હાલમાં વ્યાપેલા કોરોના સંકટની વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું સત્ર યોજવા જઈ રહ્યું છે. ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો તેમાં સંબોધન કરી શકે છે. જો કે હાલની કોવિડ મહામારીના લીધે આ વખતે આ સત્રની શકલસૂરત અગાઉના સત્રો કરતા અલગ રહેવાની છે. હાલનું આ સત્ર વર્ચ્યુઅલ રીતે યોજવા જઈ રહ્યું છે
યુએન મહાસભાનું યોજવા જઈ રહ્યું છે વાર્ષિક સત્ર
75 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત વર્ચ્યુઅલ યોજાશે સંમેલન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધિત કરી શકે છે. વૈશ્વિક સંસ્થા દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક માટે જાહેર કરાયેલ વક્તાઓની તાત્કાલિક સૂચિમાંથી આ જાણકારી સામે આવી છે.
સંયુક્ત રાષ્ટ્રના 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત, આ વર્ષે વાર્ષિક મહાસભાનું સત્ર ઓનલાઇન યોજવામાં આવી રહ્યું છે અને વૈશ્વિક કોવિડ સંકટને કારણે દેશો અને સરકારોના વડાઓ આ સંમેલનમાં પ્રત્યક્ષ હાજરી આપી શકશે નહિ, માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સત્ર માટે વક્તાઓના પૂર્વ-રેકોર્ડ કરેલા વિડિઓ નિવેદનો લેવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે.
હાલની લિસ્ટ પ્રાથમિક ધોરણે તૈયાર કરાઈ છે
મંગળવારે સંયુક્ત રાષ્ટ્રના મહાસભા અને કોન્ફરન્સ મેનેજમેન્ટ વિભાગે આ વર્ષના 75 મા સત્રની સામાન્ય ચર્ચા માટે દેશોના સ્થાયી મિશનોને વક્તાઓની કામચલાઉ સૂચિ સોંપી હતી. સૂચિ મુજબ, મોદી 26 સપ્ટેમ્બરની સવારે સામાન્ય ચર્ચાને સંબોધન કરી શકે છે.
જો કે આ નોંધવું રહ્યું કે હાલમાં જાહેર કરાયેલ આ સૂચિ પ્રાથમિક સૂચિ છે તેને હજી આખરી ઓપ આપવાનો બાકી છે માટે તેમાં વક્તાઓના ક્રમ અને લિસ્ટમાં પરિવર્તન થઈ શકે છે.
સામાન્ય ચર્ચા 22 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 29 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.
સૂચિ મુજબ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો પ્રથમ વક્તા છે. પરંપરાગત રીતે, સામાન્ય ચર્ચાના પહેલા દિવસે અમેરિકા બીજો વક્તા છે, અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હોદ્દા પર હોય ત્યારે પ્રત્યક્ષ રીતે તેમનું આ આખરી સંબોધન આપવા માટે ન્યૂયોર્કની યાત્રા કરી શકે છે. નોંધનીય છે કે યુએન મહાસભાનું હેડક્વાર્ટર ન્યુયોર્કમાં જ આવેલું છે.