કેન્દ્રની મોદી સરકારે પસાર કરેલા કૃષિ કાયદાના વિરોધમાં બેઠેલા ખેડૂતો અને કાયદાઓનું સમર્થન કરી રહેલી સરકાર વચ્ચે વાતચીતના ઘણા રાઉન્ડ યોજાય છતાંય કોઈ નીવેડો હજુ સુધી નીકળ્યો નથી, ત્યારે ભાજપના અમુક નેતાઓના નિવેદનને લઈને વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે ત્યારે આજે વધુ એક કેન્દ્રીય મંત્રીએ વિવાદિત નિવેદન આપ્યું હતું.
મોદી સરકારમાં કેન્દ્રીય પ્રધાન રાવ સાહેબ દાનવે એ બુધવારે ઔરંગાબાદમાં કહ્યું હતું કે દિલ્હી નજીક ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં પાકિસ્તાન અને ચીનનો હાથ છે. જલના તાક્તે કોલ્ટેગાંવના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઉદઘાટન સમારોહમાં કેન્દ્રીય પ્રધાન રાવ સાહેબ દાનવે મુખ્ય મહેમાન તરીકે પહોંચ્યા હતા અને ખેડૂત આંદોલન ની પાછળ ભારતના પાડોશી દેશોનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો.
આંદોલનની પાછળ ચીન એન પાકિસ્તાનનો હાથ છે : કેન્દ્રીય મંત્રી
કૃષિ કાયદા સામે ખેડૂતો નું આંદોલન ચાલુ છે. સરકાર અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ પણ વધી રહ્યો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી રાવ સાહેબ દાનવે એ ખેડૂત આંદોલન અંગે નિવેદન આપ્યું છે. ભાજપના નેતા રાવ સાહેબ દાનવેએ આ આંદોલન પાછળ ચીન અને પાકિસ્તાનનો હાથ હોવાનું જણાવ્યું છે.
મહત્વનું છે કે કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો 14 દિવસથી દિલ્હી બોર્ડર પ્રદર્શન કરી રહ્યા છે. સરકાર અને ખેડૂતો વચ્ચે અત્યાર સુધીમાં પાંચ રાઉન્ડની વાટાઘાટો થઈ છે. બધી વાતચીત અનિર્ણિત હતી. આજે છઠ્ઠા રાઉન્ડની વાતચીત થવાની હતી, પરંતુ તે પહેલા મંગળવારે સાંજે ગૃહમંત્રી અમિત શાહે ખેડૂત નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ વાતચીત પરિણામ વગરની રહી હતી. જ્યાર બાદ ખેડૂત આગેવાનોએ આજે યોજાનારી વાટાઘાટો મુલતવી રાખવા જણાવ્યું હતું.
સરકારે મોકલેલો પ્રસ્તાવ ખેડૂતોએ ફગાવ્યો
ગઈકાલની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે સરકાર MSP અને APMC અંગેની દરખાસ્ત લેખિતમાં ખેડૂતો ને મોકલશે. તે આજે સરકાર દ્વારા મોકલવામાં આવ્યો હતો, પરંતુ ખેડૂતો એ તેને સ્વીકાર્યું નહોંતુ, આમ સરકાર જ્યાં કાયદાઓને પરત નહીં ખેંચવા મક્કમ છે, ત્યારે સામે પક્ષે ખેડૂતો પણ કાયદા રદ્દ કરાવવા અડગ છે.