અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને રાજકોટ સુધી લંબાવવાની માંગ ઉઠી છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કેન્દ્રીય રેલવે મંત્રીને પત્ર લખીને આ મામલે રજૂઆત કરી છે.
સૌરાષ્ટ્રમાં વંદે ભારત ટ્રેન શરૂ કરવાની માગ
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કરી માંગ
કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવને લખ્યો પત્ર
ગત 1 ઓક્ટોબરથી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને હવે સૌરાષ્ટ્ર સુધી લંબાવવાની માંગ કરવામાં આવી રહી છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી સૌરાષ્ટ્રમાં વંદે ભારત ટ્રેન શરૂ કરવાની રજૂઆત કરી છે.
ટ્રેન રાજકોટ સુધી લંબાવા પર સૌરાષ્ટ્રને મળશે લાભઃ રામભાઈ મોકરીયા
સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટમાં વંદે ભારત ટ્રેનને લંબાવવાની માંગ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, વંદે ભારત ટ્રેન રાજકોટ સુધી લંબાવા પર સૌરાષ્ટ્રને ઘણો લાભ થશે.
ભારત ટ્રેનનો ક્રેઝ
અમદાવાદ-મુંબઈ વચ્ચેની વંદે ભારત ટ્રેન પેસેન્જરોની પ્રથમ પસંદ બની છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે આ ટ્રેન શરૂ થઈ ત્યારથી એટલે કે 134 દિવસથી હાઉસફૂલ જઈ રહી છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે 70થી 110 કિલોમીટરની ઝડપે દોડતી આ ટ્રેનમાં રોજનું સરેરાશ 200 વેઈટિંગ હોય છે. આના પરથી લાગી રહ્યું છે કે લોકોમાં શતાબ્દી કરતા પણ વધારે વંદે ભારત ટ્રેનનો ક્રેઝ છે.
સ્લીપર કોચ ઉમેરવા અંગે એક સર્વે હાથ ધર્યોઃ રેલવે મંત્રી
તાજેતરમાં ભારતીય રેલમંત્રીનું વંદે ભારત ટ્રેનને લઈ એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં હાલ વંદે ભારત ટ્રેનમાં ચેર (ખુરશી)ની સુવિધા છે, જેમાં મુસાફરોને બેસીને જવાની સુવિધા છે. વંદે ભારત 500 થી 600 કિમીનું અંતર આવરી લે છે. આવી સ્થિતિમાં રેલવેએ સ્લીપર કોચ ઉમેરવા અંગે એક સર્વે હાથ ધર્યો હતો. જેના સકારાત્મક પરિણામો મળ્યા હતા. એવું જાણવા મળ્યું હતું કે, રેલવે તેના મુસાફરોને લાંબા રૂટ પર વધુ સુવિધાઓ આપી શકે છે.
રેલવેની આવકમાં પણ વધારો થશે
રેલવે 400 કિમી અથવા 5 કલાકથી વધુ લાંબી મુસાફરી માટે સ્લીપર વંદે ભારત શરૂ કરવાની યોજના ધરાવે છે. સ્લીપર કોચ જોડવાથી મુસાફરોને તેમની મનપસંદ ટ્રેનમાં વધુ સુવિધા મળશે અને મુસાફરો પણ ઓછા સમયમાં તેમના ઘરે પહોંચી શકશે. સાથે જ તેનાથી રેલવેની આવકમાં પણ વધારો થશે.
30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બતાવી હતી લીલી ઝંડી
અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 30 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવી હતી. જે બાદ આ સુપરફાસ્ટ ટ્રેનનું કોમર્શિયલ સંચાલન 1 ઓક્ટોબરથી શરૂ થયું હતું. આ ટ્રેન મહારાષ્ટ્ર અને ગુજરાતની રાજધાની તેમજ બે મહત્વપૂર્ણ વેપાર કેન્દ્રોને જોડે છે. વંદે ભારત એક્સપ્રેસની પ્રથમ ટ્રેન નવી દિલ્હી અને વારાણસી વચ્ચે શરૂ કરવામાં આવી હતી.
જાણો વંદે ભારત એક્સપ્રેસની ખાસિયતો વિશે
- કુલ 16 કોચ ધરાવતી આ ટ્રેન સામાન્ય શતાબ્દી ટ્રેનની સરખામણીએ ઓછો સમય લે છે.
- વંદે ભારત એક્સપ્રેસની મહત્તમ ઝડપ 180 કિલોમીટર પ્રતિ કલાક છે.
- ટ્રેનના મધ્યમાં બે ઉચ્ચ વર્ગના કંપાર્ટમેન્ટ છે અને પ્રત્યેકમાં 52 સીટ છે.
- જ્યારે સામાન્ય કોચમાં 78 સીટ છે.
- ટ્રેનમાં એકસાથે 1,128 યાત્રીઓ મુસાફરી કરી શકે છે.
- વંદે ભારત એક્સપ્રેસમાં GPS, અલગ પ્રકારની લાઇટ, ઑટોમૅટિક દરવાજા અને CCTV સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.
- આ ટ્રેન વાઈફાઈ, AC,વ્યક્તિગત ચાર્જિંગ સૉકેટ જેવી સુવિધાઓ છે.