આજે રાજ્યના 5 IAS અધિકારીઓની બદલી કરાઈ છે જેમાં અમદાવાદ કલેકટર કે. કે નિરાલાને અમદાવાદથી ખસેડીને ગાંધીનગર ગૃહખાતામાં મૂકી દેવાયા છે. ત્યારે ફરી એક વખત એવું બન્યું છે કે જ્યાં ભૂતકાળની જેમ વિવાદમાં સપડાયેલા અમદાવાદ કલેક્ટરની બદલી કરી દેવાઈ હોય.
અમદાવાદના કલેક્ટર કે.કે નિરાલાની બદલી કરીને ગૃહખાતામાં એડિશનલ સેક્રેટરી તરીકે મૂકાયા છે. ત્યારે નોંધનીય છે કે રાજ્યનું મહાનગર અમદાવાદની એક એવી તાસીર રહી છે કે અહીં મુકાયેલા કલેકટરને બદનામ થઇને તેમના પદેથી હટવું પડ્યું છે. આ અગાઉ પણ કેટલાંય કલેક્ટર પદે એવા IAS અધિકારીઓ રહેલા છે જેઓ કોઈને કોઈ વિવાદોમાં સપડાયા હોય છે તેમની બદલી કરી દેવામાં આવી હોય.
તો આવો જાણીએ અમદાવાદના ભૂતકાળના કલેકટરો વિષે જેઓ વિવાદમાં સપડાયા બાદ તેમણે અમદાવાદ કલેકટરનું પદ છોડી દેવું પડ્યું હતું.
1. કે કે નિરાલા (29 Nov, 2019 - 5 Sept, 2020
સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે કે કે નિરાલા વિરુદ્ધ PMOમાં ગંભીર ફરિયાદ કરવામાં આવી હતી. તેમની કાર્યક્ષમતા અંગે પ્રશ્નાર્થ થતા તેમને કેન્દ્રમાંથી જ અમદાવાદ કલેકટરથી હટાવી દેવાના આદેશ અપાયા હતા. કે કે નિરાલાને તેમના બેચમેટ વિક્રાંત પાંડેની જગ્યાએ મુકવામાં આવ્યા હતા અને આ બંને અધિકારીઓને PMOમાં થયેલી ફરિયાદના પગલે અમદાવાદથી હટાવવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે રાજ્યનું મહાનગર અમદાવાદ આ દ્રષ્ટિએ કુખ્યાત છે. અહીં એક એવી તાસીર રહી છે કે અહીં મુકાયેલા કલેકટરને બદનામ થઇને તેમના પદેથી હટવું પડ્યું છે. આ તમામ બદલીઓની વાતની વચ્ચે એક સૌથી રસપ્રદ સંયોગ જોઈએ તો કે.કે નિરાલા હોય કે વિજય નહેરા અને રૂપવંત સિંહ આ ત્રણેય IAS અધિકારીઓની કલેક્ટરમાંથી બદલી થઈને સીધા ગૃહખાતામાં લઈ જવાયા હતાં.
2. વિક્રાંત પાંડે: (3 Apr, 2018 - 28 Nov, 2019)
અમદાવાદના પૂર્વ કલેકટર વિક્રાંત પાંડેને રાજકોટ કલેકટરના પદેથી બદલીને અહીં લાવવામાં આવ્યા હતા. રૂપાણીના રાજકોટમાં સારું કામ કરવા બદલ તેમને અમદાવાદ મુક્યા હતા તેવી ચર્ચા ચાલતી હતી. જો કે પાંડે ઉપર થોડા સમયમાં એવો આક્ષેપ લાગ્યો હતો કે તેઓએ અમદાવાદના એક પોશ એરિયામાં એક પ્રોપર્ટી ડીલરને મોટો ફાયદો કરાવ્યો હતો. આ મુદ્દે સંકળાયેલા એજન્ટ્સ CMના શહેર રાજકોટના હતા એવો અહેવાલ મળ્યો હતો.
ટોચના સુત્રો તરફથી મળેલ જાણકારી અનુસાર તે સમયે વિજય રૂપાણીને પણ કેન્દ્રમાંથી ઠપકો સંભાળવો પડ્યો હતો અને પાંડેની બદલી તાત્કાલિક દિલ્હી કેન્દ્રીય ગૃહ ખાતામાં કરાઈ દેવાઈ હતી. આમ તેઓને ફરી એક વાર દિલ્હી પાછા બોલાવી લેવાયા હતા.
3. રાજકુમાર બેનીવાલ (7 July, 2014 - 8 May, 2016)
અમદાવાદના આ પૂર્વ કલેકટર હાઈકોર્ટના અનાદર કરવાના વિવાદમાં ફસાયા હતા. બેનીવાલે અમદાવાદના મકરબા વિસ્તારમાં એક જમીન વિવાદમાં હાઈકોર્ટના આદેશ પાલન નહોતું કર્યું જેથી અદાલતે તેમણે ઠપકો આપ્યો હતો. જસ્ટિસ એમ આર શાહે તેમને કહ્યું હતું કે તેઓ ભલે સરકારના નિકટના હોય પણ કાયદાથી પરે કોઈ જ નથી. આ ઘટનાના થોડા સમયમાં તેમની બદલી કરીને તેમને અમદાવાદથી ખસેડીને INDEXTbના MD તરીકે મૂકી દેવાયા હતા.
4. રૂપવંત સિંહ (17 Apr, 2013 - 4 July, 2014)
રૂપવંત સિંહ ગુજરાત કેડરના 2003ની બેચના IAS અધિકારી હતા. તેઓ અમદાવાદ કલેકટર પદે રહી ચુક્યા છે. સુત્રો તરફથી મળેલી માહિતી અનુસાર જે તે સમયે તેમને અમદાવાદની ટોચની બિલ્ડર લોબી સાથે વિવાદ થયો હતો. અમદાવાદના ટોચના બિલ્ડરોએ સોંપેલું કામ તેમણે ન કરી આપતા તેમણે અમદાવાદના કલેકટર પદથી હટાવી દેવાયા હતા તેવા અહેવાલો સામે આવ્યા હતા.
5. વિજય નહેરા (13 Aug, 2011 - 16 Apr, 2013)
અમદાવાદ AMCમાં કમિશનર તરીકે રહી ચુકેલા લોકપ્રિય અધિકારી વિજય નહેરા 2013ની સાલમાં અમદાવાદ કલેકટર તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. જો કે તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ તેમને હટાવી લેવામાં આવ્યા હતા અને તેમને જોઈન્ટ સેક્રેટરી (લો એન્ડ ઓર્ડર) તરીકે ગૃહ ખાતામાં મૂકી દેવાયા હતા. તેમની જગ્યાએ રૂપવંત સિંહ જેઓ તે સમયે વલસાડમાં કલેકટર હતા તેમને અમદાવાદ કલેકટર બનાવાયા હતા.
6. ધનંજય દ્વિવેદી (13 Aug, 2007 - 27 Mar, 2008)
2007ની સાલમાં અમદાવાદમાં કલેકટર તરીકે ફરજ બજાવતા દ્વિવેદી રાજકીય યુદ્ધનો ભોગ લેવાયા હતા તેવું માનવામાં આવે છે. તે સમયે ચુંટણી હોવાથી આચાર સંહિતા લાગુ કરેલ હતી જેવામાં દ્વિવેદીએ પોતાના વિસ્તાર કોઈ રંગ દ્વારા પાર્ટીનો પ્રચાર ન થાય તે માટે બધા જ ડિસ્પ્લે બોર્ડને એક સરખા ભૂરા રંગમાં રાખ્યા હતા. ભાજપના નેતાઓએ આ મુદ્દે ચુંટણી પંચને ફરિયાદ કરી હતી કે દ્વિવેદી માયાવતીની બસપાનો ભૂરો રંગ બોર્ડ ઉપર રાખવા માંગે છે. આ વિવાદ બાદ થોડા સમયમાં તેમની અમદાવાદથી બદલી કરી કરી દેવાઈ હતી.