હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામી સોમવારે મોડી રાતે અક્ષર નિવાસી થતાં ભક્તો શોક મગ્ન બન્યા છે અને મોટી સંખ્યામાં મહિલા ભક્તો વડોદરાની હોસ્પિટલ બહાર પહોંચી હતી.
સ્વામીજીના શોકમાં ભીંજાઈ આંખો
હોસ્પિટલ બહાર ભક્તોનો જમાવડો
ભક્તોએ બોલાવી ધૂન
ઉલ્લેખનીય છે કે, સોખડાના હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને આજરોજ વડોદરાની અમીન હોસ્પિટલમાંથી સોખડા લવાશે અને ત્યારબાદ ભક્તોના દર્શનાર્થે મુકવામાં આવશે. જો કે, મોટી સંખ્યામાં હરિભક્તો મંદિરની બહાર પહોંચ્યા હતા અને રડતા જોવા મળ્યા હતા. તો કેટલાક હરિભક્તો દ્વારા હોસ્પિટલની બહાર ધૂન બોલાવવામાં આવી હતી.
દેશ-વિદેશમાં ફેલાયેલા છે હરિભક્તો
સ્વામીજીના ભક્તો દેશ-વિદેશમાં ફેલાયેલા હોવાથી મોટી સંખ્યામાં હરિભક્તો તેમના દર્શનાર્થે આવવાની સંભાવના છે. જેને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજકોટની આત્મીય કોલેજમાં રજા જાહેર
હરિપ્રસાદ સ્વામીના અક્ષરવાસથી શોકનુ મોજું ફરી વળ્યું છે ત્યારે રાજકોટમાં હરિપ્રસાદ સ્વામીએ શરૂ કરેલી આત્મીય કોલેજ, આત્મીય યુનિવર્સિટીમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે,રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં 8 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર વિધિ
હરિપ્રસાદ સ્વામીના નશ્વર દેહને મંગળવાર 27 જુલાઈ થી શનિવાર 31 જુલાઈ સુધી ભક્તોના દર્શનાર્થે મુકવામાં આવશે. ત્યારબાદ 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવનાર છે. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો દર્શન કરવા આવશે. પ્રદેશ પ્રમાણે, દર્શન માટેનો દિવસ અને સમય નક્કી કરાયો છે.
છેલ્લા કેટલાક સમયથી હતા નાદુરસ્ત
હરિપ્રસાદ સ્વામીજીની છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હતા અને તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સતત ચેકઅપણ કરવામાં આવતું હતું. જો કે, સોમવારે તેમની તબિયત એકાએક લથડતા સાંજના સમયે તેમને વડોદરા સ્થિત ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.
હરિભક્તોમાં શોક
જો કે, મોડી રાતે તબિયત ફરી લથડતા સ્થાનિક ડોક્ટર્સ દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ રાતે 11ના સુમારે સ્વામી હરિપ્રસાદજીનું દેહાવસાન થયું હતું. સ્વામીજી અક્ષર નિવાસી થયાં હોવાની વાત વાયુવેગે ભક્તોમાં ફેલાતા હરિભક્તોમાં શોક વ્યાપ્યો હતો.
મંદિર દ્વારા ભક્તોને અપાઈ જાણકારી
યોગી ડિવાઇન સોસાયટીના સાધુ પ્રેમસ્વરૂપદાસ, સાધુ સંતવલ્લભદાસ, સાધુ ત્યાગ વલ્લભદાસ, વિઠ્ઠલદાસ પટેલ અને સેક્રેટરી અશોકભાઇના સંયુક્ત નિવેદનમાં જણાવ્યા મુજબ, યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજના પ્રાણધાર પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આ પૃથ્વીની તેમની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને આજરોજ તા.26 જુલાઇ રાત્રે 11 કલાકે સ્વતંત્ર થતાં અક્ષરધામમાં બિરાજી ગયા છે.
અનુપમ આત્મીયતા, અનેરી સરળતા, આગવી સહજતા, અનહદ સુહૃદભાવ અને અપ્રતિમ સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ એવા પરમ પૂજ્ય સ્વામીજીએ તેમની આ પૃથ્વીપટની પ્રભુપ્રેરિત યાત્રા દરિમયાન પ્રભુભક્તિ અને ગુરુભક્તિના અનોખા સમન્વયનું દર્શન કરાવ્યું. તેઓની આધ્યાત્મિક્તાનો ઉજાસ સમગ્ર સમાજને પ્રકાશિત કરતો રહ્યો છે. આપણી વચ્ચે તેઓની પ્રત્યક્ષ અનુપસ્થિતિના આ વિદાય હૃદયવિદારક સમયે સહુને બળ અને ધૈર્ય પ્રાપ્ત થાય તેવી પ્રભુચરણે-ગુરુહરિચરણે અંતરની પ્રાર્થના.
1943માં સ્વામીજીનો થયો હતો જન્મ
આપને જણાવી દઇએ કે, સ્વામી હરિપ્રસાદજી BAPS સંસ્થાના સંત પ્રમુખ સ્વામી મહારાજના ગુરુભાઈ હતા અને તેઓનો જન્મ 1934માં થયો હતો.
આજે હરિધામ સોખડા લવાશે પાર્થિવ દેહ
મળેતી જાણકારી પ્રમાણે, તેમના પાર્થિવ દેહને હાલ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ છે અને આજે સવારે 11 કલાકે હરિધામ સોખડા ભક્તોના દર્શન માટે તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવશે.