કોંગ્રેસની સતત હાર બાદ 2018નું વર્ષ પાર્ટી માટે આશાનું કિરણ બનીને સામે આવ્યું
કોંગ્રેસે દેશવ્યાપી મોટા બદલાવો કરવાનું મન બનાવી લીધું છે
ચૂંટણીમાં સારુ પ્રદર્શન કરવા માટે કોંગ્રેસે મોટા બદલાવો કરવાની તાતી જરૂર
પ્રદેશ પ્રભારી રાજીવ સાતવના અવસાન બાદ નવા પ્રભારી નિમવામાં આવશે
2014 લોકસભાની ચૂંટણી બાદ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે કે કોંગ્રેસની સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. 2014માં સામાન્ય ચૂંટણીમાં સફાયો થયા બાદ મોટા ભાગના રાજ્યોમાં કોંગ્રેસે સત્તા ગુમાવી હતી. કોંગ્રેસની સતત હાર બાદ 2018નું વર્ષ પાર્ટી માટે આશાનું કિરણ બનીને સામે આવ્યું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ જેવી હિન્દી હાર્ટલેન્ડમાં વિજય મેળવીને ફરી એક વખત કોંગ્રેસ ઊભી થવા લાગી. જોકે, કોંગ્રેસની આ જીત ક્ષણિક બની રહી 2019ની સામાન્ય ચૂંટણીમાં તો પાર્ટીની હાર થઈ પરંતુ આ સમયગાળામં જીતેલા રાજ્યો પણ કોંગ્રેસ પાર્ટીના હાથમાંથી સરકવા લાગ્યા.
કોંગ્રેસમાં ભારેલો અગ્નિ
જીત મળી હોવા છતા કર્ણાટક અને મધ્યપ્રદેશ જેવા મોટા રાજ્યમાંથી ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી અને કોંગ્રેસ જોતી રહી ગઈ. કર્ણાટક અને મધ્યપ્રદેશ બાદ રાજસ્થાન કોંગ્રેસમાં પણ આગ લાગી હતી જે માંડ માંડ થાળે પડી ત્યા પંજાબ કોંગ્રેસનો વિવાદ સપાટી પર આવ્યો છે અને પંજાબની સાથે દિલ્લીમાં પણ જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે આવા સંજોગમાં પાર્ટી મોટા પાયે નિર્ણયો કરી શકે છે.
મોટા પાયે બદલાવની સંભાવના
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસે દેશવ્યાપી મોટા બદલાવો કરવાનું મન બનાવી લીધું છે. કેટલાક રાજ્યોમાં પાર્ટીની અંદર જામેલી કોલ્ડવૉરની સ્થિતીને ડામવા માટે કોંગ્રેસ મોટા પ્રમાણમાં પ્રદેશ પ્રમુખો અને વિપક્ષના નેતાઓ બદલી શકે છે. કારણ કે, હાલ પંજાબ,કર્ણાટક અને દિલ્લી કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. પંજાબમાં CM અમરિંદરસિંહ અને સિદ્ધુનું જૂથ સામસામે છે તો કર્ણાટકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ડી.કે. શિવકુમાર સામે અંદરખાને કેટલાક નેતાઓને વિરોધ છે. હાલ પંજાબના વિવાદને લઇ દિલ્લીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ વિવાદને ખાળવા માટે રાહુલ ગાંધી ખુદ મેદાને પડ્યા છે. રાહુલ ગાંધી પંજાબના ધારાસભ્યો સાથે વાત કરી રહ્યા છે.
મોટા નેતાઓના પત્તા કપાશે
કોરોનાકાળમાં મોદી સરકારની નિષ્ફળતાઓનો લાભ ઉઠાવવીને ચૂંટણીમાં સારુ પ્રદર્શન કરવા માટે કોંગ્રેસે મોટા બદલાવો કરવાની તાતી જરૂર છે. એટલે જ આવનારા સમયમાં 10થી વધુ રાજ્યોમં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાઓની બદલી કરશે. કોંગ્રેસ લાંબા સમયથી રાજ્યોના પ્રભારીઓની પણ હકાલપટ્ટી કરવામાં આવી શકે છે. કોંગ્રેસ પોતાની રાષ્ટ્રીય કાર્યકારણીમાં પણ મોટા બદલાવ કરશે જેથી દેશભરમાં પાર્ટીને મજબૂત કરી શકાય.
ગુજરાતમાં બદલાવ થશે
ગુજરાતમાં વિપક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખ બદલાશે તે વાત નિશ્વિત માનવામાં આવી રહી છે. તો બીજી તરફ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવના અવસાન બાદ નવા પ્રભારી નિમવામાં આવશે. પ્રભારીની નિમણૂંક બાદ ગુજરાત કોંગ્રેસને નવા અધ્યક્ષ મળી શકે છે.