અલ્પેશ ઠાકોરનાં રાજીનામાંને લઇને છેલ્લાં કેટલાંય સમયથી ચાલતી અટકળોનો આખરે અંત આવી ગયો છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને અલ્પેશ ઠાકોરે પત્ર લખીને રાજીનામું આપ્યું છે. જ્યારે તે અંગે અમિત ચાવડાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને અલ્પેશના નિર્ણયને વખોડ્યો છે.
રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના રાજીનામા બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જ્યાં તેમણે જણાવ્યું કે, રાધનપુરમાં અલ્પેશની જીત પાછળ કોંગ્રેસના કાર્યકરોની મહેનત હતી અને કોંગ્રેસ હાઈકમાન્ડે અલ્પેશને નેશનલ કક્ષાની મહત્વની તક આપી.
વધુમાં અમિત ચાવડાએ કહ્યું કે, પક્ષમાં જોડાયા બાદ પક્ષના નિર્ણયોને માન આપવાનું હોય છે. અલ્પેશને ટૂંકા સમયમાં ઘણુ માન આપવામાં આવ્યુ. અલ્પેશે જે કોઈ આક્ષેપ કર્યા છે તે દૂર્ભાગ્યપૂર્ણ છે. ટીકિટ માટે કે સંગઠનના હોદ્દા માટે આવા શબ્દો વાપરવા યોગ્ય નથી.
ચાવડાએ કહ્યું કે, ઠાકોર સમાજે અને કાર્યકર્તાઓને પણ અલ્પેશના નિર્ણયનું દુખ છે. અલ્પેશને AICCના મંત્રી સહિતના પદોની તકો અપાઈ છે. પક્ષમાં જોડાઈએ પછી ' હું કહું તેમ પક્ષ ચાલે' તે યોગ્ય નથી. વ્યક્તિગત મહત્વકાંક્ષાઓને પક્ષમાં જોડાયા બાદ દૂર રાખવાની હોય છે.
જ્યારે રાજીનામા વિશે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજીનામાની કોપી અમને હજુ મળી નથી. રાજીનામુ મળ્યા પછી કોંગ્રેસ આગળની કાર્યવાહી કરશે, કોંગ્રેસના કાર્યકર્તાઓ મજબૂત છે, અલ્પેશના રાજીનામાથી પક્ષને નુકશાન નહી થાય. રાહુલ ગાંધી વિશે વાત કરતાં પ્રેદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, રાહુલ ગાંધીની સરખામણી અલ્પેશ ઠાકોર સાથે કરવી યોગ્ય નથી. મોવડીમંડળ પર લાગેલા આરોપો યોગ્ય નથી.
તમને જણાવી દઇએ કે કોંગ્રેસનાં તમામ પદ પરથી અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું છે. અલ્પેશ ઠાકોરે આ મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું કે, 'મારા માટે મારી ઠાકોર સેના સર્વોપરી છે. ઠાકોર સેનાએ મને આદેશ આપ્યો હતો. અપમાન, અવગણના અને વિશ્વાસઘાત હોય ત્યાં ન રહેવું જોઇએ. આવી પરિસ્થિતિનું નિર્માણ થશે તે મેં કલ્પના પણ કરી ન હોતી.'
ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરને ઠાકોર સેનાનાં જ આગેવાનોએ અલ્ટીમેટમ આપ્યું હતું. ઠાકોર સેનાનાં હોદ્દેદારો દ્વારા અલ્પેશ ઠાકોરને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. ઠાકોર સેનાનાં હોદ્દેદારોએ અલ્પેશ ઠાકોરને 24 કલાકમાં જ કોંગ્રેસનાં તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપવા માટેનું અલ્ટિમેટમ આપ્યું હતું.
આ મામલે બાયડનાં ધારાસભ્ય ધવલસિંહે એવો દાવો પણ કર્યો હતો કે, અલ્પેશ ઠાકોર 24 કલાકમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. ક્ષત્રિય ઠાકોર સેનાની કોર કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ધવલ સિંહ ઝાલાએ વધુમાં એમ કહ્યું હતું કે, પાર્ટીને અમે આગાઉ પણ રજૂઆત કરી છે પરંતુ કોઇ ચોક્કસ ઉકેલ આવ્યો નથી એટલે જો નહીં ફાવે તો રાજકારણ મુકી દઇશું.
ત્યારે મહત્વનું છે કે બીજી બાજુ બેચરાજીનાં કોંગ્રેસનાં ધારાસભ્ય ભરત ઠાકોરે એવું નિવેદન આપ્યું હતું કે, 'કોંગ્રેસે અલ્પેશને પાટણ લોકસભા બેઠકની ઓફર કરી હતી પરંતુ અલ્પેશે ટિકિટની વાત નકારી દીધી હતી. આ ઉપરાંત તેઓએ એમ પણ કહ્યું હતું કે, અલ્પેશ આજીવન ભાજપમાં નહીં જોડાય. હજુ પણ અમે કોંગ્રેસમાં જ છીએ રાજીનામાં આપવાની કોઇ વાત જ નથી. અમારામાંથી કોઇ ભાજપમાં જોડાવાનું નથી.'