લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી કાર્યકાળ માટે ગુરુવારે શપથ લીધા હતા. બીજેપી અધ્યક્ષ અમિત શાહે પણ મંત્રી પદના શપથ લીધા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં એક ભવ્ય સમારોહમાં મોદી અને તેમના મંત્રીમંડળના 57 સભ્યોના પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા મંત્રીમંડળમાં જે મંત્રીઓએ ગુરુવારે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા તેમાં 6 મહિલાઓ પણ સામેલ છે. મોદી સરકારમાં આ મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકામાં નજરે પડશે.
મોદી સરકારમાં જ્યાં નિર્મલા સીતારમણ, સ્મૃતિ ઇરાની અને હરસિમરત કૌર બાદલે કેબિનેટ મંત્રીના રૂપે શપથ લીધા. જ્યારે નિરંજન જ્યોતિ, રેણુકા સિંહ, અને દેબાશ્રી ચૌધરીએ રાજ્યમંત્રી રૂપે શપથ લીધા. નિર્મલા સીતારમણે ગત સરકારમાં રક્ષા મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. આ વખતે ક્યાસ લગાવાઇ રહ્યા છે કે એમને રક્ષા મંત્રાલયની જવાબદારી આપવામાં આવશે. ક્યાસ એ પણ લગાવાઇ રહ્યા છે કે સ્મૃતિ ઇરાનીને પણ આ વખતે મોટી જવાબદારી મળી શકે છે.
જોકે મોદી સરકારમાં ઘણા દિગ્ગજ નેતાઓને પીએમ મોદીની નવી કેબિનેટમાં જગ્યા મળી નથી. શપથ ગ્રહણ સમારોહ પહેલા ક્યાસ લગાવાઇ રહ્યા હતા કે આ દિગ્ગજ મોદી સરકારનો હિસ્સો બનશે. આ લીસ્ટમાં અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, મેનકા ગાંધી, જેપી નડ્ડા જેવા દિગ્ગજ નેતા સામેલ છે.
લોકસભા ચૂંટણીમાં બીજેપીની પ્રચંડ જીત બાદથી જ અમિત શાહના કેબિનેટમાં સામેલ થવાના ક્યાસ લગાવાઇ રહ્યા હતા. જોકે બીજેપીના એક વર્ગનું માનવું છે કે અમિત શાહને હાલ બીજેપી અધ્યક્ષ પદથી હટાવવા યોગ્ય રહેશે નહીં.