કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને પગલે તરણેતરનો મેળો જિલ્લા પ્રસાશને ન યોજવા માટેનો નિર્ણય લીધો છે
કોરોનાને ધ્યાને લઇ લેવાયો નિર્ણય
તરણેતરનો મેળો બીજા વર્ષે પણ રહેશે બંધ
મંદિરમાં ધ્વજારોહણ અને પૂજા અર્ચના થશે
વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો બીજા વર્ષે પણ બંધ રહેશે, ગત વર્ષે કોરોના મહામારીને પગલે લોકડાઉન જેવી સ્થિતિમાં મેળા તેમજ ધાર્મિક જમાવળાઓ પર પ્રતિબંદ મુકવામાં આવ્યો હતો પરતું આ વખતે પણ કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને પગલે તરણેતરનો મેળો જિલ્લા પ્રસાશને ન યોજવા માટેનો નિર્ણય લીધો છે મંદિરમાં માત્ર ધ્વજારોહણ અને પૂજા અર્ચના કરવા માટેની જ પરમિશન આપવામાં આવી છે.
તરણેતરનો મેળો બીજા વર્ષે પણ રહેશે બંધ
આ વર્ષે પણ શ્રાવણમાસમાં યોજાતા લોકમેળાનું વિષેશ મહત્વ છે સૌરાષ્ટમાં શ્રાવણ અને ભાદરવા માસમાં નાના મોટા મેળા યોજાતા હોય છે. જેમાં તરણેતરનો મેળો વિશ્વ પ્રસિદ્ધ માનવામાં આવે છે પરતું કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લઇ રાજકોટ, જામનગર અને પોરબંદર બાદ સુરેન્દ્રનગરમાં પણ મેળા યોજવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે સૌરાષ્ટ્રનો સૌથી વધુ પ્રચલિત અને વિશ્વ વિખ્યાત લોક ભાતીગળ મેળો પણ બંધ રહેશે.
ધાર્મિક કાર્યક્રમો મર્યાદિત લોકોની સંખ્યામાં યોજાશે
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વઢવાણ, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, થાનગઢ, તરણેતરના મેળા થતા હોય છે. શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીના મેળાનું અનેરું મહત્વ રહેલું છે. સતત ચાર દિવસ યોજાતા આ મેળામાં ફરવા માટે બહારથી મોટી સંખ્યામાં અહીયા આવતા હોય છે. આ વખતે કોરોનાના કારણે જિલ્લામાં એક પણ મેળા નહીં થઈ શકે, ધાર્મિક સ્થળો પર કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ, રાબેતા મુજબ પુજા અર્ચના કરી શકાશે.
તરણેતર મંદિરની સ્થાપના વિશે લોકવાયકા
અયોધ્યાનાં સૂર્યવંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેણે તેમના ગુરુ વશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો હતો. તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. જેનું નામ મંધાતા હતું અને આ તરણેતરનું મંદિર મંધાતા એ બંધાવેલ હતું. તે ઉપરાંત આ મંદિર સાથે એક એવી વાત પણ જોડાયેલ છે જે મહાભારત કાળની છે. તે સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી. મહાભારતની કથા અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવેલ હતો. તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે, તેમાં અર્જુન દ્વારા મત્સવેદ થયો હતો અને આ રીતે દ્રૌપદીનાં વિવાહનો પ્રંસંગ જોડાયેલો છે.
પ્રતિહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન
તરણેતરનું મંદિર દસમી સદીનું હોવાની શકયતા મંદિરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની હોવાથી સંશોધનકારો કહે છે. કારણ કે પ્રતિહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન હતા. જેથી તેઓએ આ મંદિરનો જીર્ણોધાર કરાવ્યો હોય. આમ પણ પ્રતિહાર રાજાઓ આઠમી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોય તેવા પ્રમાણો ઇતિહાસમાં મળે છે.
અત્યારનું જે મંદિર છે તેનો જીર્ણોધાર લખતરનાં રાજવી કરણસિંહજીએ ઈ.સ. ૧૯૦૨ ની સાલમાં ઓગસ્ટ મહિનામાં તેમના પુત્રી કરણબાનાં સ્મરણાર્થે કરાવ્યો હતો. મંદિરનો ઘાટ જુનો છે. તેના ઉપર નવા મંદિરની બાંધણી થઈ છે. આ મંદિરથી થોડુ દુર તરણેતર ગામ આવેલું છે.
તરણેતરનાં આ મંદિરમાં બે શિવલિંગ સ્થાપિત
આ મંદિર પાસે ૧૦૦ વીઘા જેવી ખેતીની જમીન છે.મંદિરની સામેની બાજુએ તળાવ છે. તરણેતરનાં આ મંદિરમાં બે શિવલિંગ સ્થાપિત છે. જે જાણકારોના કહેવા મુજબ મોટું શિવલિંગ પ્રાચીન છે અને તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલિંગની પ્રતિષ્ઠા કરણસિંહજીએ મંદિરનો જીર્ણોધાર કર્યો ત્યારે થઇ છે. આ મંદિરની કોતરણી અને શિલ્પ અદભુત, મોહક અને મનોહર છે. મંદિરની બાજુમાં ત્રણ કુંડ આવેલાં છે જે વિષ્ણુકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ તરીકે ઓળખાય છે. આ મંદિરની બાંધણી ખુબ જુની હોવાથી અને શિલ્પકલાનો વારસો સચવાયેલ હોવાથી આ મંદિર પુરાતત્વ ખાતા હસ્તક લેવાયલ છે.