અનીતાને પદ્મશ્રી થી સન્માનિત કરવામાં આવશે.
119 પદ્મ પુરસ્કાર આપવા પર રાષ્ટ્રપતિની મંજૂરી
કેન્દ્રિય ગૃહ મંત્રાલયે કહ્યું કે, રાષ્ટ્રપતિ દ્વારા 119 પદ્મ પુરસ્કાર આપવા પર મંજૂરી આપી છે જેમાં સાત પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 102 પદ્મશ્રી છે. પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં 29 મહિલાઓ છે જેમાંથી 10 વિદેશી, પ્રવાસી ભારતીય, પીઆઈઓ અને એસીઆઈ તથા એક વ્યક્તિ ટ્રાન્સજેન્ડર શ્રેણીમાં છે. ઉપરાંત 16 લોકોને મરણોપરાંત પદ્મ પુરસ્કાર આપવામાં આવશે.