શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા અને વેપારી તેમજ એસ્ટેટ બ્રોકર દિપુ ઉર્ફે દિપુ જય માતાજી ચેતનાની પર એક મહિલાએ છરી વડે હુમલો કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ગીરવે મકાન લેવાના બહાને મહિલાએ દિપુને એસપી રિંગ રોડ પર આવેલા અગોરા મોલ પાસે બોલાવ્યો હતો. જ્યાં તેના ગળા પર છરી મૂકી દીધી હતી.
સરદારનગર વિસ્તારમાં રહેતા દિપુ જય માતાજી છેલ્લા ઘણા સમયથી શાકભાજીનો હોલસેલનો ધંધો કરે છે તેમજ તેમનો મોબાઇલ સ્ટોર પણ કુબેરનગર વિસ્તારમાં આવેલો છે અને એસ્ટેટ બ્રોકરનું પણ કામ કરે છે. અડાલજ પોલીસ સ્ટેશનમાં દિપુએ નીતા ભરવાડ અને અન્ય ત્રણ અજાણ્યા લોકો વિરુદ્ધમાં જાનથી મારી નાખવાની કોશિશ તેમજ લૂંટની ફરિયાદ કરી છે. થોડાં વર્ષો પહેલાં દિપુએ સરદારનગરની જવાહર કોલોનીમાં ચાર મકાનો બનાવ્યાં હતાં. મકાનો બનાવી દીધા બાદ નીતા ભરવાડે તેનો વાંધો ઉઠાવ્યો હતો અને કોર્પોરેશનમાં અરજીઓ કરી હતી. આ મામલે દિપુ અને નીતા વચ્ચે સમાધાન થયું હતું. થોડાક દિવસ પહેલાં નીતાએ દિપુને ફોન કર્યો હતો અને એક મકાન ગીરવે આવ્યુ છે જો તમારે લેવુ હોય તો.
દિપુ ગીરવે મકાન ખરીદી લે તે માટે નીતાએ અનેક વખત ફોન કર્યો હતા જેથી બુધવારની રાત્રે દિપુ તેને મળવા માટે એસપી રિંગ રોડ પર આવેલ અગોરા મોલ ગયાે હતાે. નીતા દિપુની કારમાં આવીને બેસી ગઇ હતી અને સાથે થોડેક દૂરથી નીતાના સાથીદાર હીરાભાઇ તેમજ શારદાબહેન અને અન્ય યુવક પણ આવીને બેસી ગયા હતા. દિપુ કાંઇ વિચારે તે પહેલાં નીતાએ તેના ગળા પર છરી મૂકી દીધી હતી અને ધમકી આપી હતી. દિપુએ બુમાબુમ કરી મૂકી હતી. જેથી તરત જ નીતાએ તેના પર છરી હુલાવી દીધી હતી. દિપુને હાથમાં ઇજા પહોંચી હતી. જ્યારે નીતા બીજો ઘા મારવા ગઇ ત્યારે તે કાર માંથી કૂદી ગયો હતો. દિપુએ તરત જ પોલીસને જાણ કરી દીધી હતી. જ્યારે નીતા અને તેની સાથે આવેલા લોકો નાસી ગયા હતા. દિપુએ આ મામલે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. અડાલજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરીએ જણાવ્યું છે કે રૂપિયાના મામલે દિપુની ફરિયાદના આધારે ઝિણવટપૂર્વક તપાસ કરી રહ્યા છે.