ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં અપેક્ષા કરતાં ઓછા મતદાને અનેક રાજકીય પક્ષોની ચિંતા વધારી દીધી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, એકતરફી ચૂંટણી થવાને કારણે આવું થયું છે. વાસ્તવમાં આ ચૂંટણીમાં વિપક્ષની ભૂમિકા ખૂબ જ નબળી રહી. જ્યારે સત્તાધારી પક્ષ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય નેતાઓ જોરશોરથી પ્રચાર કરતા રહ્યા. જેના કારણે રાજ્યમાં એન્ટી ઈન્કમ્બન્સીનો માહોલ પણ ન બની શક્યો. તેનો સીધો ફાયદો સત્તાધારી ભાજપને મળતો જોવા મળી રહ્યો છે. જોકે હજુ બીજા તબક્કાનું મતદાન થવાનું બાકી છે.
દક્ષિણ ગુજરાતના સુરતની આ ચૂંટણીમાં ખૂબ જ ચર્ચા થઈ પરંતુ મતદાનમાં નિરસતા જોવા મળતા અનેક રાજકીય પક્ષોની ચિંતામાં વધારો થયો છે. વાત જાણે એમ છે કે, ગઇકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના દિવસે સુરતમાં 5 બેઠકો પર ઓછું મતદાન નોંધાયુ જેમાં વરાછા, કરંજ, ઉત્તર, કતારગામ, કામરેજમાં સરેરાશ 57.94% મતદાન થયું હોવાનું સામે આવ્યું છે. પાટીદાર પ્રભુત્વવાળી 5 બેઠકો પર મતદાન ઘટતાં હવે અનેક રાજકીય પક્ષોની ચિંતા વધી છે. આ તરફ હવે મતદાનની પેટર્ન જાણવા રાજકીય પક્ષો મથામણમાં લાગ્યા છે.
સુરતમાં 2017માં 62.59% તો 2022માં સરેરાશ 57.94% મતદાન
સુરતમાં 5 બેઠકો વરાછા, કરંજ, ઉત્તર, કતારગામ, કામરેજમાં સરેરાશ 57.94% મતદાન નોંધાયું છે. જોકે પાટીદાર પ્રભુત્વવાળી 5 બેઠકો પર મતદાન ઘટતાં હવે અનેક રાજકીય પક્ષોની ચિંતા વધી છે. જોકે અહી મહત્વની વાત એ છે કે, 2017માં આ 5 બેઠકો ઉપર 62.59% મતદાન થયું હતું. 5 વર્ષમાં મતદારો વધ્યા પરંતુ 5% જેટલું મતદાન ઘટ્યુ હોવાનું સામે આવ્યું છે. જેને લઈ હવે ઉમેદવારોની ગણતરીમાં ઉલટફેર થાય તેવી શક્યતા છે. આ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં નેતાઓ મતદારોને મતદાન મથક સુધી ન લાવી શક્યા હોવાનું સામે આવ્યું છે.
કતારગામ:
સુરતની સૌથી ચર્ચિત બેઠક કતારગામ ઉપર ભાજપે વિનોદ મોરડીયા અને કોંગ્રેસે કલ્પેશ વરિયાને ટિકિટ આપી હતી. આ તરફ આમ આદમી પાર્ટીએ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે અહી પણ 2017 કરતાં સરેરાશ 1 ટકો મતદાન ઓછું નોંધાયું છે.
વરાછા:
સુરતનું બહુચર્ચિત વરાછા બેઠક ઉપર ભાજપે કિશોર કાનાણી, કોંગ્રેસે પ્રફુલ તોગડિયા અને આપ પાર્ટીએ અલ્પેશ કથીરિયાને ટિકિટ આપી હતી. જોકે અહી પણ ઓછા મતદાનને લઈ હવે પરિણામના દિવસની રાહ જોવાઈ રહી છે. મહત્વનું છે કે, આપ ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ મતદાન સમયે ભાજપના ઉમેદવાર કિશોર કાનાણીના આશીર્વાદ લીધા હતા.
કામરેજ:
સુરતની કામરેજ બેઠક ઉપર ભાજપે પ્રફુલ પાનસેરિયા, કોંગ્રેસે નીલેશ કુંભાણી અને આમ આદમી પાર્ટીએ રામ ધડુકને ઉમેદવાર બનાવ્યા હતા. જોકે અહી પણ ધાર્યા કરતાં ઓછું મતદાન થતાં રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બન્યો છે.
કરંજ :
સુરતની કરંજ બેઠક પર પ્રવીણ ઘોઘારી, કોંગ્રેસે ભારતી પટેલ અને આપ પાર્ટીએ મનોજ સોરઠિયાને ઉમેદવાર બનાવ્યા હતા. જોકે અહી પણ મતદાનમાં નિરસતા જોવા મળી હતી.
સુરત ઉત્તર:
સુરતની ઉત્તર બેઠક ઉપર ભાજપે કાંતિભાઈ બલ્લર-પટેલ, કોંગ્રેસે અશોક પટેલ અને આપે મહેન્દ્ર નાવડિયાને ટિકિટ આપી હતી. જોકે સુરત ઉત્તર બેઠક ઉપર પણ ગતવર્ષ કરતાં ઓછું મતદાન નોંધાયું છે.
બેઠક
2017માં મતદાન
2022માં મતદાન
કામરેજ
64.83%
60.28%
વરાછા
63.04%
56.38%
કરંજ
55.99%
50.54%
સુરત ઉત્તર બેઠક
64.06%
59.24%
કતારગામ
65.03%
64.08%
હાલ પરિણામને લઈને કંઈ કહી શકાય નહીં
આવી સ્થિતિમાં પરિણામને લઈને હાલ તો કંઈ કહી શકાય તેમ નથી, પરંતુ પ્રથમ તબક્કાના મતદાનમાં એ તો સ્પષ્ટ થઈ ગયું છે કે જે માહોલ મીડિયામાં દેખાઈ રહ્યો હતો, તે ગુજરાતની જમીન પર ન બની શક્યો. રાજકીય વિશ્લેષકોના મતે આ વખતે ગુજરાતની ચૂંટણીમાં ઓછું મતદાન અણધાર્યું નથી. આવી સ્થિતિની આશંકા પહેલાથી જ હતી. વાસ્તવમાં તેની પાછળ ઘણા કારણો છે, જેના કારણે મતદારો મતદાન મથક તરફ આકર્ષિત ન થઈ શક્યા. ઉલટાનું મતદાન માટે મળેલી રજાઓનો લોકોએ પિકનિક મનાવવા માટે ઉપયોગ કર્યો.
પાટીદાર આંદોલનના કારણે વધુ થયું હતું મતદાન
ગત ચૂંટણીમાં પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું. મોટી સંખ્યામાં લોકો આ આંદોલનથી પ્રભાવિત પણ હતા. જેના કારણે લોકો સરકારની તરફેણમાં કે વિરૂદ્ધમાં મતદાન કરવા માટે બૂથ પર પહોંચ્યા હતા. જેના કારણે જબરદસ્ત મતદાન થયું હતું. પરંતુ આ વખતે આવું કોઈ આંદોલન પણ નહોતું, જે મતદારોને તેમના ઘરોમાંથી બહાર કાઢીને બૂથ સુધી પહોંચવા માટે પ્રેરિત કરી શકે. જે સરકાર વિરોધી પાટીદાર નેતા હતા, તેઓ પણ આ વખતે ભાજપમાં ચાલ્યા ગયા છે.