બનાસકાંઠા જિલ્લાના 20 ગામને જોડતો વગદા-સેજલપુરા રોડ 10 દિવસમાં જ ધોવાઈ ગયો છે. રોડ પર ઠેર ઠેર ખાડા પડી જતા સ્થાનિકોની વધી મુશ્કેલી.
બનાસકાંઠામાં રોડના કામમાં ભ્રષ્ટાચાર!
10 દિવસ પહેલાં બનાવેલો રોડ ધોવાયો
રોડ ધોવાતા વાહન ચાલકોને હાલાકી
રાજ્ય (Gujarat) માં છેલ્લા ત્રણ-ચાર દિવસથી મેઘરાજા અનેક જિલ્લાઓમાં ધડબડાટી બોલાવી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પડેલા વરસાદને કારણે 10 દિવસ પહેલા બનાવવામાં આવેલો રોડ ધોવાઈ ગયો છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામાનો કરવો પડી રહ્યો છે.
તંત્ર દ્વારા ટેન્ડર બહાર પાડીને કરોડોના ખર્ચે રોડ રસ્તાની કામગીરી સોંપવામાં આવે છે. પરંતુ કોન્ટ્રાક્ટરોને તો માત્ર પૈસાથી જ મતલબ હોય તેમ ઉપર છલ્લી કામગીરી કરીને કરોડો રૂપિયા પડાવી લે છે. પરંતુ વરસાદના સમયે તો રોડ રસ્તાની કામગીરી ઉડીને આંખે વળગે છે. આવું જ કંઈ બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહ્યું છે. કારણ કે બનાસકાંઠા જિલ્લામાં 20 ગામને જોડતો વગદા-સેજલપુરા રોડ બનાવ્યાના 10 દિવસમાં જ ધોવાઈ ગયો છે. જિલ્લામાં પડેલા વરસાદે રસ્તાના કામમાં થયેલો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો છે.
ઘણી રજૂઆત બાદ બનાવાયો હતો રોડ
અનેક રજૂઆત કર્યા બાદ નવા બનાવવામાં આવેલા રોડ પર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. જેના કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકોને ઘણી અગવડતા વેઠવાનો વારો આવ્યો છે. રોડ પર પાણી ભરાઈ ગયેલા નજરે પડી રહ્યા છે. જેના કારણે આ રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોને અકસ્માતની ભીતિ સતાવી રહી છે. આપને જણાવી દઈએ કે, આ રોડ બનાવવા માટે સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, જે બાદ 10 દિવસ અગાઉ 3 કિલોમીટર લાંબો નવો રોડ બનાવવામાં આવ્યો હતો.
રાજ્યના 52 તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા
ગુજરાતમાં હજુ આગામી 2-3 દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આજ રોજ સવારના 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 52 તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં પાલનપુર, સુઈગામ અને વડગામમાં 1 ઈંચ વરસાદ પડ્યો હચો. થરાદમાં ભારે પવન ફુંકાતા અનેક સેડ ઉડવા લાગ્યા હતા. થરાદના ડોડ ગામે ભારે પવનથી બાગાયતી પાકને પણ નુકસાન પહોંચ્યું હતું. ખેતરમાં બનાવેલ પશુઓ માટેના અનેક સેડ ભારે પવનથી પડી ભાંગ્યા.