આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પેપર લીક, રોજગાર સહિત આ 10 મુદ્દાઓ અસર કરી શકે છે. ચાલો જાણીએ તેના વિશે વિગતવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી
આ 10 મુદ્દાઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને અસર કરશે
પેપર લીક, સ્વાસ્થ્ય સુવિધાઓ અને ખેડૂત આંદોલન પણ મુખ્ય મુદ્દા
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 બે તબક્કામાં યોજાવા જઈ રહી છે. રાજ્યમાં પ્રથમ તબક્કા માટે 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થશે. બીજા તબક્કામાં બાકીની બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવશે. ગુજરાતની ચૂંટણીમાં તમામ પક્ષોએ ચૂંટણી પ્રચારમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ તે 10 મુદ્દા જે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અસર કરશે.
નરેન્દ્ર મોદી
ગુજરાતની ચૂંટણીમાં ભાજપ પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રૂપમાં હુકમનો એક્કો છે. પીએમ મોદી 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. આ દરમિયાન કરવામાં આવેલા વિકાસ કાર્યોને ભાજપ ગુજરાત મોડલના રૂપમાં જનતાને જણાવે છે. ગુજરાતમાં પીએમ મોદીની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. મોદીની આ લોકપ્રિયતા ચૂંટણીમાં ભાજપ માટે નિર્ણાયક બની શકે છે.
મોરબી પુલ દુર્ઘટના
આ વર્ષે 30 ઓક્ટોબરે મોરબીમાં ઝૂલતો પુલ ધરાશાયી થતા 135 લોકોના દુઃખદ અવસાન થયા હતા. આ ઘટનામાં સરકાર, સ્થાનિક વહીવટીતંત્ર અને ઉદ્યોગપતિઓની સાંઠગાંઠ ખુલ્લેઆમ સામે આવી હતી. ગુજરાતના લોકોના મનને ક્યાંકને ક્યાંક મોરબીની ઘટના પ્રભાવિત કરી શકે છે.
સત્તા વિરોધી લહેર
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. રાજકીય નિષ્ણાતો માનવું છે કે, ભાજપના 27 વર્ષના શાસનમાં સમાજના ઘણા વર્ગોમાં અસંતોષ વધ્યો છે. આ ઉપરાંત ભાજપ સરકાર દરમિયાન મોંઘવારી, બેરોજગારી જેવી અન્ય પ્રાથમિક સુવિધાઓને લઈને લોકોમાં સરકારથી નારાજગી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
પેપર લીક અને સરકારી પરીક્ષા
ગુજરાતમાં વારંવાર પેપર લીક થવાના અહેવાલો સામે આવ્યા છે, જેના કારણે બેરોજગારીનો સામનો કરી રહેલા યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરીક્ષાઓ સ્થગિત થતા સરકારી નોકરી મેળવવા માટે મહેનત કરનારા યુવાનોની આશા પર પાણી ફરી વળ્યું છે. રાજ્યના યુવાનો આનાથી નારાજ છે.
ખેડૂતોની સમસ્યાઓ
ગુજરાતના ઘણા ભાગોમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. વાસ્તવમાં છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. સરકારે ખેડૂતોને વળતર આપ્યું નથી. જેના કારણે ખેડૂત વર્ગ સરકાર વિરુદ્ધ પણ જઈ શકે છે.
શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં શાળાકીય શિક્ષણનો અભાવ છે. આ ઉપરાંત શાળાઓમાં શિક્ષકોની ભારે અછત છે. સાથે જ શાળાઓમાં વર્ગોની પણ અછત છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ડોક્ટરોની અછતથી ત્રસ્ત છે.
બિલ્કીસ બાનો કેસના દોષિતોને છોડી દીધા
કોર્ટે બિલ્કીસ બાનો સામૂહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં દોષિતોને છોડી દીધા, જેનાથી લઘુમતી સમુદાયની સાથે-સાથે બહુમતી હિન્દુઓનો એક વર્ગ પણ નારાજ છે. આવી સ્થિતિમાં આ મુદ્દો મુસ્લિમોની સાથે હિન્દુઓના એક વર્ગને પ્રભાવિત કરી શકે છે.
ખરાબ રસ્તા
ગુજરાતને પહેલા તેના સારા રસ્તાઓ માટે આળખવામાં આવતું હતું. પરંતુ હવે વાસ્તવિકતા કંઈક જુદી જ છે, રાજ્યના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે જે લોકો માટે પરેશાનીનું કારણ છે.
ઉચ્ચ વીજળી દર
ગુજરાતમાં વીજળીના દરો દેશમાં સૌથી વધુ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે રાજ્યના લોકોને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવાનું વચન આપ્યું છે. વીજળીના ઊંચા દરો ગુજરાતના લોકોને પ્રભાવિત કરી શકે છે.
જમીન સંપાદન
ગુજરાતમાં અનેક સરકારી પ્રોજેક્ટ માટે જે ખેડૂતોની જમીનો સંપાદિત કરવામાં આવી રહી છે, તે ખેડૂતો અને જમીનમાલિકોમાં અસંતોષ છે. ખેડૂતોએ અમદાવાદ અને મુંબઈ વચ્ચે હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનો વિરોધ કરી ચૂક્યા છે. તેમણે વડોદરા અને મુંબઈ વચ્ચેના એક્સપ્રેસ વે પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનો પણ વિરોધ કર્યો છે.