રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપે વિજય રૂપાણીની જગ્યાએ ડો. દર્શીતા શાહને ઉતાર્યા પણ હજી કોંગ્રેસના ઉમેદવાર કોણ ? તે જાહેર નથી થયું.
રાજકોટ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસમાં ટિકિટને લઇ કકળાટ
કોંગ્રેસે રાજકોટ પશ્વિમ બેઠકમાં હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા
કોંગ્રેસમાં મનસુખ કાલરીયા અને ગોપાલ અનડકટના નામોમાં પેચ ફસાયો
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં હવે માત્ર ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધડાધડ ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ 166 ઉમેદવાર જાહેર કરી દીધા છે. આ તરફ કોંગ્રેસે 96 બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા છે. તો વળી આમ આદમી પાર્ટીએ પણ 179 બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા છે. હવે જે તે પક્ષની જે બેઠકો પર ઉમેદવારોઉતરવાના બાકી છે ત્યાં સંબધિત પક્ષ ભારે મનોમંથનને અંતે ઉમેદવારો ઉતારી શકે છે. તેવામાં રાજકોટ પશ્ચિમ બેઠકને લઇ કોંગ્રેસમાં કકળાટ સામે આવ્યો છે.
રાજકોટ પશ્ચિમ બેઠક પર કોને ટિકિટ આપવી તેને લઈ હવે કોંગ્રેસમાં ભારે મનોમંથન સર્જાયું છે. મહત્વનું છે કે, ભાજપે વિજય રૂપાણીની સીટ રાજકોટ પશ્ચીમમાં ડો. દર્શીતા શાહને ઉતાર્યા છે. આ તરફ હજી સુધી કોંગ્રેસે પશ્વીમ બેઠકમાં કોઈ ઉમેદવાર જાહેર નહિ કરતાં મામલો પેચીદો બન્યો છે. વિગતો મુજબ કોંગ્રેસમાં મનસુખ કાલરીયા અને ગોપાલ અનડકટના નામોમાં પેચ ફસાયો છે.
નોંધનિય છે કે, રાજકોટમાં ભાજપે કમલેશ મીરાણીની બાદબાકી કરી છે. આ તરફ હવે રધુવંશી સમાજમાં દેખાવો કરી વિરોધ કરાયો છે. જેને લઈ હવે કોંગ્રેસ રધુવંશી સમાજને અને ગોપાલ અનડકટને ટિકિટ આપે તેવો સૂર ઊભો થયો છે. જેને લઈ હવે કાર્યકરો અને પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટર બહુમાળી ભવન પહોંચ્યા છે.
આ તરફ સૌરાષ્ટ્રની રાજકોટ બેઠકને લઈ ભારે ખેંચતાણ વચ્ચે ભાજપ દ્વારા ટિકિટો જાહેર થઈ ચૂકી છે. જેમાં રાજકોટ-શહેરની દક્ષિણ બેઠક માટે ખોડલધામના નરેશ પટેલે રમેશ ટીલાળા માટે લોબિંગ શરૂ કર્યું હતું. જે બાદમાં હવે રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપે રમેશ ટિલાળાને ટિકિટ આપી છે. આ સાથે રાજકોટ પૂર્વમાં ઉદય કાનગડ, વિજય રૂપાણીની સીટ રાજકોટ પશ્ચીમમાં ડો. દર્શીતા શાહ અને રાજકોટ ગ્રામ્યમાં ભાનુંબેન બાબરીયાને ટિકિટ આપવામાં આવી છે.