પહેલા સરદાર પટેલનું નામ ગાયબ કર્યું હતું, પછી પાર્કિગ ફીની વસૂલાતઅને હવે પોસ્ટર પર અદાણીના લોગો લાગતાં વિવાદનું મૂળ બન્યું અમદાવાદ એરપોર્ટ
અમદાવાદ એરપોર્ટ પર અદાણીના બોર્ડ લગાવતા થયો હતો મોટો વિવાદ
વિવાદ થતા અદાણી લોગોના બોર્ડ હટાવાયા
બ્રાન્ડિંગ પોલીસીમાં ફેરફાર થયો હોવાનું કારણ આગળ ધર્યું
અમદાવાદ એરપોર્ટ પર અદાણીના તમામ લોગો હટાવી દેવાયા છે. રાતોરાત અદાણીના તમામ દૂર કરી દેવાતા એરપોર્ટના કર્મચારીઓની સાથે ટેક્સી ચાલકો સહિત અન્ય તમામ લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું. અમદાવાદ એરપોર્ટનું સંચાલન નવેમ્બર 2020માં અદાણીએ હાથમાં લીધું હતું. ત્યારે અદાણી ગ્રુપ દ્વારા તાજ સર્કલથી એરપોર્ટ તરફ જતા રોડ પરના મોટા બેનર તેમજ અનેક સ્થળે અદાણીનો મોટો લોગો લગાવી દેવાયો હતો. જ્યારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનો લોગો નાનો કરી દેવાયો હતો.
વિવાદ દિલ્હી સુધી પહોંચ્યો
અમદાવાદ એરપોર્ટનો ચાર્જ જ્યારથી અદાણીને સોંપાયો છે ત્યારથી વિવાદના ચકડોળે એરપોર્ટ ચડ્યું છે, પહેલા પાર્કિગની તોતિંગ ફી બાદ હવે અદાણીએ અમદાવાદ એરપોર્ટના લોગો નાના કરી પોતાના લોગો સાથેના મોટા મોટા પોસ્ટર શહેરમાં લગાવી દેતા વિરોધના સૂર ઉઠયા હતા. બ્રાન્ડિંગ પોલીસમાં ફેરફાર થયાનું કારણ આગળ ધરી આ પોસ્ટરમાં ફરેફાર કરાયો હોવાનું એરપોર્ટ ઓથોરિટીનું કહેવું છે પણ આ પહેલા પણ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ એરપોર્ટ પરથી હટાવી દેવામાં આવ્યું હતું પણ તે બાદ ભારે વિરોધ થતાં સરદારનું નામ પોસ્ટરમાં પાછું લાવવામાં આવ્યું હતું પણ આ વખતે લોગોના વિવાદે જોર પકડયું હતું જે બાદ તેની ફરિયાદ દિલ્હી સુધી કરાઈ હતી. તપાસ સમિતિના રિપોર્ટ બાદ અદાણીને ફરીથી તમામ લોગો બદલવા પડ્યા હતા અને એરપોર્ટ ઓથોરિટીના લોગોની બાજુમાં પોતાનો નાનો લોગો લગાવ્યો હતો.
બ્રાન્ડિંગ પોલીસીમાં ફેરફાર થયો: અદાણીના અધિકારી
હવે ફરી એકવાર અદાણીએ પોસ્ટર અને હોર્ડિંગમાંથી તેના તમામ લોગો હટાવા અંગે પુછવામાં આવતા અદાણીના અધિકારીએ જણાવ્યું હતું કે, આ એક રૂટિન પ્રક્રિયા છે અને બ્રાન્ડિંગ પોલીસીમાં ફેરફાર થતા લોગો હટાવી દેવાયા છે અને ટૂંક સમયમાં ફરીથી નવા લોગો લાગે તેવી શક્યતા છે.