પાટણ: આજકાલ સરકાર વિરુદ્ધ વિવિધ પ્રકારના વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જોકે આવા વિરોધમાં આજે એક નવા પ્રકારનો વિરોધનો ઉમેરો થવા પામ્યો હતો.
જેમાં પાટણ જીલ્લા દલિત સમાજ તેમજ આભડછેટ મુક્ત ભારત આંદોલન સમિતિ દ્વારા પાટણ કલેકટર ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
દલિત સમાજની માંગ હતી કે છેલ્લા બે વર્ષથી દલિત તેમજ આદિવાસી સમજના બાળકો ને શિષ્યવૃત્તિ આપવાનું સરકારે બંધ કરી દીધું છે. સરકારે બે વર્ષમાં બે કરોડ તોત્તેર લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ આ સમાજના બાળકોને ચૂકવી નથી.
જેના ભાગરૂપે પાટણ જિલ્લાના 50 ગામોમાંથી ચપટી લોટ ઉઘરાવીને ગુજરાત સરકારને આપવા માટે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો સાથે દલિત સમાજે માંગ કરી હતી કે હજુ પણ આ દેશમાં ભાજપ સરકારે આભડછેટને દૂર કરી નથી.
દેશને આભડછેટ મુક્ત બનાવવા કોઈ પણ જાતના પગલા ભર્યા નથી. જેથી કરીને અમે ભાજપ સરકારનો વિરોધ દર્શાવીએ છીએ તેવું દલિત સમાજના આગેવાનોએ જણાવ્યું હતું.
સાથે જ ગુજરાત સરકારને વોટ નહીં લોટ આપો તેવું નવું સુત્ર પણ આપ્યું હતું. પોતાની માંગ સાથે દલિત સમાજે પાટણ કલેકટર કચેરી બહાર વિરોધ દર્શાવીને નાયબ કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું હતું.