મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્યને લઇને સતત ચર્ચા કરવામાં આવી રહી છે. ધોનીએ જુલાઇ 2019 ના પછી કોઇ ઇન્ટરનેશનલ મેચ રમી નથી. આ વચ્ચે પૂર્વ કેપ્ટન સુનીલ ગવાસ્કરે ધોનીના ભવિષ્યને લઇને ખુલાસો કર્યો છે.
સુનીલ ગવાસ્કર અનુસાર, ''ટીમ ઇન્ડિયામાં હવે ધોનીની વાપસી મુશ્કેલ છે, એટલું જ નહી આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાવા જઇ રહેલા ICC વર્લ્ડપ કપમાં ધોની ટીમ ઇન્ડિયાનો ભાગ નહી થઇ શકે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) થી ધોની કમબેક કરવાનો હતો, પરંતુ કોરોના વાયરસને કારણે IPL ને 15 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે.હાલની સ્થિતિ જોઇને મુશ્કેલ લાગી રહ્યુ છે કે આ વખતે IPL રમાશે.''
પૂર્વ કેપ્ટને આગળ કહ્યું કે, 'હું નિશ્ચિતપણે ધોનીને ભારતની વર્લ્ડ કપ ટીમમાં જોવા માંગુ છું, પરંતુ તે થવાની સંભાવના ઘણી ઓછી છે. ટીમ આગળ વધી રહી છે. ધોની મોટી ઘોષણા કરનાર વ્યક્તિ નથી તેથી હું માનું છું કે તે ચૂપચાપ નિવૃત્તિ લેશે."
38 વર્ષીય ધોની છેલ્લે વનડે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમ્યો હતો. ત્યારબાદ તે ક્રિકેટથી દૂર રહ્યો છે. IPL દ્વારા તે મેદાન પર કમબેક કરશે. ભારતના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પહેલા જ જણાવી ચૂક્યા છે કે ધોનીની પસંદગી IPLમાં તેના પ્રદર્શન પર આધારીત છે. જોકે હવે IPL રમાશે કે નહી તે જોવાનું રહ્યુ.
ઉલ્લેખનીય છે કે, ધોનીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટની કેપ્ટન્સી છોડવાની સાથે એકદમથી ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કહી દીધુ હતુ. આ પછી વનડે અને T20 ઇન્ટરનેશનલમાં પણ ધોનીએ એકદમથી કેપ્ટન્સી છોડી દીધી હતી.