ત્યારબાદ વડાપ્રધાન સાંજે 7.30 વાગ્યાની આસપાસ ભારત જવા રવાના થયા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-7માં ભાગ લીધા બાદ મંગળવારે એક દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત (UAE) પહોંચ્યા હતા. UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન પ્રોટોકોલ તોડીને મોદીને રિસીવ કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. ઝાયેદે મોદીને ગળે લગાવીને આવકાર્યા હતા. આ સાથે વડાપ્રધાન મોદીએ UAEના પૂર્વ રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના નિધન પર વ્યક્તિગત શોક વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ વડાપ્રધાન સાંજે 7.30 વાગ્યાની આસપાસ ભારત જવા રવાના થયા હતા.
લાંબી માંદગી બાદ શેખ ખલીફાનું અવસાન થયું
શેખ ખલીફા 3 નવેમ્બર 2004થી યુએઈના પ્રમુખ અને અબુ ધાબીના શાસક હતા. તેમના પિતા શેખ ઝાયેદ બિન સુલતાન અલ નાહયાન 1971 થી 2004 સુધી પ્રમુખ હતા. તેઓ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. 1948માં જન્મેલા શેખ ખલીફા અબુ ધાબીના 16મા અમીર એટલે કે, શાસક હતા. તેમણે UAE અને અબુ ધાબીના વહીવટી માળખામાં મહત્વપૂર્ણ સુધારા કર્યા હતા.
UAE ભારતનું ત્રીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે
UAE ભારતનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. બંને દેશો વચ્ચે 60,664.37 કરોડ રૂપિયાનો બિઝનેસ છે. આમાં ભારત રૂ. 38,901.88 કરોડની આયાત કરે છે, જ્યારે રૂ. 21,762.49 કરોડની નિકાસ કરે છે. થોડા મહિના પહેલા, ભારતે UAE સાથે વેપાર કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા.
ભારત UAEને શું નિકાસ કરે છે?
UAE માં ભારતની મુખ્ય નિકાસમાં પેટ્રોલિયમ ઉત્પાદનો, ધાતુઓ, પથ્થરો, જેમ્સ અને જ્વેલરી, ખનિજો, ખાદ્ય પદાર્થો જેમ કે અનાજ, ખાંડ, ફળો અને શાકભાજી, ચા, માંસ અને સીફૂડ, કાપડ, એન્જિનિયરિંગ મશીનરી ઉત્પાદનો અને રસાયણોનો સમાવેશ થાય છે.