યુપીમાં કોરોનાની સુધરી રહેલી પરિસ્થિતિની સાથે બીજા રાજ્યોના લોકોની અવરજવર શરુ થઈ જતા યોગી સરકારે રાજ્યમાં પ્રવેશતા લોકો માટે કોવિડ નેગેટિવ રિપોર્ટ ફરજિયાત બનાવ્યો છે.
યુપીમાં કોરોનાની પરિસ્થિતિ સુધરી રહી છે
લોકોની અવરજવર શરુ થઈ જતા યોગી સરકાર ચિંતિત
રાજ્યમાં પ્રવેશતા લોકો માટે કોવિડ નેગેટિવ રિપોર્ટ ફરજિયાત બનાવ્યો
લોકોની અવરજવર વધતા રાજ્યમાં કોરોનાની સ્થિતી ફરી ન બગડે તે માટે યુપી સરકારે રાજ્યમાં પ્રવેશતા લોકો માટે કોવિડ નેગેટિવ રિપોર્ટ ફરજિયાત બનાવ્યો છે.
નેગેટિવ રિપોર્ટ દેખાડવો પડશે
યોગી સરકાર દ્વારા જારી થયેલી નવી ગાઈડલાઈન્સ અનુસાર, હવેથી યુપીમાં પ્રવેશતા કોઈ પણ વ્યક્તિએ કોવિડ નેગેટિવ રિપોર્ટ દેખાડવો પડશે તો જ તેમને પ્રવેશવા દેવામાં આવશે જેમની પાસે રિપોર્ટ નહીં હોય તેમને દાખલ થવા દેવાશે નહીં.
બીજા રાજ્યોમાંથી આવનાર લોકો માટે ખાસ દિશાનિર્દેશો જારી કરાયા
રવિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બેઠક દરમિયાન બીજા રાજ્યોમાંથી આવનાર લોકો માટે ખાસ દિશાનિર્દેશો જારી કર્યાં હતા. તેમણે કહ્યું કે જે રાજ્યોમાં કોરોના પોઝિટીવીટ રેટ 3 ટકાથી વધારે છે, તે રાજ્યોમાં યુપીમાં પ્રવેશ કરનાર લોકોએ પોતાની સાતે કોરોના નેગેટિવ રિપોર્ટ લાવવો પડશે. આ નેગેટિવ રિપોર્ટ દેખાડ્યા બાદ યુપીમાં પ્રવેશ મળશે.
4 દિવસથી વધારે જુનો રિપોર્ટ માન્ય નહીં હોય
સીએમ યોગીએ નિર્દેશ આપતા જણાવ્યું કે બહારથી આવનારા લોકોનો કોરોના રિપોર્ટ 4 દિવસથી જુનો ન હોવો જોઈએ, અન્યથા તે માન્ય નહીં હોય. તે ઉપરાંત તેમણે કહ્યું કે ગત દિવસોમાં કોરોના વેક્સિનની બન્ને ડોઝનો લાભ લઈ ચૂકેલા પ્રવાસીઓને યુપીમાં પ્રવેશતી વખતે છૂટ આપવામાં આવશે.
સડક માર્ગથી માંડીને હવાઈ માર્ગ સુધી લાગુ પડશે આ નિયમ
મુખ્યમંત્રીએ અધિકારીઓને આ નિર્દેશોનું કડકાઈથી પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. સડક માર્ગ, રેલવે માર્ગ તથા હવાઈ માર્ગેથી યુપીમાં દાખલ થનાર તમામ પ્રવાસીઓ પર આ નિયમ લાગુ પડશે.