ખ્યાતનામ લોકસાહિત્યકાર દેવાયત ખાવડ અને બ્રીજરાજ ગઢવી વચ્ચે ચાલી રહેલા વિવાદને લઇને બંને કલાકારો વચ્ચે સમાધાન થાય તેવા પ્રયાસ ચાલી રહ્યા છે.
લોકસાહિત્ય જગતના બે સ્ટાર વચ્ચે વાક યુદ્વનો મામલો
દેવાયત ખાવડ અને બ્રીજરાજ ગઢવી વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ
બંને કલાકારો વચ્ચે સમાધાન થાય તેવા પ્રયાસ
ગુજરાતના બે જાણીતા લોક કલાકાર બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે શાબ્દિક યુદ્ધ બાદ 'મર્દાનગી અને માયકાંગલા' મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. જે અંગેનો વીડિયો વાયરલ થયા બાદ વાક યુદ્ધ વિવાદ જગ જાહેર થયો છે. લોક ડાયરામાં બ્રિજરાજદાન ગઢવીએ માફીની વાત કરતા દેવાયત ખવડે વળતો જવાબ આપ્યો જે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે દેવાયત ખાવડ અને બ્રીજરાજ ગઢવી વચ્ચે વકરેલા વિવાદ મામલે બંને કલાકારો વચ્ચે સમાધાન થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ધર્મ સ્થાનક બંને કલાકારો વચ્ચે સમાધાનનું માધ્યમ બંને તેવી વિગતો સામે આવી રહી છે.
શું છે સમગ્ર પ્રકરણ ?
રૂપલ માં જન્મોત્સવ તથા જન્માષ્ટમી નિમિતે યોજાયેલ ભવ્ય લોકડાયરામાં ગુજરાતના જાણીતા લોક કલાકાર બ્રિજરાજદાન ઈશરદાન ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ પર આકરા પ્રહારો કર્યા હતા. કાર્યક્રમમાં જોશમાં આવીને બ્રિજરાજદાન ગઢવીએ હજારો લોકોની વચ્ચે કહ્યું હતું કે, 'રૂપલ આઈની સાક્ષીમાં કહું છું કે જે દિવસે આ બ્રિજરાજદાનને માફીનો વીડિયો બનાવવો પડે તે દિવસથી બ્રિજરાજદાન ક્યારેય સ્ટેજ પર નહીં ચઢે, હું ઈશરદાનનું લોહી છું સાહેબ'. વધુમાં આ તકે તેમણે કહ્યું હતું કે, 'એ તો પોતાને જ ખબર હોવી જોઈએ કે શું આપણે બોલીએ છીએ. કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઉતરીને માફી માંગી લે છે.'
લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવે છેઃ દેવાયત ખવડ
જે બાદ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ ગામે આવેલા ગણપતિ મંદિર ખાતે ગત શનિવારના રોજ લોકડાયરો યોજાયો હતો. જેમાં દેવાયત ખવડ, અલ્પા પટેલ, દીગુભા ચુડાસમા અને સાગદાન ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. આ તકે લોકસાહિત્યકાર દેવાયત ખવડે બ્રિજરાજદાનની વાતનો વળતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'મર્દાનગી અને લોહીના પૂરાવા ન આપવાના હોય. કોનું લોહી છે એના પૂરાવા તો માયકાંગલાઓ હોય એને આપવા પડે. લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવે છે એટલે જીભ લપસી જાય' . જે ને લઈને વિવાદ ચાલતો હતો. જે વિવાદનો હવે ટૂંક સમયમાં અંત આવી શકે છે.