શહીદ મેજર વિભૂતિ કુમાર ઢૌંડિયાલ આતંકીઓનો સામનો કરતા શહીદ થઈ ગયા અને આ તરફ 44 સૈનિકો ગુમાવી ચૂકેલો દેશ વધારે આઘાતમાં સરી પડયો. સીઆરપીએફના જવાનો પરના હુમલાના માસ્ટર માઈન્ડનો ખાતમો બોલાવવાનો મોકો મળ્યો તો મેજર વિભૂતિ કોઈની પણ રાહ જોયા વગર ઉપડી ગયા. કલાકો સુધી આંતકીઓની ગોળીઓનો જવાબ દેતા રહ્યા અને લડતા લડતા જ શહીદ થઈ ગયા. શહીદની પત્નીના આંસુ સૂકાઈ ગયા છે. સપનાઓ વીખરાઈ ગયા છે પરંતુ તેમની ખામોશી ચિલ્લાઈને કહી રહી છે કે આખરે આતંકીઓ સામે બલિદાનનો સિલસિલો ક્યાં સુધી? જોઈએ આ અહેવાલ...
તે ફૂલોથી સજાવેલી શબપેટીમાં રહેલા પોતાના શહીદ પતિના પાર્થિવ દેહને લાંબા સમય સુધી જોતી રહી. આંખમાં આવેલા આંસુ સુકાઈ ચૂક્યા હતા. હજુ તો ગયા વર્ષે જ લગ્ન થયા હતા. અનેક સપના સજાવ્યાં હતાં પરંતુ અત્યારે તે યાદ આવતા ન હતા.
તેણીને એક તરફ સાથી ખોયાનો રંજ હતો તો બીજી તરફ પતિના બલિદાન પર ગર્વ પણ હતો. એટલે જ તો પોતાના કઠણ કાળજા અને નાજુક હાથે પતિના પાર્થિવદેહને વારંવાર સ્પર્શતી રહેતી હતી વારંવાર શબપેટીને સ્પર્શ કરી રહી હતી. કદાચ પોતાને મનોમન કશું કહી રહી હતી. તેણીને ખબર હતી કે તેનો પતિ દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરીને અંતિમ સફરે પહોંચી ગયો છે. છતાં પણ તેણી પતિના કાનમાં 'આઈ લવ યૂ' બોલીને પોતાનો પ્યાર દર્શાવતી રહી. આ દ્રશ્ય હૃદય ચીરીનાખનારું હતું. ખરેખર એક પત્નીએ પોતાના શહીદ પતિને એક વીરને શોભે તે રીતે જ વિદાય આપી.
જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ સાથે અથડામણમાં શહીદ થયેલા મેજર વિભૂતિ શંકર ઢૌંડિયાલનો પાર્થિવ દેહ સોમવારે સાંજે દેહરાદૂન લાવવામાં આવ્યો હતો. મંગળવારે શહીદના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. શહીદની પત્ની નિકિતા જેની કૂખે શહીદ પતિનો આઠ માસનો ગર્ભ ઉછરી રહ્યો છે તે સૂધ બૂધ ગુમાવીને પતિના પાર્થિવદેહ પાસે ઊભી હતી.
શહીદ વિભૂતિનાં માતા દાદી અને બહેનોના આંસુ સુકાતા ન હતા અને વિલાપ શાંત પડવાનું નામ લેતો ન હતો. નિકિતા કાળજુ કઠણ રાખી 'જયશહદ' બોલી અને પતિના પાર્થિવદેહને સલામી આપી. તેણીએ પતિને 'આઈ લવ યૂ વિભૂ' કહ્યું અને ખાપણને ચૂમ્યું ત્યાર બાદ તે એકીટશે પતિના પાર્થિવદેહને જોઈ રહી. નિકિતા પોતાની જાતને સંભાળી લઈને જાતે જ સ્માશાનયાત્રાની આગળ ચાલી. એટલું નહીં તેણીને કહ્યું કે જે દુનિયામાં જે બલિદાન આપી ચૂક્યા છે તેમની પાસેથી કશુંક શીખવું જોઈએ. દેશ માટે કામ કરવાના અનેક ક્ષેત્રો છે. ઈમાનદારીથી કામ કરવું જોઈએ.
ચોંત્રીસ વર્ષીય મેજર વિભૂતિએ એક વર્ષ પહેલાં જ ફરિદાબાદની નિકિતા કૌલ સાથે લગ્ન કર્યા હતા. જે કાશ્મીરના વિસ્થાપિત પરિવારમાંથી આવે છે. મેજર વિભૂતિ અને નિકિતા એકબીજાના પ્રેમમાં હતા અને બન્નેએ એક વર્ષ પહેલા પ્રેમલગ્ન પણ કરી લીધા હતા પરંતુ શહીદીની વરમાળાએ નિકિતા પાસેથી વિભૂતિને છોડાવી લીધો.
એક બાજુ લગ્ન બાદ તરત જ થયેલું કાશ્મીરમાંથી થયેલું વિસ્થાપન અને હવે પતિની શહીદી નિકીતાને બેવડો જખમ આપી ગઈ. નિકિતા હાલ ઘેરા શોકમાં ડૂબી ગઈ છે. તેની આંખોમાંથી આંસુ તો સુકાઈ ગયા છે પરંતુ બેલડી તૂટયાનો જખમ ક્યારેય રુઝાય તેવો નથી. હા પતિની શહીદીના ગર્વએ તેને જીવવા માટે એક બહાનુ જરૂર આપ્યું છે. એટલે જ તો તેણી ઘણીવાર સુધી પતિના પાર્થિવ દેહને તાકી રહી. ત્યારબાદ તેણે પતિના માથાને ચૂમ્યું અને તેની નજીક જઈને 'આઈ લવ યુ' બોલીને પતિને અંતિમ સફર માટે જવાની કઠણ કાળઝે જાણે રજા આપી.
આંતકીઓની ગોળીઓએ 55મી રાષ્ટ્રીય રાઈફલના વીર સપૂતને આપણી વચ્ચેથી છીનવી લીધો છે પરંતુ તેની શહાદત એમ એળે નહીં જાય. કેમ કે નિકિતાના સૂકાયેલા આંસુ હર એક ભારતવાસીની આંખમાં બદલાની જ્વાળા સળગતી રાખશે તે નક્કી છે.