ખેડૂત આંદોલને ફરીથી વેગ પકડયું છે ત્યારે ગઇકાલે પીએમ મોદીના નિવેદન બાદ હવે ખેડૂત સંગઠનોએ પણ કહ્યું કે વાતચીતના દરવાજા ખુલ્લા જ છે.
પીએમ મોદીના નિવેદન બાદ ખેડૂત સંગઠનો નરમ પડ્યા
વાતચીતના દરવાજા ખુલ્લા હોવાનો બંને તરફથી દાવો
ગાજીપુર બોર્ડર પર ખેડૂતો વધ્યા, પોલીસે 12 લેયરની બેરિકેડિંગ કરી
વાતચીત પર બંને પક્ષ રાજી
સંયુક્ત કિસાન મોરચાએ શનિવારે કહ્યું છે કે કેન્દ્ર સરકાર સાથે વાતચીતના દરવાજા ખુલ્લા જ છે અને તે બંધ થવાનો તો સવાલ જ ઊભો થતો નથી. પીએમ મોદીએ બજેટ સત્ર પહેલાની બેઠકમાં એલાન કર્યું હતું કે ખેડૂતો સાથે વાતચીતના દરવાજા ખુલ્લા છે અને સરકાર પોતાના પ્રસ્તાવ પર હજુ અડગ છે. જે બાદ ખેડૂત સંગઠનો દ્વારા કહેવામાં આવ્યું છે કે ખેડૂતો કાયદા સંપૂર્ણ રદ થાય તેની માંગ કરે છે.
ખેડૂત સંગઠનોએ કહ્યું કે સંયુક્ત કિસાન મોરચાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર ધ્યાન આપ્યું છે અને ખેડૂતો ચૂંટેલી સરકારના દરવાજા પર આવીને ઊભી છે ત્યારે સવાલ જ ઊભો થતો નથી કે વાતચીતના દરવાજા બંધ કરવામાં આવે.
PM મોદીના નિવેદનને રાકેશ ટિકેત આવકાર્યુ
ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે PM મોદીના નિવેદનને આવકાર્યું છે. ટિકૈતે કહ્યું હતું કે, તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માને છે કારણ કે તેમણે ખેડૂતોને સંજ્ઞાનમાં લીધા. તેની સાથે જ તેમણે કહ્યું કે, સરકાર અને ખેડૂતો વચ્ચે પ્રધાનમંત્રી સંવાદ કરાવે. અમે વાતચિતથી સમાધાન ઈચ્છીએ છીએ. સિંઘુ બોર્ડર પર સરકાર પરિસ્થિતિ સામાન્ય કરે. રાકેશ ટિકૈતે કહ્યું કે, મારા આસૂં નિકળ્યા તે ખેડૂતના આંસૂ હતા. ન સરકારનું માથુ ઝુકવા દઇએ ન ખેડૂતોની પાઘડી ઝુકવા દઇએ. અમારા લોકો પર પથ્થર ચાલશે તો ખેડૂત પણ એ જ છે અને ટ્રેક્ટર પણ એ છે.
શિવકુમાર કક્કાજીએ કહ્યું- સરકાર એક કૉલ દૂર છે તો અમે એક રિંગ દૂર છીએ
ત્યારે ખેડૂત નેતા શિવકુમાર કક્કાજીએ પણ આ પ્રતિક્રિયા આપી. જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે તમે સરકાર સાથે વાતચીત કરશો, જેના પર તેમણે કહ્યું કે, અમે જરૂર વાત કરીશું. જો તેઓ એક કૉલ દૂર છે તો અમે રિંગ દૂર છીએ. તેઓ જે દિવસે રિંગ કરી દે અમે તે દિવસે પહોંચી જઇશું. વાતચીતથી ઉકેલ આવવો જોઇએ. તેનાથી અમે પાછળ નથી હટ્યા. પ્રધાનમંત્રીએ વાતચીત માટે કહ્યું છે તો અમે તેનું સ્વાગત કરીએ છીએ.
પોલીસ પર ગંભીર આરોપ
ખેડૂતોના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દિવસભર ઉપવાસ રાખીને ખેડૂતોએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી છે અને આંદોલન શાંતિપૂર્વક ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, બિહાર, ગુજરાત સહિતના દેશભરમાં સદ્ભાવના દિવસ મનાવવામાં આવ્યો છે. ખેડૂત સંગઠનોએ પોલીસ પર આરોપ લગાવ્યો છે કે પોલીસ પ્રદર્શનકારી અને પત્રકારોની ધરપકડ કરી રહી છે.
પ્રધાનમંત્રી મોદીએ સર્વપક્ષીય બેઠકમાં શું કહ્યું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને જે કંઈ કહ્યું તે હું દોહરાવવા માગુ છું. ખેડૂતો અને સરકાર વચ્ચે કોઈ સર્વસંમતિ સધાઈ શકી નથી તેમ છતાં અમે ખેડૂતોને ઓફર કરી રહ્યાં છીએ અને તમે આ અંગે ચિંતન મનન કરી શકો છો. તોમરે ખેડૂતોને કહ્યું હતું કે તેઓ જ્યારે પણ ઈચ્છે ત્યારે તેમને ફોન કરી શકે છે. પીએમએ કહ્યું કે, સરકાર વાતચીત દરમિયાન જે રજૂઆત કરી હતી, હજુ પણ તેના પર કાયમ છે.
મોદીએ કહ્યું હતું કે સરકારની દરખાસ્ત તો યથાવત જ છે. કૃપા કરીને સરકારની દરખાસ્ત અંગે તમારા ટેકેદારને જણાવો. સંવાદ દ્વારા સમસ્યાનો ઉકેલ આવવો જોઈએ. આપણે સૌથી પહેલા તો રાષ્ટ્ર વિશે વિચારવું પડશે. વડાપ્રધાન તમામ રાજકીય પક્ષોને ખેડૂતો સાથે વાતચીત કરવાની પણ અપીલ કરી.
મહાપંચયાતનું એલાન
બીજી તરફ ખેડૂતો સતત આંદોલનને ધાર આપવાના પ્રયત્ન કરી રહ્યા છે. ટ્રેક્ટર હિંસા બાદ હવે મહાપંચાયતનો દોર શરૂ થઈ ગયો છે. પહેલા મુજફફરનગરમાં મહાપંચયાત કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. હવે તે જ રણનીતિ અનુસાર હરિયાણામાં પણ મહાપંચયાત કરવાનું એલાન કરી દેવામાં આવ્યું છે.
ખેડૂતોએ ગાજીપુર ગજવ્યું
ગાજીપુર બોર્ડર પર ખેડૂતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને બે મહિનાથી પણ વધારે સમયથી ચાલી રહેલા આંદોલનમાં હવે નવા વળાંક જોવા મળી રહ્યા છે. પહેલા ખેડૂતોની સંખ્યામાં ઘટાડો આવ્યો હતો પરંતુ રાકેશ ટીકૈત આ આંદોલનમાં ગેમચેન્જર સાબિત થયા છે અને તેમના આહવાહન પર ઘણાબધા લોકો બોર્ડર પર પહોંચી રહ્યા છે ત્યારે હવે દિલ્હી-ગાજીપુર બોર્ડર પર દૂર દૂર સુધી ટ્રેક્ટર દેખાઈ રહ્યા છે.
કિલ્લામાં ફેરવાઇ ગાજીપુર બોર્ડર
ખેડૂતોની સતત વધતી સંખ્યાને જોતાં પોલીસે રાતોરાત 12 લેયરની બેરિકેડિંગ કરી દીધી છે. જેથી ખેડૂતો હવે દિલ્હી તરફ આગળ ન વધી શકે. આ બેરિકેડિંગ દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવી છે કારણ કે પોલીસને આશંકા છે કે બજેટ સત્ર દરમિયાન ખેડૂતો ફરીવાર દિલ્હી તરફ આગળ વધી શકે છે. પરિસ્થિતિને જોતાં 12 લેયરની બેરિકેડિંગ કરવામાં આવી છે.