દરેકનાં જીવનમાં મિત્રોની ખૂબ જ મોટી ભૂમિકા હોય છે. આપણાં ગ્રંથોમાં પણ મિત્રતાનાં ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે. જેમ કે, મહાભારત કાળમાં શ્રીકૃષ્ણનાં દરેક મિત્રોમાંથી આપણને કંઈને કંઈ જરૂર શીખવા મળે છે અને તે હાલનાં સમયમાં આપણા જીવનમાં ક્યાંકને ક્યાંક સ્પર્શે છે.
અર્જુનઃ અર્જુન અને શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા ઘણાં પ્રસંગ મહાભારતમાં જોવાં મળે છે. કૃષ્ણ માતા કુંતીને કહે છે કે તેમને હંમેશાં અર્જુનને પોતાનો મિત્ર માન્યો છે. કુરુક્ષત્રની રણભૂમિમાં શ્રીકૃષ્ણ સારથિ બની અર્જુનને સત્યના માર્ગ પર ન્યાય યુદ્ધનો પાઠ ભણાવ્યો હતો. જેનાં કારણે અર્જુને યુદ્ધ કરવાનું સાહસ કર્યું હતું. શ્રીકૃષ્ણે દરેક મુશ્કેલીમાં અર્જુનનો સાથ આપ્યો માટે આપણાં મિત્રોને પ્રોત્સાહિત કરવાં જોઈએ.
દ્રૌપદીઃ મહાભારતમાં દ્રૌપદીનાં ચીરહરણનાં નિંદનીય પ્રસંગ વિશે દરેક લોકો જાણે છે. તે દરમિયાન જે મહાયોદ્ધા મૌન હતાં ત્યારે શ્રીકૃષ્ણ ત્યાં હાજર ન હોવાં છતાં દ્રૌપદીને ચીરહરણથી બચાવ્યા હતાં. આ ઘટનાથી આપણને શીખ મળે છે કે મુશ્કેલીમાં ક્યારેય પણ કોઈ રીતનું બહાનું ન બનાવવું અને આપણા મિત્રની સહાયતા કરવી.
અક્રૂરઃ અક્રૂર સંબંધમાં શ્રીકૃષ્ણના કાકા થતા હતા પણ શ્રીકૃષ્ણને તે મિત્ર માનતા હતા. બંનેની ઉંમરમાં વધારે અંતર ન હતું.અક્રૂર અને શ્રીકૃષ્ણની મિત્રતાથી આપણને શીખ મળે છે કે લોહીનાં સંબંધમાં પણ એક રીતની મિત્રતાનું તત્વ હોય છે જો મન સાફ રાખો તો પારિવારિક સંબંધોમાં થયેલી મિત્રતા પણ સમયની સાથે ઘણી મજબૂત થાય છે. લોહીનાં સંબંધોમાં થયેલી મિત્રતાને અક્રૂર અને શ્રીકૃષ્ણની મિત્રતા સમજી શકાય છે.
સાત્યકિઃ નારાયણી સેનાની કમાન સાત્યકિનાં હાથમાં હતી. સાત્યકિએ અર્જુન પાસેથી ધનુષ વિદ્યા લીધી હતી. જ્યારે શ્રીકૃષ્ણ પાંડવોનાં શાંતિદૂત બનીને હસ્તિનાપુર ગયા ત્યારે તેમની સાથે માત્ર સાત્યકિને લઈ ગયા હતા.કૌરવોની સભામાં જતાં પહેલાં તેમણે સાત્યકિને કહ્યું કે જો યુદ્ધ સ્થાને મને કંઈ થાય તો, તમે મનથી દુર્યોધનની મદદ કરી હશે કેમ કે નારાયણી સેના તમારા નેતૃત્વમાં રહેશે. સાત્યકિ સદૈવ શ્રીકૃષ્ણની સાથે રહેતા હતા અને તેમના પર પૂરો વિશ્વાસ કરતા હતા. મિત્રતામાં વિશ્વાસના સિદ્ધાંત તેમની મિત્રતાથી સમજાવી શકતા હતા.
સુદામાઃ જ્યારે મિત્રતાની વાત થાય ત્યારે, શ્રીકૃષ્ણ અને સુદામાનું નામ જરૂર લેવામાં આવે છે. એક પ્રસંગમાં જ્યારે ગરીબ સુદામા શ્રીકૃષ્ણ પાસે આર્થિક સહાયતા માગવા જાય છે ત્યારે શ્રીકૃષ્ણ તેમને ના નથી પાડતા પણ સમૃદ્ધ અને સંપન્ન કરી દે છે, તે ઉપરાંત સુદામા દ્વારા ઉપહારમાં લાવવામાં આવેલાં ચોખા(તાંદુલ) બન્ને પ્રેમપૂર્વક ગ્રહણ કરે છે. તેમની મિત્રતાથી આપણને ઘણી વાત શીખવા મળે છે.
ભાગવત કથામાં કૃષ્ણ અને સુદામાની મિત્રતાના ખૂબ જ વખાણ કરેલા છે. કૃષ્ણ અને સુદામા બંને ખાસ મિત્રો હતા. સુદામા એક ગરીબ બ્રાહ્મણ હતાં. સુદામા અને શ્રીકૃષ્ણ બંન્ને સાંદીપનિ ઋષિના આશ્રમમાં ભણતાં હતાં ત્યારથી જ ખૂબ સારા મિત્રો બની ગયાં હતાં.
એક વખત તેઓ બંન્ને જણા જંગલમાં લાકડા કાપવા માટે ગયાં ત્યારે ત્યાં જબરજસ્ત તોફાન આવ્યુ. તે દરમિયાન તે બંન્ને છુટા પડી ગયાં. તે વખતે તેઓને સાંદીપનિ ઋષિની પત્નીએ ખાવા માટે ભાત આપ્યાં હતાં જે સુદામા પાસે હતાં અને તેઓને ખૂબ જ ભુખ લાગી તો તેઓ બધા ભાત ખાઈ ગયાં. જ્યારે તોફાન શાંત થઈ ગયું ત્યારે તેઓ બંન્ને આશ્રમમાં પાછા ફર્યાં. ત્યાર બાદ કૃષ્ણને ખૂબ જ ભૂખ લાગી હતી તો તેમણે ગુરુમાતા પાસે જમવાનું માગ્યું, ગુરુમાતાએ કહ્યું કે મેં તો તમારા બંને માટે ભાત આપ્યા હતા. જ્યારે તેમણે ખબર પડી કે સુદામા બધા ભાત ખાઈ ગયા તો તેમણે સુદામાને શ્રાપ આપ્યો કે કૃષ્ણના ભાગનું જમવાનું તું ખાઈ ગયો છે તો તું હંમેશાં દરિદ્ર જ રહીશ. સુદામાએ ગુરુમાતા પાસે માફી માગી અને ખૂબ વિનંતી કરી ત્યારે તેમણે કહ્યું કે જેને કારણે તને શ્રાપ મળ્યો છે તે જ તને તેમાંથી મુક્તિ અપાવશે.
જ્યારે તેઓનું ભણવાનું પૂરું થઈ ગયું ત્યાર બાદ તેઓ પોતપોતાના રસ્તે જતાં રહ્યાં. કૃષ્ણ ભગવાને રુકમણી સાથે લગ્ન કર્યા અને તેઓ દ્વારકાના રાજા બનીને ખૂબ જ ખુશીથી પોતાની જિંદગી પસાર કરતાં હતાં. બીજી બાજુ સુદામા પણ ગરીબ બ્રાહ્મણ છોકરી સાથે લગન કરીને તે પણ ખૂબ જ ખુશીથી પોતાની જિંદગી પસાર કરતા હતા.
પરંતુ થોડા સમય બાદ જ્યારે સુદામાને બે બાળકો થયાં ત્યારે તેઓને ખવડાવવા માટે અને કપડા માટે તેમને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો. ત્યારે તેઓને પત્નીએ તેમને કહ્યુ કે તમે કૃષ્ણ પાસે જાવ અને મદદ માગો પણ સુદામાએ કહ્યું કે કૃષ્ણ પાસે હુ ખાલી હાથે નહિ જાવું તો તેમની પત્નીએ તેમને કૃષ્ણ માટે ચોખા આપ્યા જે તેમને અતિ પ્રિય હતા.
જ્યારે સુદામા દ્વારકા પહોચ્યાં ત્યારે શ્રીકૃષ્ણને ખબર પડતાં તે દોડીને તેમની પાસે આવ્યાં અને તેમને ભેટી પડ્યાં. કૃષ્ણનાં કપડા અને દાગીનાં જોઈને સુદામાને શરમ આવી કે હું તેઓને ચોખા કેવી રીતે આપુ તેથી તેમણે તેને સંતાડવાની કોશિશ કરી રહ્યાં હતાં ત્યારે કૃષ્ણને તેની ખબર પડતાં તેમને માંગીને તેમની પાસેથી ચોખા લઈને ખાવા ફાંકા મારવા લાગ્યા.
તેમનો આ ફાંકો માત્ર ચોખાનો જ નહીં પરંતુ પોતાના મિત્રની દરિદ્રતાને દૂર કરવાનો પણ હતો. તેઓએ સુદામાને પોતાના મહેલમાં લઈ જઈને સુંદર કપડાં આપ્યાં. કૃષ્ણ અને રુકમિણીએ તેમના પગ ધોયા અને તેઓને પ્રેમથી જમવાનું આપ્યું. એવું કહેવાય છે કે જ્યારે સુદામા પાછા ફર્યાં ત્યારે તેઓએ પોતાની ઝૂંપડીની જગ્યાએ એક મહેલ જોવા મળ્યો ત્યારે તેમને જ્ઞાત થયું કે આ બધી તેમના મિત્ર કૃષ્ણની જ કૃપાદૃષ્ટિ છે.