ભણશે ગુજરાત, રમશે ગુજરાત જેવા સૂત્રો માત્ર હવામાં ગૂંજી શકે. વાસ્તવિકતાની નક્કર ધરતી પર ઈચ્છાશક્તિ વિના તે આકાર પામતા નથી. આ વાત ત્યારે સમજાય જાય છે જ્યારે તમે રાજકોટના ધોરાજીમાં કુંભારવાડા વિસ્તારમાં ચાલતી એક શાળાની મુલાકાત લો.
ધોરાજીમાં આવેલ શટરવાળી લાઈનબંધ આવેલી રૂમો જોતા એવું લાગે કે આ બધી દુકાનો હશે અને અહીં વેપારધંધા ચાલતા હશે. આ રૂમો આમ તો દુકાનો ચલાવવા માટે બનાવી હતી પરંતુ હાલ તેમાં દુકાનો નહીં શાળા ચાલે છે. તમે કદાચ ચોંકી જશો પરંતુ એ હકીકત છે. અહીં પ્રાથમિક શાળાના ધોરણ એકથી આઠના બાળકો અભ્યાસ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાના ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળા આવી છે. આ શાળાનું નામ શાળા નં-14 છે. અહીં 1થી 8 ધોરણમાં 177 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વિશાળકાય પ્રોજેક્ટ માટે થોડા મહિનાઓમાં જમીન સંપાદન કરી શકતી સરકાર અહીં વર્ષો બાદ પણ શાળા માટે જમીન મેળવી શકી નથી. અથવા કહો કે તેની ઈચ્છાશક્તિ જ નથી. જેના કારણે સરકારને ભાડાની દુકાનોમાં પ્રાથમિક શાળા ચલાવવી પડે છે.
સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓનું શિક્ષણસ્તર સુધારવા માટે હવે તો સરકાર નવી શિક્ષણનીતિ પણ ઘડવા જઈ રહી છે. ત્યારે દુકાનોની હારમાળામાં ચાલતી આ શાળા જોઈને એવું લાગે છે કે, બાળકોને ભણવા માટે સારી શાળા નથી સરકાર શિક્ષણ નીતિઓના નામે માત્ર હવામાં જ તલવાર વીંઝી રહી છે. રાજકોટના ધોરાજીમાં શાળા નંબર 14 છેક 1973થી શરૂ થઇ હતી ત્યારથી એટલે કે છેલ્લા 40 વર્ષથી અહીં જ સ્વામિનારાયણ મંદિરની કોમર્શિયલ દુકાનોમાં ચાલે છે, માત્ર 10 બાય 12ના રૂમો કે જેમાં હવા ઉજાસ માટે કોઈ બારી પણ નથી.
આવવા જવાનો આ રસ્તો કહો કે, ઉજાસ માટેનો વિકલ્પ કહો તેવા લોખંડની શટર વાળી દુકાનોમાં બેસીને આ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. માત્ર બંધિયાર રૂમ સિવાય અહીં બાળકો માટે શૌચાલય કે પીવાલાયક શુદ્ધ પાણીની પણ વ્યવસ્થા નથી. હા રમત ગમત માટે એક નાનકડું મેદના છે. પરંતુ આ દુકાનો કુંભારવાડાના મેઈન રોડ ઉપર આવેલ હોઈ અહીંથી સતત વાહનોની અવર જવર અને પશુઓની રંજાડ રહે છે.
આપને જણાવી દઇએ કે, સરકાર દ્વારા ગુણોત્સવ, પ્રવેશોત્સવ, જેવા કાર્યક્રમો અમલમાં મુકાયા છે. તો વળી મિશન વાંચન પણ શરૂ કરવામાં આવ્યું છે. અને ડિજિટલ ક્લાસરૂમ અને પ્રજ્ઞા વર્ગખંડો દ્વારા બાળકોને નવા ભારત માટે તૈયાર કરવાનું અભિયાન જાણે હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ અહીં ધોરાજીમા બાળકો માટે શાળા નામે પ્રાથમિક સુવિધા જ ઊભી કરવાનું જાણે સરકાર ભૂલી ગઈ છે.
નવાઈની વાત એ છે કે, મેળા માટે પ્લોટ ફાળવાય છે. જ્ઞાતિઓની વાડીઓ માટે સરળતાથી જમીન મળી શકે છે અને મંદિરો બનાવવા પણ જગા મળી શકે છે પરંતુ ધોરાજી નગર પાલિકાને શાળા માટે ફાળવવા લાયક ક્યાંય જમીન મળતી નથી અને સરકાર પણ જાણે આ મુદ્દે કશો હસ્તક્ષેપ કરવા માગતી નથી. જેના કારણે ભણતરના નામે દસ બાસ દસની ઓરડીઓમાં બાળકોનું ભવિષ્ય રુંધાઈ રહ્યું છે અને હજુ તો શાળા તંત્ર કહે છે રજૂઆત કરી છે.
40 વર્ષથી રોડ ઉપર આવેલ દુકાનોમાં બેસીને અભ્યાસ કરતા આ નાના બાળકોનો અવાજ છેલ્લા 40 વર્ષથી કોઈ સરકારને સંભળાયો નથી. છેલ્લાં ચાલીસ વર્ષમાં અનેક સરકારો બદલાઈ ગઈ, અનેક શિક્ષણમંત્રીઓ બદલાઈ ગયા અને અનેક શિક્ષણનીતિઓ બદલાઈ ગઈ પરંતુ આ હંગામી ધોરણે શરૂ કરાયેલી શાળાની સ્થિતિ બદલાઈ નથી. પરિવર્તન માત્ર સત્તાનું જ ન હોવું જોઈએ. તે વાત આ શાળા જોઈને સમજાય તો સારું.