કેન્દ્ર સરકારે જાહેર કરી કોરોનાની નવી ગાઇડલાઇન. કોરોનાના 3 પ્રકારના દર્દી ઓળખાવીને ઇલાજ કરવા માટે દિશા નિર્દેશો કર્યા સુચિત
કેન્દ્ર સરકારની નવી કોવિડ ગાઇડલાઇન્સ
ત્રણ પ્રકારના કોરોનાના દર્દીની કરાવી ઓળખ
કોરોનાના હળવા લક્ષણો કેવા હોય ?
કેન્દ્ર સરકારે સોમવારે કોવિડ-19ની સારવારને લઈને તેની ક્લિનિકલ માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. સૌથી મોટી વાત એ છે કે આ નવી ગાઈડલાઈન્સમાં સરકારે ડોકટરોને કોવિડ દર્દીઓની સારવારમાં સ્ટીરોઈડનો ઉપયોગ ટાળવા કહ્યું છે. તો આ સાથે જ કોરોનાના સામાન્ય લક્ષણો અને ગંભીર લક્ષણો કેવા હોય. આવા સંજોગોમાં દર્દીઓએ શું કરવુ, કેવી દવા લેવી, ક્યારે આઇસોલેટ થવુ, ક્યારે હોસ્પિટલમાં દાખલ થવુ, આ તમામ અંગે કેન્દ્ર સરકારે જાહેર કરેલી માર્ગર્શિકામાં જણાવ્યુ છે.
AIIMS/ICMR-Covid19 National Task Force/ Joint Monitoring Group under the @MoHFW_INDIA issued revised clinical guidance for management of adult COVID-19 patients @ICMRDELHIpic.twitter.com/rVVdeV3Y4s
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) January 18, 2022
આ લક્ષણો માઇલ્ડ કહેવાય
જો કોવિડના લક્ષણો ઉપલા શ્વસન માર્ગમાં ઉદ્દભવે છે અને દર્દીને શ્વાસ લેવામાં તકલીફ કે હાયપોક્સિયા જેવી સમસ્યા ન હોય, તો તે હળવા લક્ષણોમાં ગણાશે.આવા દર્દીઓને હોમ આઇસોલેશનમાં સારવાર લેવાની સલાહ આપવામાં આવે છે. પાંચ દિવસથી વધુ સમય સુધી શ્વાસ લેવામાં તકલીફ હોય અથવા વધારે તાવ હોય અથવા તીવ્ર ઉધરસ હોય તો તેમને ડૉક્ટર પાસે જવાની સલાહ આપવામાં આવી છે.
આ લક્ષણો મોડરેટ કહેવાય
જો દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે, તાવ ન ઉતરે, ખાંસી ન મટે તો ડોક્ટરનો સંપર્ક કરવો. ઑક્સિજન લેવલ 90થી93 ટકા વચ્ચે વધઘટ થતુ હોય, શ્વાસ લેવામાં તકલીફ પડે તો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા જોઇએ. આવા લક્ષણોને મોડરેટ લક્ષણો કહી શકાય છે. આવા દર્દીઓને ઘણી વખત ઓક્સિજન સપોર્ટ પર પણ રાખવાની જરુર પડતી હોય છે.
આ લક્ષણ ગંભીર કહેવાય
જો કોઇ વ્યક્તિનો શ્વસનદર પ્રતિ 30 મિનિટથી વધારે હોય અને શ્વાસ લેવામાં તકલીફ પડે તો તે ગંભીર લક્ષણ ધરાવતો દર્દી ગણાશે. જો ઓરડાના તાપમાને ઓક્સિજન સેચ્યુરેશન 90 ટકાથી નીચે હોય તો તેને ગંભીર દર્દી ગણવામાં આવશે. આવા સમયે દર્દીને આઇસીયુમાં દાખલ કરવા જોઇએ. આવા સમયે NIV, હેલ્મેટ અને ફેસ માસ્ક ઈન્ટરફેસ જેમને ઓક્સિજનની વધારે જરુરિયાત હોય અને શ્વાસ ધીમો થઇ જતો હોય તે પ્રમાણે ઉપયોગ કરવો જોઇએ.
હળવા અને ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓમાં રેમડેસિવરને કટોકટી અથવા 'ઓફ લેબલ' ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે.
રેમડેસિવરનો ઉપયોગ એવા દર્દીઓ પર જ થઈ શકે છે જેમને કોઇ પણ લક્ષણો હોવાના 10 દિવસની અંદર 'રેનલ' અથવા 'હિપેટિક ડિસફંક્શન'ની ફરિયાદ કરી ન હોય. EUA અથવા Tocilizumab દવાનો ઓફ લેબલ ઉપયોગ ગંભીર કિસ્સાઓમાં પણ થઈ શકે છે. ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ માટે અથવા 24 થી 48 કલાક સુધી આઇસીયુમાં રાખવામાં આવતા દર્દીઓ માટે ઉપયોગમાં લઇ શકાય છે.
કેવા લોકોને છે વધારો જોખમ
એવું કહેવામાં આવ્યું છે કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અથવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગ, હાયપરટેન્શન, કોરોનરી ધમની બિમારી, ડાયાબિટીસ અથવા ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝડ સ્ટેટ જેવી કે HIV,ટ્યુબર ક્યુલોસિસ, ક્રોનિક લંગ, કિડની, લીવર, મેદસ્વિતા જેવી ગંભીર બીમારીઓ જેને હોય તેવા લોકોને બીમારી થવાનો કે મોત થવાનો ભય વધારે રહે છે.
સ્ટીરોઇડ ન લો
કેન્દ્ર સરકારે કોરોનાને લઇને નવી ગાઇડલાઇન અમલમાં મૂકી છે. તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યુ છે કે કોરોનાના દર્દીના ઉપચાર માટે સ્ટીરોઇડ દવાનો બેફામ ઉપયોગ કરવાનું ટાળો. મહત્વનુ છે કે થોડા દિવસ પહેલા જ ટાસ્ક ફોર્સના વડા વીકે પોલે કોરોનાની બીજી લહેરમાં સ્ટીરોઈડ દવાઓના વધુ પડતા ઉપયોગ પર ખેદ વ્યક્ત કર્યો હતો. કોવિડ-19ની આ ક્લિનિકલ ગાઇડલાઇન ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS), ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)-કોવિડ-19 નેશનલ ટાસ્ક ફોર્સ અને જોઈન્ટ મોનિટરિંગ ગ્રૂપ (DGHS)દ્વારા સંશોધિત માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
વધુ સ્ટીરોઇડ લેવાથી થશે ફંગસ
માર્ગદર્શિકામાં એમ પણ જણાવવામાં આવ્યુ છે કે જો કે જો સ્ટીરોઇડ ધરાવતી દવાઓનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો મ્યુકરમાઇકોસિસ બીમારી અથવા બ્લેક ફંગસ થઇ જવાનુ જોખમ વધારે રહે છે. આથી સામાન્ય લક્ષણ હોય તો સ્ટીરોઇડ લેવાનું ટાળો.