સરકાર પંજાબ એન્ડ સિંધ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, યુકો બેન્ક અને IDBI બેન્કમાં હાલમાં મોટી હિસ્સેદારી ધરાવે છે. જેને તે વેચવા માંગે છે. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે કેન્દ્ર સરકારની યોજના ઘણી સરકારી બેન્કોમાં પોતાની માલિકીનો ભાગ વેચીને ખાનગીકરણ કરવાની છે. અને અમુક બેન્કોમાં થોડો ભાગ વેચીને એક મોટું બજેટ ફંડ ઊભું કરવાની છે.
આવતા વર્ષ સુધીમાં ખાનગી હાથોમાં સોંપાઈ શકે છે આ 4 બેન્ક
સરકાર આવતા વર્ષ સુધીમાં પૂરી કરવા ઈચ્છે છે સંપૂર્ણ પ્રક્રિયા
પંજાબ એન્ડ સિંધ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, યુકો બેન્ક અને IDBI બેન્કના નામ સામેલ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશમાં ઓછામાં ઓછી 4 સરકારી બેન્કોનું ખાનગીકરણ કરવા ધારે છે. જે માટેની પ્રક્રિયા પણ તે શરૂ કરી ચૂકી હોવાનું એક અહેવાલમાં સામે આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટર્સના હવાલેથી આ માહિતી સામે આવી હતી કે સરકાર આવતા વર્ષ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવા ઈચ્છે છે. તેના માટે મુખ્ય કારણ સરકારને ટેક્સ કલેક્શનમાં ઘટ આવી હોવાનું પણ હોય શકે છે.
શું છે માહિતી?
સૂત્રોના હવાલેથી જાણકારી મળી છે કે સરકાર 4 સરકારી બેન્કો જેમાં મુખ્યત્વે પંજાબ એન્ડ સિંધ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, યુકો બેન્ક અને IDBI બેન્ક સામેલ છે, તેમ પોતાની માલિકીનો ભાગ વેચવાનું પ્લાનિંગ કરી રહી છે. સાથે જ આ માહિતી પણ સામે આવી હતી કે કેન્દ્ર સરકારની યોજના ઘણી સરકારી બેન્કોનું ખાનગીકરણ કરવાની છે, જો કે આના લીધે સરકારને કેટલી રકમ મળી શકે તેની કોઈ માહિતી સામે આવી નથી.
PMO એ કેન્દ્રીય નાણાં મંત્રાલયને લખ્યો પત્ર
સૂત્રોએ આપેલી માહિતી અનુસાર PMO એ આ મહિનાની શરૂઆતમાં નાણાં મંત્રાલયને પત્ર લખ્યો હતો. જેમાં આ નાણાંકીય વર્ષમાં આ 4 બેન્કોના ખાનગીકરણની પ્રક્રિયાને પૂર્ણ કરવાની વાત કરવામાં આવી હતી. તેનાથી સ્પષ્ટ થાય છે કે આગલા વર્ષે માર્ચ 2021 સુધીમાં આ બેન્કોનું સરકાર ખાનગીકરણ કરી શકે છે.
સૂત્રોએ આપેલી જાણકારી અનુસાર અત્યાર સુધીમાં સરકાર દ્વારા હજી સુધી આ મુદ્દે કોઈ ઑફિશિયલી જાણકારી દેવામાં આવી નથી. જો કે છેલ્લા અમુક દિવસોમાં એક એક અન્ય રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર ઓછામાં ઓછી 6 જેટલી બેન્કોમાં આ પ્રક્રિયા કરવા ધારે છે.
સૂત્રોના અનુસાર સરકાર દેશમાં ફક્ત 4 થી 5 જ સરકારી બેન્કોનું અસ્તિત્વ જાળવી રાખવા માંગે છે. જ્યારે કે હાલમાં ભારતમાં કુલ 12 જેટલી સરકારી બેન્કો છે. જેમાં કેન્દ્ર સરકારની 51%થી વધુની હિસ્સેદારી છે. અને પંજાબ એન્ડ સિંધ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, યુકો બેન્ક અને IDBI બેન્કમાં 47.11 ટકા જેટલી હિસ્સેદારી છે. જેમાં સરકારી વીમા કંપની LICનો 51 ટકા જેટલો સ્ટેક છે.