આગામી 14 જાન્યુઆરી બાદ કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલ થઈ શકે છે. નવા મંત્રી મંડળમાં 2023માં આવતી વિધાનસભાની ચૂંટણીવાળા રાજ્યને પ્રાધાન્ય મળી શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની મોટી જીત બાદ રાજ્યના કેટલાક સાંસદોને તક મળી શકે છે.
કેન્દ્રીય મંત્રીમંડળમાં થઇ શકે ફેરફાર
નવા ચહેરાને મંત્રીમંડળમાં મળી શકે સ્થાન
મતો અને જ્ઞાતિના આધારે થઇ શકે મંત્રી મંડળનું વિસ્તરણ
રાજસ્થાન સહિતના રાજ્યોમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે કેન્દ્રીય મંડળમાં ફેરબદલની અટકળો ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કમુરતા બાદ એટલે કે 14 જાન્યુઆરી બાદ કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે. આ દરમિયાન રાજસ્થાન સહિત જે રાજ્યોમાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે, તે રાજ્યોના કેટલાક સાંસદોને પણ પીએમ મોદીની ટીમમાં સ્થાન મળી શકે છે. આપને જણાવી દઈએ કે, અગાઉ 07 જુલાઈ 2021 ફેરબદલ કરવામાં આવ્યો હતો.
આ રાજ્યોમાં યોજાશે ચૂંટણી
રાજસ્થાન, છત્તીસગઢ અને નોર્થ ઈસ્ટના રાજ્યમાં 2023માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની ચૂંટણીવાળા રાજ્યોના ચહેરાને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. તો અનેક રાજ્યના નવા ચહેરાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યના મતો અને જ્ઞાતિના આધારે તથા કામગીરીના આધારે મંત્રીને આપવામાં બઢતી મળી શકે છે. કામગીરી ન કરનારા અમૂક મંત્રીઓ પાસેથી મંત્રીપદ છીનવાઈ શકે છે.
મકર સંક્રાંતિ અને બજેટ સત્ર વચ્ચે થશે મોટા ફેરફાર
એક મીડિયા રિપોર્ટ અનુસાર, PM મોદી મકર સંક્રાંતિ અને બજેટ સત્ર વચ્ચે મંત્રીઓના નામોમાં ફેરફાર કરી શકે છે. 2023માં થનારી વિધાનસભાની ચૂંટણી પર પણ આ સંભવિત ફેરબદલની અસર જોવા મળી શકે છે. રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે, સંભવિત ફેરબદલ માત્ર મંત્રીઓની કામગીરીના આધારે જ નહીં, પરંતુ અન્ય યોગ્ય સાંસદોને પણ તક આપીને કરવામાં આવશે. તેના દ્વારા મંત્રીમંડળમાંથી મુક્ત થનારા નામ સંગઠનમાં પાર્ટી માટે કામ કરી શકશે.
20 જાન્યુઆરીએ પૂર્ણ થયા છે જે.પી નડ્ડાનો કાર્યકાળ
દિલ્હી ખાતે ભાજપની 21 અને 22 રાષ્ટ્રીય કાર્યકારી બેઠક મળશે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો કાર્યકાળ લંબાવવામાં આવી શકે છે. આ સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નવા અધ્યક્ષની ટીમમાં સ્થાન મળી શકે છે. આપને જાણાવી દઈએ કે, આગામી 20 જાન્યુઆરીના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થાય છે.
આ વખતે પણ થઈ શકે છે મોટા પાયે ફેરફાર
ગયા વર્ષે થયેલા ફેરબદલમાં ટીમ મોદીમાં 12 મંત્રીઓને બદલી નાખવામાં આવ્યા હતા. શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વખતે પણ ફેરફાર મોટા પાયે થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટીમમાં લોકસભાનું પ્રતિનિધિત્વ વધી શકે છે અને નીચલા ગૃહના સભ્યોને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની મોટી જીત બાદ રાજ્યના કેટલાક સાંસદોને તક મળી શકે છે.