સોમવારે 18 નવેમ્બરની રાત એક યુવક માટે જીવન મરણની રાત હતી. એએલએલ (Acute Lymphocytic Leukemia) નામનાં બ્લડ કેન્સરથી તે પીડિત હતો. તેની સારવાર સર્વોદય હોસ્પિટલ તથા રિસર્ચ સેન્ટરમાં ચાલી રહી હતી. તેનો જીવ બચાવા સુરતનાં એક ટ્યુટરે પોતાનાં બોન મેરોનું દાન કર્યું. 3.30 કલાકમાં બોન મેરો અમદાવાદથી ફરીદાબાદ પહોંચાડવામાં આવ્યા હતાં.
સર્વોદય હોસ્પિટલમાં પહેલીવાર અન્ય જગ્યાએથી બોન મેરો મંગાવાયા
સર્વોદય હોસ્પિટલમાં પહેલીવાર અન્ય જગ્યાએથી બોન મેરો મંગાવાયા
આ યુવક માટે ફરીદાબાદનાં સર્વોદય હોસ્પિટલમાં પહેલીવાર બોન મેરો સેલ કોઈ બીજી જગ્યાએથી લાવી તેનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું. બોન મેરોને લગભગ 3.30 કલાકમાં અમદાવાદથી ફરિદાબાદ કોઈ નુકસાન વગર પહોંચાડવામાં આવ્યું હતું. આ કાર્ય અમદાવાદ એપોલો હોસ્પિટલ, દાત્રી સંસ્થા, એરપોર્ટ ઓથોરિટી અને ટ્રાફિક પોલીસની મહત્વ પૂર્ણ આયોજન બદ્ધ કામગીરીને લીધે જ શક્ય બન્યું છે.
સુરતનાં ટ્યુટરે એક યુવકનો જીવ બચાવ્યો
સ્ટેમ સેલ સામાન્ય રીતે પરિવારજનોનાં નજીકનાં સંબંધીઓનાં લેવામાં આવતાં હોય છે. જોકે આ કેસમાં તે મેચ થવા શક્ય નહોતા. જેથી અન્ય કોઈ ડોનરનાં સ્ટેમસેલ્સની જરુર હોવાથી ત્યાનાં ડૉક્ટરોએ તેમને દાત્રી સંસ્થાનો રેફરન્સ આપતા તેમણે સંસ્થાનો સંપર્ક કર્યો હતો. અંતે આ યુવકને સુરતનાં એક ટ્યુટર શૈલેષ સેલાડીયાનાં બોન મેરો કામમાં આવ્યાં હતા. શૈલેષભાઈ અને દર્દી વચ્ચે કોઈ સંબંધ નથી.
આ રીતે મળ્યાં બોન મેરો
આ અંગે વાત કરતા દાત્રી ફાઉન્ડેશનનાં ગુજરાત હેડ જલ્પા સુખાનંદીએ જણાવ્યું હતું કે દાત્રી સ્ટેમસેલ્સ ડોનેશન માટે અવેરનેશનું કામ કરે છે. આ યુવકનાં પરિવારજનો 8 મહિનાથી બોન મેરો શોધી રહ્યાં હતાં. હ્યુમન લ્યુકોસાઈ એન્ટીજન (hla) 10 હજારમાં 1 સાથે અથવા 1 લાખમાં 1 સાથે મેચ થતું હોય છે. આથી પરિવારમાંથી કોઈનું મળતું નથી. હાલ દાત્રીમાં 4લાખ 30 ડોનર હતા. આથી ત્યાનાં ડોક્ટરોએ દાત્રીનો સંપર્ક કરવાની સલાહ આપતા તેઓએ અમારો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન અમે તેમને અનુકુળ બોન મેરો શોધતા અમારા ડેટામાંથી શૈલેષભાઈનો ડેટા મેચ થયો હતો. સુરતનાં સરથાનામાં રહેતાં ટ્યુટર શૈલેષ ધીરુભાઈ શેલાડીયા (38)એ 2 વર્ષ પહેલા દાત્રીમાં સ્ટેમસેલ ડોનેશન માટે રજીસ્ટર કર્યું હતું. જેનો ડેટા સંસ્થા પાસે હતો. જેથી અમે તેમનો સંપર્ક કરતાં તેઓ બોન મેરો આપવા માટે માની ગયા હતાં. જેને પગલે આ કાર્ય સફળ રહેતા એક જીવ બચાવ્યાનો આનંદ છે.
બોન મેરોનું પ્રત્યારોપણ ઝડપી ન થતાં તે ખરાબ થઈ જાય છે
બોન મેરોનાં સેલ ખૂબ સંવેદનશીલ હોય છે અને તે કોઈ પણ પ્રકારનાં સ્કેન અથવા એક્સ રે કિરણોનાં અસરને કારણે તે ખરાબ થઈ શકે છે. જેનાં કારણે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે તકેદારી રાખવી પડે છે. સાથે સાથે જલ્દીથી તેને ઈમ્પ્લાન્ટ કરવામાં ન આવે તો પણ તે ખરાબ થઈ શકે છે. એટલા માટે તેને દુર મોકલવા માટે ફ્લાઈટનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ તેને સલામત રાખવા માટે એરપોર્ટ પર એક્સ રે તથા અન્ય સ્કેનિંગના સાધનનો નો ઉપયોગ કરવામાં આવે છે.
કેટલી વારમાં કેવી રીતે આ શક્ય બન્યું ?
બોન મેરો અમદાવાદ એપોલો હોસ્પિટલથી સર્વોદય હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ફરીદાબાદ 933 કિમીનું અંતર કાપી પહોંચાડવામાં આવ્યું હતું. બોન મેરો અમદાવાદની એપોલોથી રાતનાં 9.21 વાગે રવાના થયું હતું. જે સર્વોદય 12.55 વાગે એટલે કે 3.34 કલાકમાં પહોંચ્યું હતું.
ઓપરેશન સફળ રહેતા જીવ બચ્યો
આ કેસમાં સર્વોદય હોસ્પિટલનાં કેન્સર તથા બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ વિભાગનાં વરિષ્ઠ વિશેષજ્ઞ ડૉ. સુમંત ગુપ્તાની અધ્યક્ષતામાં તેમની ટીમે રાતનાં 12.55 વાગે બોન મેરો હોસ્પિટલમાં પહોંચાડ્યા હતાં. આ બાદ ડો. સુમંતે આ ઓપરેશન પાર પાડ્યું હતું. સર્વોદય હોસ્પિટલનાં ચેરમેન ડૉ. રાકેશ ગુપ્તાએ ડૉ. સુમંત ગુપ્તા અને તેમની ટીમને અભિનંદન આપ્યાં હતાં.