હાર્વર્ડ યુનિવર્સિટીના પોસ્ટડોક્ટરલ સંશોધક વર્ગાસ ઝેપેટેલોએ જણાવ્યું હતું કે, ભારત આવા ભારે ઉનાળાના હવામાન માટે હોટસ્પોટ છે. અતિશય ગરમીને કારણે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતની હાલત 28 વર્ષ એટલે કે વર્ષ 2050 પછી અત્યંત ખરાબ થશે. પાણી સુકાઈ જશે પણ પરસેવો સુકાશે નહીં. ન તો માણસ સુધરશે કે ન વિશ્વ બદલાશે. તેનું સૌથી મોટું કારણ છે, માનવીઓ દ્વારા ફેલાવતું પ્રદૂષણ. જેના કારણે આ બધા ક્લાઈમેટ ચેન્જ થતા હોય ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે.
યુપી, રાજસ્થાન અને ગુજરાતમાં ઉંચા તાપમાનને કારણે નવું નોર્મલ બનશે. લોકોને 51 ડિગ્રી સેલ્સિયસમાં રહેવાની આદત પડી જશે. આ સ્થિતિ ત્યારે સર્જાશે જ્યારે સમગ્ર વિશ્વ સાથે મળીને વર્ષ 2100 સુધીમાં ગ્લોબલ વોર્મિંગમાં બે ડિગ્રી સેલ્સિયસથી વધુ વધારો નહીં થવા દે. જોકે આ પહેલા પણ એટલે કે, વર્ષ 2050 સુધી આ ત્રણ રાજ્યો સહિત ભારતના ઘણા રાજ્યોમાં વધુ ગરમીના દિવસો જોવા મળી શકે છે.
મહત્વનું છે કે, ગયા વર્ષે કેલિફોર્નિયામાં જ્યારે તાપમાનનો પારો 54 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો, ત્યારે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. જંગલોમાં આગ લાગી હતી. કેનેડાનું એક શહેર બળીને રાખ થઈ ગયું. હવે જો ભારતના આ ત્રણ રાજ્યોમાં પારો 50 કે તેનાથી ઉપર પહોંચશે તો શું તેઓ આ ગરમી સહન કરી શકશે ? ચીનમાં રસ્તાઓ અને છત ઓગળી ગઈ હતી. બ્રિટન સહિત સમગ્ર યુરોપમાં દુષ્કાળ છે.
ડાઉન ટુ અર્થે જર્નલ કોમ્યુનિકેશન્સ અર્થ એન્ડ એન્વાયરમેન્ટ જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલને ટાંકીને આ સમાચાર લખ્યા છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો સ્થિતિ ખૂબ જ ખરાબ થાય છે, જો તાપમાનમાં વધારો રોકવામાં નહીં આવે તો યુપી, રાજસ્થાન અને ગુજરાતને અઠવાડિયા અથવા તો મહિનાઓ સુધી ઉનાળાના આકરા દિવસોનો સામનો કરવો પડી શકે છે. એટલે કે, હવાનું તાપમાન અને ભેજ વધશે. તાપમાન 51 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી પણ ઉપર જઈ શકે છે. હવામાન વિભાગે ચેતવણી જાહેર કરવી પડશે કે આ સમય દરમ્યાન લોકોએ ઘરની બહાર ન નીકળવું જોઈએ.
અમેરિકાની નેશનલ વેધર સર્વિસ અનુસાર જ્યારે ગરમીનું સૂચક એટલે કે પારો 39.4 ડિગ્રી સેલ્સિયસથી ઉપર વધવા લાગે છે ત્યારે ખતરનાક ઉનાળાના દિવસો શરૂ થાય છે. આ એજન્સી યુએસ અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાન, પાણીની સ્થિતિ અને આબોહવાની આગાહીઓ પૂરી પાડે છે. આ મુજબ ભારતના કેટલાક વિસ્તારો 2050 સુધીમાં 100 દિવસ સુધીની ભારે ગરમી સહન કરશે. વર્ષ 2100 સુધીમાં ભારે ગરમીનો આ સમયગાળો ભારતના ઘણા ભાગોને પકડશે. તે 100 દિવસથી 150 દિવસ સુધી જઈ શકે છે. આવી સ્થિતિમાં સમગ્ર ભારતની હાલત કફોડી થવાની છે.
કઈ રીતે કરવામાં આવ્યો અભ્યાસ ?
હાર્વર્ડ યુનિવર્સિટીના પોસ્ટડોક્ટરલ સંશોધક વર્ગાસ ઝેપેટેલોએ જણાવ્યું હતું કે, ભારત આવા ભારે ઉનાળાના હવામાન માટે હોટસ્પોટ છે. આ વર્ષે માર્ચ-એપ્રિલમાં ગરમી આકરી ગરમીની નજીક પહોંચી ગઈ હતી. વર્ગાસ ઝેપેટેલો અને તેમની ટીમે 2050 અને 2100 સુધીની આગાહી કરી છે. આ માટે તેઓએ છેલ્લા દાયકાઓના તાપમાન, આબોહવા, વસ્તી, આર્થિક વિકાસ અને કાર્બનની તીવ્રતાના ડેટાનું વિશ્લેષણ કર્યું છે.
ભારતીય અભ્યાસમાં અગાઉ પણ અપાઈ હતી ચેતવણી
ભારતમાં વર્ષ 2019માં કરવામાં આવેલા એક અભ્યાસમાં બે હીટવેવની આગાહી કરવામાં આવી હતી. જેમાં વર્ષ 2020 થી 2064 સુધી ભારે ગરમીના દિવસો 12 થી 18 વચ્ચે હતા. ભારતના દક્ષિણ ભાગ એટલે કે દરિયાકાંઠાના વિસ્તારોએ આ સમસ્યાનો સામનો કરવો પડશે. એક નવા અભ્યાસ મુજબ વર્ષ 2100 સુધીમાં ઉનાળાના ભયાનક દિવસો બમણા થઈ જવાના છે. તે પણ ત્યારે જ્યારે સમગ્ર વિશ્વ 2 ડિગ્રી સેલ્સિયસ પર ગ્લોબલ વોર્મિંગને રોકવામાં સફળ છે. પરંતુ આ સમય દરમ્યાન અમેરિકા, પશ્ચિમ યુરોપ, ચીન અને જાપાનમાં ભારે ગરમીના દિવસો 3 થી 10 ગણા વધુ રહેશે.