ગુજરાતના સુરતથી એક સમાચાર સામે આવ્યો છે જેનાથી માનવતાને ગર્વ છે. અહીં, વેલંજાની રામવાટીકામાં રહેતા બ્રેનડેડ પિયુષ નારાયણ માંગુકિયાના સંબંધીઓએ ફેફસાં, કિડની, લીવર, સ્વાદુપિંડ અને આંખોનું દાન કર્યું હતું. જેનાથી આઠ લોકોને નવું જીવન મળ્યું. રાજ્યમાં આ પહેલીવાર એવું બન્યું છે કે એક જ વ્યક્તિના ઘણા બધા અવયવો એકી સાથે દાન કરવામાં આવ્યા હોય.
સુરતના યુવાને 8 જિંદગીઓમાં પૂર્યા નવા પ્રાણ
આંખ, હ્રદય, ફેફસાં વગેરે અવયવોનું કર્યું દાન
સુરતના પિયુષ નારાયણ માંગુકિયાએ માનવતા મહેકાવી
સુરતમાં ત્યારે માનવતાની મહેક પ્રસરી ઉઠી હતી જ્યારે એકીસાથે 8 જિંદગીઓને પુનર્જીવન મળ્યું હતું. સુરતના પિયુષ નારાયણ માંગુકિયા નામના યુવાને આઠ લોકોને એકીસાથે નવી જિંદગી આપી હતી. તેમના દ્વારા કરાયેલા અવયવ દાનના લીધે એકીસાથે 8 ચહેરાઓ પર નવું સ્મિત છવાયું હશે.
સુરતમાં રત્નકલાકારનું કામ કરતા હતા પિયુષભાઈ
પિયુષભાઈ રામકૃષ્ણ એક્સપોર્ટ નામની કંપનીમાં સુરત માં રત્ન કલાકાર હતા. કામથી છૂટ્યા બાદ અમરોલી ચારભુજા આર્કેડ અને રેસીડેન્સી ખાતે તેમના સાસરિયામાં તેમની બીમાર પત્નીને મળવા ગયા હતા. તેઓ રાત્રે 10 વાગ્યે ત્યાંથી પાછા ફરી રહ્યા હતા, ત્યારે સાયણ રોડ ચેકપોસ્ટ નજીક બાઇક સ્લીપ થવાથી ગંભીર રૂપે ઘાયલ થયા હતા.
જે બાદ તેમને સ્મીમેર હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ તેમને આયુષ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ન્યુરો સર્જન ડો. હસમુખ સોજીત્રાએ તેમના મગજમાં જમા લોહીની સારવાર કરી હતી. 28 ઓક્ટોબરે, ડો.સોજીત્રાની ટીમે પિયુષભાઈને બ્રેનડેડ જાહેર કર્યો હતો.
યુવાનના પિતા અને અન્ય સભ્યો અંગદાન માટે રાજી થયા
ડોનેટ લાઇફ સંસ્થા એ પિયુષભાઈના પિતા નારાયણ ભાઈ અને અન્ય સભ્યોને અંગદાન કરવા માટે સમજાવ્યા અને રાજી કર્યા. પિયુષભાઈનું હૃદય અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં બોરસદ (આણંદ) ના 39 વર્ષીય વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. મુંબઇની એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં 44 વર્ષીય વ્યક્તિને ફેફસાંનું પ્રત્યારોપણ કરાયું હતું.
IKDRC અમદાવાદ ખાતે બે કિડની, યકૃત ( લીવર ) અને સ્વાદુપિંડ ( પેન્ક્રીયાઝ )નું જુદા જુદા ચાર દર્દીઓમાં પ્રત્યારોપણ કરાયું હતું. આંખોને લોકદ્રષ્ટુ ચક્ષુ બેંકમાં દાન કરવામાં આવી હતી. આમ સુરતના યુવાને 8 લોકોને નવજીવન બક્ષીને માનવતાની મીઠી સોડમ મહેકાવી હતી.