અમદાવાદ શહેરમાં કોરોનાને કાબૂમાં લેવા માટે AMC વામણી પુરવાર થઈ છે, જેનો જ્વલંત પુરાવો અમદવાદમાં કોરોનાનો કુલ આંકડો 30000ને પાર પહોંચી ગયો તે છે. લોકોને સરકારી આંકડાઓ કે તંત્ર પર ભરોસો નથી, સામાન્ય માણસ તેની રોજીંદી ઘટમાળમાંથી જ નવરો પડતો નથી કે કોરોના વિશે ચર્ચા પણ કરી શકે, તેથી AMCના પગલાં વિશે બહુ ચર્ચા થતી નથી, પણ જ્યારે તંત્ર પોતે જ પોતાના અણઘડ વહીવટ અને અચોક્સસાઈનો છડેચોક ખુલાસો કરે ત્યારે???
મનપા તંત્રે તૈયાર કરીને આપી, છતાં મનપાને જ ખબર નથી
વાસણાના RTI એક્ટિવિસ્ટની અરજીના જવાબમાં થયો ખુલાસો
નીંભર તંત્રના આડેધડ ખર્ચા, કીટો ક્યાં ગઈ એની છે ચર્ચા?
શહેરમાં કોરોના કાબૂમાં આવતો નથી. અનલોક-૩ દરમિયાન ઠેરઠેર સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થઇ રહ્યો છે. અનેક લોકો માસ્ક પહેરવાનું પણ ટાળી રહ્યા છે, જેના કારણે હાઇકોર્ટે ટકોર કરતાં મનપાને આંખ લાલ કરવાની ફરજ પડી છે. તંત્રના કોરોના આંકડાઓ પર પણ નાગરિકોને ભરોસો નથી, એનું સાદું કારણ શહેરના રર૧ માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા છે.
મનપા કરે છે આડેધડ ખર્ચા, જેની ક્યાંય નથી થતી ચર્ચા..
બીજી તરફ કોરોનાનું સંક્રમણ શહેરમાં ફેલાતું રોકવામાં નિષ્ફળ નીવડેલા નિંભર તંત્રના કારણે કોરોનાના નામે હિસાબ વગરના થતા આડેધડ ખર્ચા વિવાદગ્રસ્ત બન્યા છે. હવે કોરોનાગ્રસ્ત વિસ્તારના લોકોમાં વિતરીત કરાયેલી સંજીવની કિટમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો નવો વિવાદ ઊઠ્યો છે.
કોરોના મહામારીના આ સમયગાળામાં શહેરના શાસકોએ તો વહીવટીતંત્ર પર તમામ નીતિ-રીતિને છોડી દીધી છે. કોરોનાને લગતા મીડિયાના કોઇ પણ પ્રશ્નમાં સત્તાધીશો ખૂબ સિફતપૂર્વક તંત્રને પૂછો એમ કહીને જવાબદારીમાંથી હાથ ઊંચા કરી રહ્યા છે.
સંજીવની કીટનો મામલો આવ્યો છે પ્રકાશમાં
તાજેતરના શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં પણ મ્યુનિ. તંત્રને શાસક પક્ષે આડકતરી રીતે ક્લીનિચટ જ આપી દીધી છે. એક પ્રકારે તંત્રને આધીન શાસક પક્ષ હોઇ કોરોના મહામારીના સમયગાળામાં ખાનગી કોવિડ કેર હોસ્પિટલને તંત્રના રિઝર્વ બેડ પર દર્દીની સારવાર પેટે ચૂકવાતા લાખો રૂપિયાનો હિસાબ રખાતો ન હોવા જેવા વિવાદ ઊઠતા રહે છે. હવે સંજીવની કિટનો મામલો પ્રકાશમાં આવ્યો છે.
ધન્વંતરિ રથ અને સંજીવની કીટનું કરાયું હતું આયોજન
તંત્ર દ્વારા ગત તા.૧પ મેથી જમાલપુર, દરિયાપુર, ખાડિયા, શાહપુર, અસારવા, ગોમતીપુર, સરસપુર, દાણીલીમડા, બહેરામપુરા અને મણિનગર એમ રેડ ઝોનમાં મુકાયેલા દસ વોર્ડના રહેવાસીઓની આરોગ્ય ચકાસણી માટે ધન્વંતરિ રથ દોડતા કરાયા હતા. તે વખતે તંત્રે મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડના સૂત્ર સાથે કન્ટેન્મેન્ટ ઝોનમાં ઘરઆંગણે આરોગ્ય સેવા પૂરી પાડવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત લોકોમાં ઇમ્યુનિટી વધારતી આયુર્વેદ અને હોમિયોપથી દવા ધરાવતી સંજીવની કિટનું પણ વિતરણ કરાયું હતું. ધન્વંતરિ રથ સાથે સંજીવની કિટનું વિતરણ કરવા માટે બે લાખ કિટ તૈયાર કરાઇ હતી.
મનપાએ તૈયાર કરી હતી સંજીવની કીટો
મ્યુનિ. અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ વિભાગ દ્વારા લોકડાઉનના સમય દરમિયાન સંજીવની કિટને ઝવેરી હોલ અને ટાગોર હોલ ખાતે તૈયાર કરાઇ હતી. પ્રત્યેક કિટમાં ચાર સાબુ, ચાર માસ્ક, છીંકણી અને સફેદ રંગની પ૬ નંગ હોમિયોપથી ઈમ્યુનિટી દવા, આયુર્વેદિક દવા તેેમજ કોરોનાને લગતાં પેમ્ફ્લેટનો સમાવેશ કરાયો હતો. યુસીડી વિભાગ દ્વારા મ્યુનિ. સ્ટાફ, સખીમંડળની મહિલાઓને આ કામગીરી સોંપાઇ હતી. એએમટીએસ દ્વારા સ્ટાફને લેવા-મૂકવા ખાસ બસની વ્યવસ્થા કરાઇ હતી. દસ રૂપિયાનો એક સાબુ અને દસ રૂપિયાના એક માસ્ક સહિત તંત્રને એક કિટ રૂ.૧૩૦માં પડી હતી.
વિતરણનો નથી રખાયો કોઈ રેકોર્ડ
જોકે વાસણાના સામાજિક કાર્યકર અંકુર સાગરની એક RTI થી યુસીડી વિભાગ પાસે સંજીવની કિટના વિતરણનો કોઇ રેકોર્ડ રખાયો ન હોવાની ચોંકાવનારી બાબત પ્રકાશમાં આવી છે. રેડ ઝોનના દસ વોર્ડમાં સંજીવની કિટના વિતરણ સમયે પક્ષાપક્ષીના ભેદભાવનો પણ વિવાદ ઊઠ્યો હતો. યુસીડી વિભાગ દ્વારા કિટનો જથ્થો ભાજપના કોર્પોરેટર અને કાર્યકરમાં વિતરીત કરાતાં મ્યુનિ. કોંગ્રેસમાં રોષ ફેલાયો હતો. મ્યુનિ. કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ કોરોનાના પ્રકોપ વચ્ચે ભાજપ રાજનીતિ કરતું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.
260 કરોડનો ચૂનો, કાઇંક ખોટું થયાની ઉઠી છે રાવ
યુસીડી વિભાગ દ્વારા પ્રતિકિટ રૂ.૧૩૦ લેખે બે લાખ કિટ તૈયાર કરવા પાછળ મ્યુનિ. તિજોરીમાંથી રૂ.ર.૬૦ કરોડનો ખર્ચ કરાયો હતો એટલે કિટમાં મુકાયેલી વસ્તુની યાદી અને કિટની વોર્ડ વાઇઝ સંખ્યા અંગે પુછાયેલા પ્રશ્નના ઉત્તરમાં યુસીડી વિભાગે આ વિગતો અત્રેના રેકોર્ડ ઉપર ઉપલબ્ધ નથી એમ કહેતાં કંઈક ખોટું થયું હોવાની ચર્ચા ઊઠી છે. સંજીવની કિટ પાછળ ખરેખર કેટલો ખર્ચ કરાયો? આ ખર્ચ કઇ રીતે દર્શાવાયો? બે લાખ કિટ જ હતી કે ઓછી-વધતી સંખ્યામાં કિટ તૈયાર કરાઇ હતી? વગેરે પ્રશ્નને જોતાં આ યુસીડી વિભાગનું એક પ્રકારનું વધુ એક કૌભાંડ તો નથી ને તેવો વિવાદ ઊઠ્યો છે.