મહેસાણામાં એક તરફ કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે બેચરાજીના ચાંદણકી ગામમાં કોરોનાનો એકપણ કેસ ન નોંધાતા ઉદાહરણરૂપ બન્યું છે
બેચરાજીનું ચાંદણકી ગામ કોરોના મુક્ત
કોરોનાનો ગામમાં એકપણ કેસ નહીં
પહેલી લહેરમાં બે યુવાનોના થયા હતા મૃત્યુ
કોરોનાકાળમાં બહુઓછા ગામો હશે જ્યાં કોરોનાના કેસ જોવા મળતા નથી. ત્યારે મહેસાણા જિલ્લાના બેચરાજીના ચાંદણકી ગામમાં કોરોનાનો એકપણ કેસ નથી. મહેસાણામાં એક તરફ કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે આ ગામ ઉદાહરણરૂપ બન્યું છે. આ ગામમાં કોરોનાના પહેલા રાઉન્ડમાં 2 યુવાનોના મૃત્યુ થતા ગામે શીખ મેળવી હતી. આ યુવાનોના મૃત્યુ બાદ ગામના લોકોએ તકેદારી વધારી દીધી હતી. ગામના લોકોએ કોરોનાને ધ્યાને લઈને સ્વયંભૂ લોકડાઉન લગાવ્યું હતું. આ ગામના મોટાભાગના યુવાનો ફોરેનમાં વસવાટ કરી રહ્યા છે. ગામમાં માત્ર વૃદ્ધો જ રહે છે અને તમામ લોકોએ રસી લીધી છે. આ ગામમાં 100 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 11,084 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે આજે 121 લોકોના મોત નિપજ્યા છે. તો પ્રથમ ઘટના છે કે, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા બીજી વખત સાજા થનારનો આંકડો વધુ છે.
અમદાવાદ મનપાના પૂર્વ કમિશનર અને IAS અધિકારી વિજય નેહરાએ વધુ એક ચેતવણી આપી હતી. CM વિજય રૂપાણીની સાથે ગાંધીનગર જિલ્લાના એક ગામડાની મુલાકાત દરમિયાન વિજય નેહરાએ કહ્યું કે, આગામી સમયમાં ગામડાઓમાં કેસની સંખ્યામાં વધારો થઈ શકે છે. ગુજરાતને કોરોના સંક્રમણે બાનમાં લીધું છે. ત્યારે એક નવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. “મારૂં ગામ, કોરોના મુક્ત ગામ” અભિયાન દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ગાંધીનગર જિલ્લાના ગામોના કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટરની મુલાકાત લેવાઈ હતી.