પાકિસ્તાન હસ્તકના જમ્મુ-કાશ્મીર (પીઓકે)ના રાષ્ટ્રપતિ સરદાર મસૂદખાને ભારતને વધુ એક વાર યુદ્ધની પોકળ ધમકી આપી છે. અનુચ્છેદ-૩૭૦ અંગે વાત કરતાં સરદાર મસૂદખાને જણાવ્યું છે કે ભારત સાથે હવે યુદ્ધ એકમાત્ર જ વિકલ્પ છે. તેમણે જણાવ્યું હતું કે કાશ્મીરની આઝાદી માટે હવે ભારત સાથે યુદ્ધને ટાળી શકાશે નહીં.
PoKK ના રાષ્ટ્રપતિએ ભારતને આપી પોકળ ધમકી
કલમ-370 મામલે ભારત વિરુદ્ધ હવે માત્ર યુદ્ધ જ વિકલ્પ
ભારત વિરુધ્ધની લડાઇમાં પાક સાથે મળીને લડીશું
અમારો સમગ્ર દેશ સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે પાકિસ્તાનની સેનાના જવાનો સાથે ખભેખભા મિલાવીને ભારત સામે લડશે, જોકે તેમણે જણાવ્યું હતું કે આ પહેલાં આપણે પાકિસ્તાનના અર્થતંત્રની સાથે-સાથે સુરક્ષા વ્યવસ્થાને પણ મજબૂત કરવી પડશે અને દેશમાં એકતાનો માહોલ ઊભો કરવો પડશે.
પીઓકે સ્થિત મીરપુરની પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફલિક્ટ એન્ડ સિક્યોરિટી સ્ટડીઝમાં આયોજિત એક કોન્ફરન્સમાં બોલતાં સરદાર મસૂદખાને જણાવ્યું હતું કે પીઓકે આ યુદ્ધમાં પાકિસ્તાન સાથે અડીખમ ઊભાં રહીને ભારત સામે લડવા તૈયાર છે. આ સાથે આપણે દુશ્મનની રણનીતિ સમજવાની અને તેને હરાવવાની યોજના તૈયાર કરવી પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારે અનુચ્છેદ-૩૭૦ને રદ કરતાં પાકિસ્તાન અને પાકિસ્તાનના રહેનુમાઓની ઊંઘ હરામ થઇ ગઇ છે. આ અગાઉ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાનખાન પણ ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી ચૂક્યા છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં પોતાના ઉદબોધન દરમિયાન ઇમરાનખાને ભારત સાથે પરમાણુ યુદ્ધ છેડવાની અને કાશ્મીરમાં ખૂનખરાબા કરવાની વાત કરી હતી.