મોરબીમાં સર્જાયેલી દુર્ઘટના અનેક પરિવારો માટે કાળ બની છે. રવિવારની રજા હોવાથી અનેક પરિવારો બાળકો સાથે ઝૂલતા પુલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં સાંજના સમયે આચનક બ્રિજ તૂટી જતાં લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં મોરબીની સોની બજારમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યોના મોત થયા છે. એક જ પરિવારના 4 સભ્યોના મોતથી સોની બજાર અને પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.
પુલ દુર્ઘટના મોરબીના પરિવાર માટે બની કાળ
સોની બજારમાં રહેતા પરિવારના 4 લોકોના મૃત્યુ
તમામ મૃતકના મોરબીમાં કરાયા અંતિમ સંસ્કાર
મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું છે. મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની આ રૂહકાંપ ઘટનામાં 141થી વધુ લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો છે અને મોરબી પંથક હાલ મરણચીસોથી ગુંજી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. મોરબીમાં ઘટેલી દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે. કોઈ એકની બેદરકારીને લીધે 141 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં કોઈએ પોતાના માતા-પિતા તો કોઈએ પતિ-પત્ની અને બાળકો ગુમાવ્યા છે.
એક ઘટના અને સોની પરિવાર વેર-વેખર
મોરબીની સોની બજારમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યોના મોતથી સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો છે. એક સાથે 4-4 અર્થી નીકળતા આજુબાજુમાં રહેતા લોકોના આંખોમાં આસું આવી ગયા હતા. એક પરિવારમાંથી ચાર-ચાર અર્થી ઉઠતા હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. હસતો-રમતો પરિવાર કાળનો કોળિયો બન્યા બાદ એક સાથે 4 લોકોની અંતિમ યાત્રા નીકળી હતી. એક જ પરિવારમાંથી ચાર-ચાર શબને કાંધ આપવાના કરુણ દ્રશ્યો સર્જાયા હતા.
રાજકોટમાં એક જ પરિવારના 3 લોકોના મૃત્યુ થયા
આ તરફ રાજકોટમાં એક જ પરિવારના 3 લોકોના મૃત્યુ થયાનું સામે આવ્યું છે. પરમાર પરિવારના 3 લોકોના મોતથી આક્રંદ છવાયો છે. એક જ પરિવારના પતિ-પત્ની અને પુત્રના મૃત્યુ થતાં એક સાથે પરિવારના 3 સભ્યોની સ્મશાન યાત્રા નીકળશે. મોરબી ફરવા અર્થે ગયા બાદ 3 લોકોના મૃત્યુ થતાં હવે પરિવારમાં માત્ર 1 પુત્ર બચ્યો હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે ઝૂલતો પુલ તૂટવાની કરૂણાંતિકાને પગલે સમગ્ર મોરબીમાં માતમ છવાયો છે.
અત્યાર સુધી 140થી વધુના મોત
ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર બનેલો 143 વર્ષ જૂનો કેબલ બ્રિજ રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 141થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. આ તરફ સરકાર દ્વારા પીડિત પરિવારોને 6-6 લાખ વળતરની જાહેરાત કરવામાં આવી છે.
મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધીના તમામ અપડેટ:
- મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતાં દુર્ઘટના: અત્યાર સુધીમાં 141 લોકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ
- ઘટનાની જાણ થયા બાદ PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે જ્યારે ગૃહમંત્રી અમિત શાહે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી વાતચીત
- CM ભૂપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ્દ કરી મોરબી પહોંચ્યા, આખી રાત રેસ્ક્યૂ કામોને લઈ કર્યા પ્રયાસ
- આખી રાત સેનાની ટુકડીઓ, NDRF-SDRF ની મદદથી કરવામાં આવ્યું રેસ્ક્યૂ ઓપરેશન
- મૃતકોના પરિજનો માટે કેન્દ્ર સરકારે 2 લાખ અને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયાના વળતરની કરી જાહેરાત
- તંત્રએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર: 02822 243300
- મુખ્યમંત્રીએ 5 સભ્યોની હાઈપાવર કમિટીનું કર્યું ગઠન, રાત્રે 2 વાગ્યાથી જ તપાસનો ધમધમાટ શરૂ
- દુર્ઘટનાને ધ્યાને રાખી PM મોદીએ રોડ શો તથા સ્નેહમિલનના કાર્યક્રમ કર્યા રદ્દ
- ગુજરાતભરમાં અનેક સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યા
- જવાબદારો સામે કલમ 304,308,114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો